Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

રાહુલ ગાંધીએ કોને અને શું કામ મારી હતી આંખ ?

નવી દિલ્હી તા. ૨૧ : લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન કોંગ્રેસ અ્ધ્યક્ષ રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે મળીને પોતાની સીટ પર પાછા આવ્યા હતા અને પછી તેમણે આંખ મારી હતી. તેમની આંખ મારવાની આ ચેષ્ટા ગણતરીની મિનિટોમાં વાઇરલ થઈ ગઈ હતી. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર આપેલા પોતાના ભાષણના અંતમાં રાહુલ ગાંધીએ કહ્યું 'તમારા લોકોમાં મારા માટે નફરત છે, તમે મને પપ્પૂ અને ખૂબ ગાળો આપીને બોલાવી શકો છો, પરંતુ મારા અંદર તમારા માટે નફરત નથી. એટલું કહ્યા બાદ રાહુલ ગાંધી પોતાની સીટ પરથી ઉભા થઇને સીધા પીએમ મોદી પાસે પહોંચ્યા અને તેમને ગળે લગાવી દીધા. રાહુલ ગાંધી અને પીએમ મોદીને આમ ગળે લાગતાં જોઇ સદન આખું હસી પડ્યું. પીએમ મોદીને ગળે લગાવી જેવા રાહુલ ગાંધી પોતાની જગ્યા પર પરત ફર્યા અને કોઇ વાત પર આંખ મારતા નજરે ચડ્યા.'

તેમની આ હરકત પર લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને તો રાહુલ ગાંધીને આ વર્તન ન કરવા મટે સલાહ આપી દીધી હતી. સોશિયલ મીડિયા અને સમીક્ષકોએ પણ તેમની ટીકા કરી હતી. જોકે, લોકસભાની કાર્યવાહીનો વીડિયો જો ધ્યાનથી જોવામાં આવે તો ખ્યાલ આવે છે કે રાહુલ ગાંધીનો ઇરાદો વડાપ્રધાન મોદીનો અપમાન કરવાનો નહોતો.

હકીકતમાં રાહુલ ગાંધી જયારે વડાપ્રધાનને ગળે લાગીને પોતાની સીટ પર પાછા આવ્યા ત્યારે થોડી દૂર બેસેલા કોંગ્રેસ સાંસદ જયોતિરાદિત્ય સિંધિયાએ તેમની સામે થમ્પઅપની સાઇન કરી. જયોતિરાદિત્યની આ હરકત જોઈને રાહુલ ગાંધીએ તેની સામે આંખ મારીને સ્માઇલ કરી દીધું. બોડી લેન્ગવેજ એકસપર્ટનું કહેવું છે કે બે સરખી વયના મિત્રો વચ્ચે આવી ઇશારાબાજી સ્વાભાવિક છે. રાહુલ ગાંધીની આ હરકત પાછળ વડાપ્રધાનના અપમાનનો કોઈ ઇરાદો નહોતો. વિશેષજ્ઞોના દાવા પ્રમાણે રાહુલ ગાંધીના એકસપ્રેશનમાં તોફાની હરકત હતી પણ વડાપ્રધાનનો અપમાન કરવાનો કોઈ ઇરાદો નહોતો.

રાહુલ ગાંધીએ શુક્રવારે લોકસભામાં સંભવતઃ અત્યાર સુધીનું જોરદાર ભાષણ આપ્યું. તેમના આ ભાષણમાં આરોપ પણ હતા તેટલા જ આંકડા અને ઇમોશન પણ હતા.

(3:40 pm IST)