Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

દ્દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનુ ૮૧ વર્ષની વયે નિધન

છેલ્લા કેટલાક દિવસથી બિમાર ચાલી રહ્યા હતા : નિધનથી થોડાક દિન પૂર્વે સુધી શીલા દીક્ષિત રાજનીતિમાં સક્રિય રહ્યા હતા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાહુલ ગાંધીએ પણ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હી, તા. ૨૦ : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું આજે ૮૧ વર્ષની વયે અવસાન થયું હતું. શીલા દીક્ષિતના અવસાનના સમાચાર ફેલાતાની સાથે જ કોંગ્રેસ પાર્ટીમાં આઘાતનુ મોજુ ફરી વળ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, શીલા દીક્ષિતના અવસાનના સમાચાર સાંભળીને ખુબ આઘાત લાગ્યો છે. કોંગ્રેસમાં તેમની ભૂમિકા ખુબ જ મહત્વપૂર્ણ રહી હતી. શીલા દીક્ષિત સાથે તેમના વ્યક્તિગત સંબંધો હતો. તેમના પરિવાર અને દિલ્હીના નાગરિકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ શીલા દીક્ષિત અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, શીલા દીક્ષિત ખુબ જ મિલનશાહ હતા. દિલ્હીના વિકાસ માટે શીલા દીક્ષિતે ખુબ કામ કર્યું હતું. તેમના પરિવાર અને સમર્થકોને તેમની સાંત્વના છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શીલા દીક્ષિત અવસાન અંગે દુખ વ્યક્ત કર્યું છે. ટ્વિટર પર રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાના અવસાનથી તેમને દુઃખ થયું છે. તેમની અવધિ દરમિયાન દિલ્હીમાં પરિવર્તનનો ગાળો હતો. આને માટે તેમને યાદ કરવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ શીલા દીક્ષિત અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. શીલા દીક્ષિત છેલ્લા ઘણા દિવસથી બિમાર ચાલી રહ્યા હતા. કોંગ્રેસે હાલમાં તેમને દિલ્હી પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપેલી હતી. ૧૫ વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શીલા દીક્ષિત રહ્યા હતા. દિલ્હીમાં સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી તરીકે રહેવાનો તેમનોે રેકોર્ડ રહેલો છે. અવસાનથી થોડાક દિવસ પહેલા સુધી શીલા દીક્ષિત રાજનિતિમાં સક્રિય દેખાયા હતા. હાલમાંજ શીલા દીક્ષિતે દિલ્હીમાં નવા જિલ્લા અધ્યક્ષોની નિમણૂંક પણ કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શીલા દીક્ષિતને મુખ્યમંત્રી તરીકે ઉતારવાની પણ તૈયારી કરી હતી. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર જતી રહ્યા બાદ કેરળના રાજ્યપાલ તરીકે શીલા દીક્ષિતે જવાબદારી સંભાળી હતી. કોંગ્રેસે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમને મુખ્યમંત્રી તરીકેના ચહેરા તરીકે રજુ કર્યા હતા. શીલા દીક્ષિતની ગણતરી ગાંધી-નહેરુ પરિવારના નજીકના વ્યક્તિ તરીકે થતી હતી. આજે શનિવારે તબિયત ખરાબ થયા બાદ શીલા દીક્ષિતને ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અટેક થયા બાદ તેમની તબિયત ગંભીર બનેલી હતી. અશોક શેઠના નેતૃત્વમાં અનેક તબીબો તેમની કાળજી લઈ રહ્યા હતા. બપોરના ગાળામાં પણ ફરી એકવાર તેમના ઉપર હાર્ટ અટેકનો હુમલો થયો હતો. જેમાં ૩.૫૫ વાગે તેમનુ અવસાન થયું હતું. શીલા દીક્ષિત કોંગ્રેસ પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતાઓ પૈકીના એક હતા.

નિધનની સાથે સાથે.....

*    દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનુ નિધન થયું

*    બપોરે ૩.૫૫ વાગે પૂર્વ મુખ્યમંત્રીનું નિધન થયું

*    હાર્ટ અટેક થયા બાદ તેમને ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

*    તબિયત ખરાબ હતી ત્યારે બીજી વખત અટેક આવતા નિધન

*    વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત તમામે દુખ વ્યક્ત કર્યું

*    દિલ્હીના વિકાસમાં શીલા દીક્ષિતની ભૂમિકા હતી

*    ૧૫ વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રહેવાનો રેકોર્ડ હતો

*    નિધનના થોડા દિવસ પહેલા સુધી રાજનીતિમાં સક્રિય હતા

*    ગાંધી-નહેરુ પરિવારના ખુબ નજીકના સંબંધ હતા

(12:00 am IST)