Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

પંજાબ નેશનલ બેંક નાણાની રિકવરી માટે કર્મચારીઓ સામે કરશે કાર્યવાહી

દોષિત કર્મચારીઓ સામે લેવાશે કડક એકશનઃ ફોજદારી કેસ દાખલ કરાશે

મુંબઇ તા. ૨૧ : PNBએદોષિત કર્મચારીઓ પાસેથી નાણાં રિકવર કરવા આક્રમક વલણ અપનાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની આ કર્મચારીઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવા પણ સક્રિય છે. તપાસ એજન્સીઓને એવું જાણવા મળ્યું છે કે, કર્મચારીઓએ એસેટ્સ એકત્ર કરી છે અને ભારત બહાર તેમનાં બેન્ક ખાતાં છે.

એક તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, હજુ બહુ ઓછા કર્મચારીનાં નામ જાણવા મળ્યાં છે, પણ વધુ કર્મચારીઓ છેતરપિંડીમાં સંડોવાયેલા હોવાની શકયતા છે. બેન્કને ઘટનાક્રમની માહિતી આપવામાં આવી છે.

બેન્કે આ મુદ્દે કાનૂની અભિપ્રાય માંગ્યો છે. અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે, CBI અને એન્ફોર્સમેન્ટ ડાયરેકટરેટ (ED)જેવી તપાસ એજન્સી ભારત બહાર અધિકારક્ષેત્ર ધરાવતી નથી. તેને લીધે બહારના દેશોમાંથી નાણાં રિકવર કરવાનું તેમના માટે મુશ્કેલ છે. કર્મચારીની સ્થિતિને કેવી રીતે સાચવવી તેના માટે કાનૂની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી રહી છે.

બેન્કે નીરવ મોદી કેસમાં BDO ઇન્ડિયાને ફોરેન્સિક ઓડિટની જવાબદારી સોંપી છે. એક બેન્કરના જણાવ્યા અનુસાર બેન્કે BDO ઇન્ડિયાને નીરવ મોદી ઉપરાંત, બેન્કના કર્મચારીઓની એસેટ્સ પર નજર રાખવા પણ જણાવ્યું છે. બેન્કરે વધુમાં જણાવ્યું હતું કે, મોટા ભાગનું કામ તપાસ એજન્સીઓ અને વકીલો કરી રહ્યા છે. બેન્ક હાલ દોષિત કર્મચારીઓ સામે દીવાની કાર્યવાહી કરવાનું વિચારી રહી છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બેન્કને કેટલાક કાનૂની અવરોધો નડી શકે. લો ફર્મ MZM લીગલના મેનેજિંગ પાર્ટનર ઝુલ્ફીકાર મેમણે જણાવ્યું હતું કે, એસેટ પર નજર રાખતી પ્રોફેશનલ એજન્સીઝ કૌભાંડનાં નાણાં કયાં મૂકવામાં આવ્યાં છે તેની તપાસ કરી શકે છે. બેન્કને થયેલા નુકસાન માટે PNB કર્મચારીઓ અને નીરવ મોદીની કંપની સામે ફોજદારી કેસ દાખલ કરી શકે.

કાનૂની નિષ્ણાતોના જણાવ્યા અનુસાર એસેટ્સ શોધી કાઢવી એક બાબત છે, પણ તેની રિકવરી મુશ્કેલ છે. મેમણે જણાવ્યું હતું કે, મોટા ભાગના કિસ્સામાં લોકો ભારત બહાર પોતાના નામે એસેટ્સ ખરીદતા નથી. એટલે તેની રિકવરી મુશ્કેલ બનશે.

PNBએ આખરે સાબિત કરવું પડશે કે, તેના કર્મચારીઓ દ્વારા બેન્ક સામે ષડ્યંત્ર રચાયું હતું અને બેન્ક તેનો ભોગ બની હતી. ઉલ્લેખનીય છે કે, CBIની FIRમાં PNBને લેટર ઓફ અંડરટેકિંગ્સ (LoU)નો લાભ મેળવવામાં નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીનાં નામ છે. જેમને PNBના કર્મચારીઓ દ્વારા LoUs ઇશ્યૂ કરાયા હોવાનો આરોપ છે.

CBIએ નીરવ મોદી કેસમાં ૧૧ આરોપીનાં નામનો ઉલ્લેખ કર્યો છે. જેમાં PNBના સાત કર્મચારી, નીરવ મોદીની કંપની ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ, મેહુલ ચોકસીની કંપની ગીતાંજલી જેમ્સ અને કંપનીઓના ઓડિટર્સનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીઓને શંકા છે કે, નીરવ મોદીના કેટલાક ભૂતપૂર્વ કર્મચારીઓએ રાઉન્ડ ટ્રિપિંગમાં પણ મદદ કરી હોવાની આશંકા છે.

(4:15 pm IST)