Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

લોકશાહીમાં જનતા જનાર્દન જ ભાગ્ય વિધાતા છે : નરેન્દ્ર મોદી

૧૦ કલાક સુધી લાંબી ચર્ચા બાદ મોદીએ જવાબ આપ્યોઃ જે લોકોને પોતાના ઉપર વિશ્વાસ નથી તે અન્યો ઉપર વિશ્વાસ કરી શકે નહીં સંખ્યા અને બહુમત નહીં હોવા છતાંય અવિશ્વાસની દરખાસ્ત લવાઈ : મોદી

નવીદિલ્હી, તા.૨૦: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં ઉગ્ર, ગરમાગરમ અને તીવ્ર ચર્ચા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચાલ્યા બાદ પોતાના આક્રમક અંદાજમાં જવાબ આપ્યો હતો. મોદીએ ૧૦ કલાક સુધી ચાલેલી લાંબી ચર્ચાના અંતે જવાબ આપવાની શરૃઆત કરી હતી. મોદીએ શરૃઆતમાં જ કહ્યું હતું કે, પૂર્ણ બહુમતિ સાથે ચૂંટાયેલી આ સરકાર છે. આ સરકાર સામે લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તને ફગાવી દેવામાં આવે તેવી અમારી અપીલ છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, પૂર્ણ બહુમતિ સાથે આવેલી આ સરકારને પોતાની રીતે કામ કરવાની તક આપવામાં આવે તે જરૃરી છે. ચર્ચાના જવાબમાં મોદીએ કહ્યું હતું કે, આજે અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા દરમિયાન દેશના લોકોએ એક નકારાત્મકતાનો ચહેરો જોયો છે. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની ઝપ્પી અંગે જોરદાર ટકોર કરતા મોદીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી તેમને ઉભા કરવા માટે કહી રહ્યા હતા. મોદીએ કહ્યું હતું કે, તેઓ પોતાના કામ ઉપર મક્કમતા સાથે ઉભા છે અને આગળ વધવા માટે મક્કમ છે. સવા સો કરોડ દેશવાસીઓના આશીર્વાદ સાથે તેઓ આ જગ્યાએ પહોંચ્યા છે. તેમને કોઇ ઉઠાવી શકે નહીં અને પાડી શકે પણ નહીં. વોટબેંક માટે તેમની સરકાર કામ કરી રહી નથી. તેમણે ઉમેર્યું હતું કે, લોકશાહીમાં જનતા જનાર્દન ભાગ્યવિધાતા હોય છે. કેટલાક વિરોધીઓને સરકારની કામગીરી દેખાઈ રહી નથી. મોદીએ પોતાના સંબોધનમાં સરકારની સિદ્ધિઓને રજૂ કરી હતી. પોતાના અંદાજમાં મોદીએ જનધન યોજના, ઉજ્જવલા યોજના, મુદ્રા યોજના સહિતની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જે લોકો પોતાના ઉપર વિશ્વાસ કરી શકતા નથી તે અન્ય ઉપર પણ વિશ્વાસ કરી શકતા નથી. સબકા સાથ સબકા વિકાસની સાથે તેમની સરકાર આગળ વધી રહી છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સામે લાવવામાં આવેલી અવિશ્વાસ દરખાસ્ત પર આજે લોકસભાની કાર્યવાહી શરૃ થતાની સાથે ચર્ચા શરૃ  હતી. તમામ જટિલ અને સળગતા મુદ્દા પર ચર્ચા શરૃ થઇ હતી. ટીડીપી દ્વારા આ દરખાસ્ત લાવવામાં આવી હતી. જેના પર ઉગ્ર ચર્ચા સાંજ સુધી ચાલી હતી. વડાપ્રધાન મોદી પોતે લોકસભામાં ઉપસ્થિત રહ્યા હતા. ચર્ચામાં  કિંમતોમાં વધારો, બેરોજગારી, અસહિષ્ણુતામાં વધારો, જીએસટી અમલી કરવાની બાબત, નોટબંધીથી થયેલી તકલીફો, ખેડૂતોની તકલીફો અને એમએસપી જેવા મુદ્દા ઉપર સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. વિપક્ષ તરફથી સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, ટીડીપી સહિતના પક્ષોએ પોતાની રજૂઆત કરી હતી અને સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સંસદના મોનસુન સત્રના પ્રથમ દિવસે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્તને સ્વીકારી લીધી હતી. ૧૫ વર્ષમાં પ્રથમ વખત સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત લાવવામાં આવી હતી. કોંગ્રેસ, તેલુગુદેશમ પાર્ટી અને શરદ પવારના નેતૃત્વમાં એનસીપી દ્વારા લાવવામાં આવેલી આ દરખાસ્તને લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન સ્વીકારી લીધા બાદ આજે આના પર ચર્ચા થઇ હતી. મોદીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, સરકારોને ગબડાવી દેવાની કોંગ્રેસની જુની નીતિઓ રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઇકને જુમલાબાજી ગણાવીને દેશના જવાનોને અપમાનિત કરવામાં આવી રહ્યા છે. સેના વડા સાથે પણ ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીને નામદાર તરીકે ગણાવીને ફરી એકવાર મોદીએ પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, અમે કામદાર છીએ. નામદારની આંખમાં આંખ મિલાવવાની અમારી હિંમત નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, વિતેલા વર્ષોમાં સરકારોને એક પછી એક ગબડાવી દેવામાં આવી હતી. વાજપેયી સરકારને એક મત માટે ગબડાવી દેવામાં આવી હતી. સોનિયા ગાંધી ઉપર પણ પરોક્ષરીતે પ્રહારો કર્યા હતા. ડોકલામ મુદ્દાનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, આ ગંભીર મુદ્દા ઉપર આડેધડ નિવેદનકરાયા છે જેથી શરમજનકસ્થિતિ ઉભી થઇ છે જેથી સરકારોને ખુલાસા કરવા પડ્યા છે. રાફેલ ડિલ મુદ્દે ફ્રાન્સને ખુલાસો કરવા પડ્યો છે જે શરમજનક બાબત છે.

 

(12:00 am IST)