News of Thursday, 21st March 2019
નવી દિલ્હીઃપંજાબ નેશનલ બેંક (PNB)ને 13,758 કરોડનો ચૂનો લગાવ્યા બાદ નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી 15 મહિના પહેલા ભારતમાંથી ફરાર થયા હતા. હીરા વેપારી નીરવ મોદી આ 15 મહિના દરમિયાન ભારતીય એજન્સીઓની નજરથી બચવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા.
રિપોર્ટ્સ મુજબ નીરવ મોદીએ વેનુઆટુની નાગરિકતા લેવા માટે અરજી કરી હતી. વેનુઆટુ, ઓસ્ટ્રેલિયાની પૂર્વમાં આવેલો એક નાનો દેશ છે. તેણે સિંગાપોરમાં પણ સ્થાઈ નાગરિકતાની કોશિશ કરી હતી. કોઈ ત્રીજા દેશમાં સુરક્ષિત જગ્યા મેળવવા માટે યુકેની મોટી-મોટી લૉ કંપનીઓ સાથે વાત કરી હતી. તણે પોતાનો ચહેરો બદલવા માટે પ્લાસ્ટિક સર્જરીની યોજના પણ બનાવી હતી. પણ આવું કોઈ પગલું ભરે તે પહેલા જ તેની ધરપકડ થઈ ગઈ.
તપાસ એજન્સીઓને છેતરવાની તેણે તમામ કોશિશો કરી, પણ તપાસ એજન્સીઓએ તેના પર નજર રાખી. અધિકારીઓએ અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, પાછલા વર્ષે દેશ છોડીને ભાગ્યા પછી એજન્સીઓએ તેના પર નજર રાખી હતી. જ્યારે PNB સ્કેમથી આખો દેશ ધ્રૂજી ગયો તો તે સમયે નીરવ અલગ-અલગ દેશોની યાત્રા કરતો રહ્યો. તેનો ભારતીય પાસપોર્ટ રદ કરવામાં આવ્યો, છતાં તે પ્રવાસ કરતો રહ્યો. અધિકારીઓએ જણાવ્યું કે હવે નીરવ પાસે છુપાવા માટે કોઈ જગ્યા નહોતી બચી. મિહિર ભણસાલી, સુભાષ પરબ અને મયંક મેહતા સહિત તેમના ઘણાં સાથિઓ પર કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ લોકોએ નીરવને છુપાવામાં મદદ કરી.
કેટલાક અધિકારીઓનું કહેવું છે કે, નીરવે પોતાના મામા મેહુલ ચોકસીની જેટલો સ્માર્ટ નહોતો. મેહુલે પહેલાથી જ પોતાના પર આવનારા સંકટ વિશે જાણી લીધું હતું અને માટે જ તેણે 2017માં એન્ટિગુઆ અને બારબુડાની નાગરિકતા માટે અરજી કરી દીધી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જ્યારે સીબીઆઈ અને ઈડી બન્નેએ રેડ કોર્નર નોટિસ માટે ઈન્ટરપોલનો સંપર્ક કર્યો તો ચોક્સીએ તાત્કાલિક ઈન્ટરપોલમાં પોતાનો પક્ષ રજૂ કર્યો. તેણે તર્ક આપ્યો કે તેની સામે તપાસ રાજકીય પ્રરિત છે. જ્યારે મોદી કથિત રીતે વિચારી રહ્યો હતો કે તેને ભારતની બહારથી પકડવો શક્ય નથી.
અધિકારીઓએ જણાવ્યું, નીરવ ગંભીર સંકટમાં છે કારણ કે તેની સામે જે પુરાવા છે, તે કોઈ પણ આંતરાષ્ટ્રીય કોર્ટમાં ફગાવી ના શકાય. ઈડીએ નવા કાયદા હેઠક નીરવને ભાગેડુ આર્થિક ગુનેગાર બનાવ્યો અને પોતાના માટે કોર્ટમાં અરજી આપી હતી. હજુ અરજી કોર્ટમાં અટકેલી છે પણ એજન્સીઓને વિશ્વાસ છે કે કોર્ટ તેનો સ્વીકાર કરશે. જેનાથી તેને ભારત લાવવાનો રસ્તો સાફ થશે. આમ ચોકસીના મામલે પણ ભારતીય એજન્સીઓ એન્ટિગુઆથી તેના પ્રત્યાર્પણનો આગ્રહ કરશે. પણ મહિનો થઈ ગયો છતાં કેરેબિયાઈ દેશો તરફથી કોઈ જવાબ આવ્યો નથી.