Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

દિલ્હીમાં રાહુલ અને સોનિયા ગાંધી સાથે સ્વામીની વાતચીત

નાયબ મુખ્યમંત્રી અંગે આજે નિર્ણય થઈ શકેઃ કર્ણાટકમાં સરકારની રચના કરવાના મુદ્દા ઉપર વાતચીત થઈ : શપથગ્રહણમાં હાજરી આપવા માટે નિમંત્રણ અપાયું

નવી દિલ્હી, તા.૨૧: કર્ણાટકના મુખ્યમંત્રી પદની શપથ લેતા પહેલા જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ આજે દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મળીને તેમની સાથે વાત કરી હતી. આ ગાળા દરમિયાન રાજ્યમાં ગઠબંધન સરકાર બનાવવાના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કુમારસ્વામી પહેલા જ કહી ચુક્યા છે કે કોંગ્રેસ અને જેડીએસની વચ્ચે સત્તા વહેંચણીને લઈને કોઈ સમજૂતિ કરવામાં આવી નથી. કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું હતું કે ૩૦ મહિના સુધી કુમારસ્વામી અને અને આગામી ૩૦ મહિના સુધી કોંગ્રેસ તરફથી કોઈ નેતા મુખ્યમંત્રી તરીકે રહેશે. જોકે હવે સ્પષ્ટતા થઈ ગઈ છે કે કુમારસ્વામી જ મુખ્યમંત્રી તરીકે રહેશે. કોંગ્રેસના નેતાઓએ વાતચીત કર્યા બાદ કુમારસ્વામીએ કહ્યું હતું કે તેઓ ગાંધી પરિવાર પ્રત્યે સન્માન વ્યક્ત કરવા ઈચ્છતા હતી. જેથી દિલ્હી પહોંચ્યા છે. શપથ ગ્રહણમાં સામેલ થવા માટે પણ અપીલ કરી છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી બંને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે કહી ચુક્યા છે. કુમારસ્વામીએ એમ પણ કહ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી પદના મુદ્દા પર આવતીકાલે નિર્ણય કરવામાં આવશે. કોંગ્રેસ અને જેડીએસ તરફથી મંત્રી બનાવવાના મુદ્દા પર પણ હવે વાતચીત શરૂ થશે. ડેપ્યુટી મુખ્યમંત્રી કોણ રહેશે તેવા પ્રશ્નના જવાબમાં કુમારસ્વામીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ કર્ણાટકના મહાસચિવ કેસી વેણુગોપાલને આ અધિકાર આપ્યો છે અને વેણુગોપાલ જ આ અંગે નિર્ણય લેશે. સોમવારના દિવસે સોનિયા ગાંધીને મળ્યા બાદ જેડીએસના નેતા દાનિશ અલી અને કોંગ્રેસના કેસી વેણુગોપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહેલોત, કેસી વેણુગોપાલ અને ગુલામનબીએ કર્ણાટકના વર્તમાન ઘટનાક્રમ ઉપર રાહુલ ગાંધીને માહિતી આપી હતી.

 

(10:50 pm IST)