Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસની વચ્ચે તકરાર વધી

હિંદુત્વ-મરાઠી અસ્મિતા જ પાર્ટીની પ્રાથમિક્તા : કોંગ્રેસ દ્વારા પોતાના દમ પર ચૂંટણી લડવાના મુદ્દે ઠાકરેએ કહ્યું કે કેટલાક લોકો પોતાના બળે ચૂંટણી લડવાની વાત કરે છે

મુંબઈ,તા.૨૦ : મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસ વચ્ચેની તીરાડ દિવસે દિવસે મોટી થઈ રહી છે. શિવસેનાએ પોતાના ૫૫માં સ્થાપના દિવસે હિંદુત્વ અને મરાઠી અસ્મિતાની વાત કરી હતી. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ પર તીખો હુમલો કરતા ઈશારામાં કહ્યું કે જો કોઈ એકલા લડવા માટેની વાત કરે છે તો લોકો તેને જોડા મારશે. જણાવી દઇએ કે હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોળેએ કહ્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં અમે એકલા લડીશું. કોંગ્રેસ દ્વારા પોતાના દમ પર ચૂંટણી લડવાના મુદ્દે ઠાકરેએ કહ્યું કે કેટલાક લોકો પોતાના બળે ચૂંટણી લડવાની વાત કરે છે. કોરોના કાળમાં હૃદયદ્રાવક સ્થિતિ છે. લોકોનો રોજગાય ગયો અને રોજીરોટી માટે ફાંફા મારવા પડે છે તેવામાં જો કોઈ એકલા લડવાની વાત કરે છે તો લોકો તેને જોડા મારશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠકારેએ શિવસેનાના સ્થાપના દિવસે કહ્યું કે હિંદુત્વ અને મરાઠી અસ્મિતા જ પાર્ટીની પહેલી પ્રાથમિક્તા છે.

         તેમણે સત્તામાં સહયોગી કોંગ્રેસ અને વિરોધી દળ ભાજપ પર નિશાનો સાધ્યો હતો. આ સાથે ઉદ્ધવ એવું કહેવાથી પણ જરા ચૂક્યા નહીં કે સત્તામાં બની રહેવા માટે તેઓ જરા પણ લાચાર નથી. ઠાકરેએ પોતાની પાર્ટી અને કાર્યકર્તાઓના વખાણ કર્યા અને આ મોકે તેમણે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પણ વખાણ કર્યા. શનિવારે શિવસેનાના સ્થાપના દિવસ નિમિત્તે સોશિયલ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રીએ શિવસૈનિકોને સંબોધીત કર્યા હતા. તેમણે કહ્યું કે હિંદુત્વ કોઈને પેટન્ટ નથી. હિંદુત્વ અમારો શ્વાસ છે. આ માટે જ શિવસૈનિકો હંમેશા પહેલા જય હિંદ અને પછી જય મહારાષ્ટ્રનો નારો લગાવે છે. તેમણે દેવેન્દ્ર ફડણવીસનું નામ લીધા વગર કહ્યું કે મહાવિકાસ આઘાડી બન્યા બાદ કેટલાક લોકોના પેટમાં દુઃખી રહ્યું છે પરંતુ હું ડોક્ટર નથી. સમય આવ્યે તેમને પણ રાજનીતિક દવા આપીશ. સત્તા ન મળતા લોકો પાણી વગરની માછલીની જેમ છટપટી રહ્યા છે. લોકો અમને પૂછે છેકે એક વર્ષમાં શું કર્યું તો હું કહીશ કે કામ જોઈ લો. મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે શિવસેના પર સંકિર્ણતા અને પ્રાંતવાદનો આરોપ લગાવવામાં આવ્યો ત્યારે પણ શિવસેના પ્રમુખ આગળ વધ્યા હતા. જે મુસીબતથી ડરી જાય તે શિવસૈનિક કેવા? અમને સંકટની છાતી પર ચઢીને તેને હરાવવાનું શીખડાવવામાં આવ્યું છે.

(12:00 am IST)