Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ટીડીપીને ફટકો પડ્યો : ૪ સાંસદ અંતે ભાજપમાં ઇન

ચાર રાજ્યસભા સાંસદ જોડાતા ભાજપ વધુ મજબૂત : ભાજપના કારોબારી અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુએ ત્રણેય રાજ્યસભા સાંસદોને સત્તાવાર પાર્ટીમાં સામેલ કર્યા : ચંદ્રબાબુ નાયડુને ફટકો

નવી દિલ્હી, તા. ૨૦  : તાજેતરમાં ચૂંટણીમાં કારમી હાર થયા બાદ ચંદ્રબાબુ નાયડુની તેલુગુદેશમ પાર્ટીને આજે મોટો ફટકો પડ્યો હતો. ટીડીપીના કુલ છ રાજ્યસભા સાંસદો પૈકી ચાર સાંસદ ભાજપમાં સામેલ થઇ ગયા હતા. આ પહેલા તેઓએ ટીડીપીને ભાજપના મર્જ કરી દેવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેના પર ભાજપે મંજુરીની મહોર મારી હતી. સાંજે ભાજપના કારોબારી અધ્યક્ષ જેપી નડ્ડાએ ત્રણ રાજ્યસભા સાંસદોને પાર્ટીમાં સત્તાવારરીતે સામેલ કરી લીધા હતા જ્યારે એક રાજ્યસભા સાંસદ તબિયત ખરાબ હોવાના કારણે પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. ભાજપમાં સામેલ થનાર રાજ્યસભા સાંસદમાં ટીજી વ્યંકટેક્ષ, સીએમ રમેશ, વાયએસ ચૌધરી અને જીએમ રાવનો સમાવેશ થાય છે. પત્રકાર પરિષદ દરમિયાન ભાજપના કારોબારી પ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું હતું કે, લાંબા સમયથી આ સાંસદોના મનમાં ચર્ચા ચાલી રહી હતી કે, મોદીના નેતૃત્વમાં જે રીતે દેશ આગળ જઇ રહ્યો છે તે જ રીતે આંધ્રપ્રદેશના વિકાસ માટે તેમને ભાજપમાં સામેલ થઇ જવાની જરૂર છે. ગુરુવારના દિવસે આ સાંસદોએ ભાજપ અધ્યક્ષ અમિત શાહને પત્ર લખીને કહ્યું હતું કે, તેઓ ભાજપમાં સામેલ થવા ઇચ્છુક છે. ત્યારબાદ ટીડીપીના સાંસદો અને ભાજપના પત્ર લઇને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પાસે પહોંચ્યા હતા. હવે આ તમામ ભાજપના સભ્ય છે. આ ચારેય રાજ્યસભા સાંસદના આવવાથી આંધ્રપ્રદેશમાં ભાજપનું નેટવર્ક આગામી દિવસોમાં વધુ મજબૂત બનશે. ચાર સાંસદો ભાજપમાં સામેલ કરવામાં આવ્યા બાદ ટીડીપીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે, પાર્ટીમાં કોઇપણ સંકટ નથી. તેમણે ઉમેર્યું હતું કે, અમે ભાજપની સાથે માત્ર ખાસ રાજ્યના દરજ્જા અને આંધ્રના હિત માટે મેદાનમાં ઉતર્યા હતા. ખાસ દરજ્જા માટે અમારા કેન્દ્રીય મંત્રીઓએ પદ છોડી દીધા હતા. અમે ટીડીપીને કમજોર કરવાના ભાજપના પ્રયાસોની નિંદા કરીએ છીએ. કટોકટી પાર્ટી માટે નવી નથી. નેતાઓ અને કાર્યકરોને આનાથી નિરાશ થવાની જરૂર નથી. જે ચાર સાંસદોએ ભાજપનો સાથ લઇ લીધો છે તેમાં એક નામ વાયએસ ચૌધરીનું છે જે મોદી સરકારની પ્રથમ અવધિમાં કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે. ભાજપમાં સામેલ થયા બાદ તેઓએ કહ્યું હતું કે, હજુ દેશના મૂડને વિરોધ પક્ષો જોઇ શકતા નથી. તેમને મોદીની સરકારમાં કામ કરવાની તક મળી રહી છે. આંધ્રપ્રદેશને પહેલા ખુબ નુકસાન થઇ ચુક્યું છે. હવે આંધ્રપ્રદેશની સાથે દેશ વધુ ઝડપથી આગળ વધે તે જરૂરી છે. તે પહેલા ચારેય સાંસદોએ આજે ઉપરા,્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુ સાથે વાતચીત કરી હતી.

(12:00 am IST)