Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

શ્રીલંકા આઠ બ્લાસ્ટથી હચમચી ઉઠ્યું : ૨૧૫થી વધુના મોત થયા

ઈસ્ટરના દિવસે ચર્ચ અને હોટલોને ટાર્ગેટ બનાવી બ્લાસ્ટ કરાયા : માર્યા ગયેલા લોકોમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો પણ સામેલ : ઘાયલોની સંખ્યા ૪૫૦થી પણ વધુ હોવાથી મૃતાંક વધશે : સમગ્ર શ્રીલંકામાં સંચારબંધી

કોલંબો, તા.૨૧ : એક પછી એક આઠ પ્રચંડ બોમ્બ ધડાકાઓના કારણે આજે સમગ્ર શ્રીલંકા હચમચી ઉઠ્યું હતું. સાથે સાથે દુનિયાભરમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. સિરિયલ બ્લાસ્ટમાં ૨૧૫થી વધુ લોકોના મોત થયા છે. જેમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકોના પણ મોત થયા છે. હુમલાખોરોએ ચર્ચ અને હોટલોને ટાર્ગેટ બનાવીને આ વિનાશક હુમલા કર્યા હતા. સિરિયિલ બોમ્બ બ્લાસ્ટથી સમગ્ર શ્રીલંકા હચમચી ઉઠ્યું હતું. મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. હજુ સુધી મોતનો આંકડો ૨૧૫ સુધી પહોંચી ચુક્યો છે અને આંકડો હજુ ઉપર જઈ શકે છે કારણ કે ઘાયલ થયેલાઓની સંખ્યા ૪૫૦થી પણ વધુ આંકવામાં આવી છે. જે પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. શ્રીલંકાના ઈતિહાસમાં થયેલા હજુ સુધીના સૌથી વિનાશક હુમલા તરીકે આને જોવામાં આવે છે જેની જવાબદારી હજુ સુધી કોઈપણ સંગઠને સ્વીકારી નથી પરંતુ એમ માનવામાં આવે છે કે તેમાં કટ્ટરપંથી સંગઠનોનો હાથ હોઈ શકે છે. માર્યા ગયેલાઓમાં ૪૦થી વધુ વિદેશી નાગરિકો છે જેમાં અમેરિકા અને અન્ય દેશોના નાગરિકો સામેલ છે. કોલંબો નેશનલ હોસ્પિટલના સૂત્રોએ કહ્યું છે કે માર્યા ગયેલા વિદેશીઓમાં અમેરિકી, બ્રિટીશ અને નેધરલેન્ડના નાગરિકો સામેલ છે. સત્તાવાર રીતે હજુ સુધી આ સંદર્ભમાં કોઈ માહિતી અપાઈ નથી. આ બ્લાસ્ટની સાથે જ શ્રીલંકામાં સંચારબંધી લાગુ કરી દેવામાં આવી છે. ૨૩મી એપ્રિલ સુધી સ્કુલ અને કોલેજો તથા સરકારી સંસ્થાઓમાં રજાની જાહેરાત કરી દેવામાં આવી છે. શ્રીલંકન પોલીસના તમામ જવાનોની રજા રદ કરી દેવામાં આવી છે. શ્રીલંકામાં આજે સવારે એક પછી એક બ્લાસ્ટનો સીલસીલો શરૂ થયો હતો. ત્રણ ચર્ચ અને કેટલીક હોટલોને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. પ્રથમ બ્લાસ્ટ કોલંબોમાં સેન્ટએન્ટની ચર્ચ અને બીજો બ્લાસ્ટ પાટનગરની બહાર નેગોમ્બો વિસ્તારમાં સેબેસ્ટીયન ચર્ચમાં કરાયો હતો. ત્રીજો બ્લાસ્ટ પૂર્વીય શહેર બાટીકોલોવામાં ચર્ચામાં થયો હતો. ઉપરાંત જે હોટલોને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવ્યા હતા તેમાં સાંગરીલા, સીનામોન અને કિંગ્સબેરીનો સમાવેશ થાય છે. ઈસ્ટરની પ્રાર્થના માટે ચર્ચમાં લોકો એકત્રિત થઈ રહ્યા હતા ત્યારે પ્રથમ બ્લાસ્ટ સવારે ૮.૪૫ વાગે થયો હતો. ત્યારબાદ એક પછી એક બ્લાસ્ટની શરૂઆત થઈ હતી. ઘાયલ થયેલા તમામ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોલંબો નેશનલ હોસ્પિટલના મોટાભાગના લોકોને ખસેડવામાં આવ્યા હતા. ત્રણ ફાઈવસ્ટાર હોટલો અને એક ચર્ચમાં પણ હુમલા કરાયા હતા. બ્લાસ્ટ બાદ શ્રીલંકાના વડાપ્રધાને સુરક્ષા સમિતિની તાકીદની બેઠક યોજી હતી. શ્રીલંકાના પ્રમુખ મેથરીપાલા સીરીસેનાએ કહ્યું છે કે આ સિરિયલ બ્લાસ્ટ બાદ અમે આઘાતમાં છીએ. તમામ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી રહી છે. બીજી બાજુ નાણામંત્રી મંગલા સમરવીરાએ ટ્વીટ કરીને કહ્યું છે કે હુમલામાં મોટી સંખ્યામાં નિર્દોષ લોકોના મોત થયા છે. આ હુમલો પૂર્ણ તૈયારીની સાથે કરાયો છે જેથી હત્યા કરીને અરાજકતા ફેલાવી શકાય. દરમિયાન, બ્લાસ્ટના સંદર્ભમાં વ્યાપક દરોડાનો દોર શરૂ કરાયો છે. જેના ભાગરૂપે મોટી સંખ્યામાં લોકોની ધરપકડ પણ કરાઈ છે. દરોડાની કાર્યવાહી આગળ જારી રહે તેમ મનાય છે.

(7:53 pm IST)