Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

કોરોનાની બીજી લહેર પર કાબુ

દેશમાં ૮૮ દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ

૨૪ કલાકમાં નવા ૫૩,૨૫૬ કેસ ૧૪૨૨ દર્દીઓએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી, તા.૨૧: દેશમાં કોવિડ-૧૯ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હોય તેવું આંકડાઓ પરથી લાગી રહ્યું છે. ૮૮ દિવસ બાદ કોરોના સંક્રમિત થનારા લોકોની સંખ્યા સૌથી ઓછી નોંધાઈ છે. બીજી મોટી રાહતની બાબત કોરોના દર્દીઓની ઘટતી સંખ્યા છે. હવે એકિટવ કેસની સંખ્યા ઘટીને ૭ લાખે પહોંચી ગઈ છે. ભારતમાં કોવિડ રિકવરી રેટ સુધરીને ૯૬.૩૬ ટકા થયો છે

 કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૫૩,૨૫૬ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૧૪૨૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૯૯,૩૫,૨૨૧ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૨૮,૦૦,૩૬,૮૯૮ લોકોને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.

 કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૮૮ લાખ ૪૪ હજાર ૧૯૯ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૭૮,૧૯૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૭,૦૨,૮૮૭ એકિટવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૮૮,૧૩૫ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે

 ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ આજે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૦ જૂન, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૩૯,૨૪,૦૭,૭૮૨ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રવિવારના ૨૪ કલાકમાં ૧૩,૮૮,૬૯૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે

 ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૮૫ કેસ નોંધાયા છે. જેની સામે ૬૫૧ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ ના કારણે ૪ દર્દીના મોત થયા છે. રાજયમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૩૨ થયો છે. રાજયમાં સાજા થવાનો દર ૯૮.૦૪ ટકા છે. અત્યાર સુધીમાં ૨,૨૦,૬૮,૩૦૨ ડોઝ કોરોના વેકસીનના આપવામાં આવ્યા છે.

(11:14 am IST)