Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

અનિચ્છુક કોલ નિયમ પર ચિંતાને લઇ ટુંકમાં મિટિંગ

દૂરસંચાર કંપનીઓ સાથે ટ્રાઇ મિટિંગ યોજશે : વધુ બે વર્ષ માટે શર્માને ટ્રાઇના ચેરમેન રાખવાનો નિર્ણય

નવી દિલ્હી, તા.૨૧ : ભારતીય દૂરસંચાર નિયામક સત્તા (ટ્રાઇ) હવે અનિચ્છુક કોલ ઉપર નવા નિયમોને લઇને ઉદ્યોગોની ચિંતા ઉપર દૂરસંચાર કંપનીઓ સાથે બેઠક કરવા માટે તૈયાર થઇ છે. અનિચ્છુક કોલને લઇને દૂરસંચાર કંપનીઓ સામે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. ટ્રાઇના પ્રમુખ આરએસ શર્માએ માહિતી આપતા કહ્યું છે કે, અનિચ્છુક ટેલિ માર્કેટિંગ કોલ અને  સંદેશાઓના મામલામાં અમે ખુબ જ ગંભીર છીએ. આની અવગણના કરી શકાય નહીં. શર્માએ વધુ બે વર્ષ માટે ટ્રાઇના ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી ચુકી છે. શર્માએ વિગત આપતા કહ્યું છે કે, અધિકારીઓને ઓપરેટરોની બેઠક બોલાવવા માટે સૂચના આપી દેવામાં આવી છે જેનાથી અનિચ્છુક વાણિજ્ય કોલ અથવા સંદેશાઓ ઉપર તેમની ફરિયાદોના સંદર્ભમાં માહિતી મેળવી શકાશે. આ ટિપ્પણી એવા દ્રષ્ટિકોણથી પણ ખુબ મહત્વપૂર્ણ છે કે, હાલમાં હોબાળો મચેલો છે. નવા નિયમોને લઇને ઉદ્યોગમાં ચિંતા પ્રવર્તી રહી છે. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા અનિચ્છુક કોલ પર અંકુશ માટે નવા નિયમોને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓપરેટરોનું કહેવું છે કે, આ નિયમ જટિલ, વધારે સમય લેનાર અને ખર્ચ લાભ મૂલ્યાંકનને ધ્યાનમાં લઇને બનાવવામાં આવ્યા નથી. શર્માનું એમ પણ કહેવું છે કે, પોતાના અધિકારીઓ પાસેથી ઓપરેટરને બોલાવવાની સૂચના આપવામાં આવ્યા બાદ સ્થિતિ સુધરે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કેટલાક મુદ્દાઓને અમલી કરવામાં આવી રહ્યા છે. મિટિંગ દરમિયાન તમામ મુદ્દા પર વિસ્તારપૂર્વક ચર્ચા થશે. શર્માનું કહેવું છે કે, નિયામક ઓપરેટરોની સાથે બેસીની તેમની સમસ્યાને ધ્યાનમાં લેવામાં આવશે.  અનિચ્છુક કોલના મુદ્દાને લઇને સામાન્યરીતે પણ વારંવાર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ટ્રાઇ દ્વારા આને લઇને સાવચેતીપૂર્વકનું વલણ અપનાવવામાં આવી રહ્યું છે.

(7:27 pm IST)