Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

વિશ્વમાં છેલ્લા ત્રણ વર્ષમાં ખુલેલા બેંક ખાતામાંથી ૫૫ % ભારતમાં ખૂલ્યાઃ વિશ્વ બેંક

બેંક ખાતા દ્વારા ગરીબોની કલ્યાણકારી યોજના બાબતે ભારતની પ્રશંસાઃ ૮૦ ટકા ખાતા યુવાનોનાઃ દેશમાં બંધ ખાતા પણ ૪૮ ટકા

નવી દિલ્હી, તા. ૨૧ :. વિશ્વ બેંકના એક રિપોર્ટ મુજબ દુનિયાભરમાં છેલ્લા ત્રણ વર્ષના નવા ખાતાઓમાં ૫૫ ટકા ખાતા ભારતમાં ખૂલ્યા છે. ગરીબોને બેંક ખાતાઓ દ્વારા કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા બાબતે ભારતની ઉમદા કામગીરીને વિશ્વ બેંકે બિરદાવી છે.

નાણાકીય સેવા સચિવ રાજીવકુમારે કહ્યું છે કે, વિશ્વ બેંકના એક ગ્લોબલ ફીનડેકસ રીપોર્ટમાં જનધન યોજનાની તાકાતને બિરદાવાઈ છે. જનધન યોજના દ્વારા ગરીબોને બેંકીંગ સીસ્ટમ સાથે જોડવામાં આવ્યા છે. આ યોજનાના આધારે માર્ચ ૨૦૧૮ સુધીમાં ૩૧.૪૪ કરોડ ખાતા ખૂલ્યા છે. જે ગયા વર્ષે ૨૮.૧૭ કરોડ હતા.

વૈશ્વિક સંગઠને કહ્યુ હતુ કે, ૨૦૧૪-૨૦૧૭ દરમ્યાન દુનિયાભરમાં ૫૧.૪ કરોડ નવા બેંક ખાતા ખૂલ્યા જેમાં ભારતમાંથી જ ૨૮.૧૭ કરોડ બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા છે.

નિષ્ક્રીય ખાતાઓ બાબતે પણ ભારતના આંકડાઓ સૌથી વધુ છે. દુનિયાભરમાં રહેલા નિષ્ક્રીય બેંક ખાતાઓમાં ૪૮ ટકા ખાતાઓ નિષ્ક્રીય છે.

રિપોર્ટ મુજબ નિષ્ક્રીય બેંક ખાતાઓનું સૌથી મોટુ કારણ ખાતાધારકોને ડીજીટલ પ્રક્રિયાઓનો ઉપયોગ નથી કરવો તે છે અને ૨૦૧૭માં ભારતમાં ૮૦ ટકા ખાતા વયસ્કોના ખૂલ્યા છે જે ૨૦૧૪માં ૫૩ ટકા હતા. ૨૦૧૪માં પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓના ખાતા ૨૦ ટકા ઓછા હતા. જે આંકડો હવે ૬ ટકા જ રહ્યો છે.(૨-૨૭)

(3:42 pm IST)