Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

સાંસદે આંદોલનકારી ખેડૂતોની તુલના ત્રાસવાદીઓ સાથે કરી

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોનું આંદોલન જારી : દૌસાના ભાજપ સાંસદે ખેડૂત આંદોલનમાં આતંકી એકે-૪૭ લઇ બેઠા છે, જે બેઠા છે તે ખાલિસ્તાની હોવાનું કહ્યું

નવી દિલ્હી, તા. ૨૧ : કેન્દ્ર સરકારના કૃષિ કાયદાની વિરૂદ્ધ દિલ્હીને અડીને આવેલી સરહદો પર ખેડૂતોનું આંદોલન ચાલુ છે. સરકાર અને ખેડૂત નેતાઓની વચ્ચે કેટલાંય દોરની વાર્તા બાદ હજુ કોઇ સમાધાન નીકળ્યું નથી. આ બધાની વચ્ચે ભાજપના એક સાંસદે આ આંદોલનને લઇ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

રાજસ્થાનના દૌસાના ભાજપના સાંસદ જસકૌર મીણાએ કાયદાનો વિરોધ કરતાં ખેડૂતોની તુલના ખાલિસ્તાનીઓ સાથે કરી છે. પોતાના નિવેદનમાં વારંવાર ખેડૂતોને 'આતંકીલ્લ ગણાવ્યા છે. મીણાએ કહ્યું કે વડાપ્રધાન મોદી યુગપુરુષ છે જે દેશને બદલવા માંગે છે અને કૃષિ કાયદો એ તરફનું એક પગલું છે. અહીંથી ના રોકાતા મીણાએ કહ્યું કે ખેડૂત આંદોલનમાં આતંકી એક-૪૭ લઇને બેઠા છે, જે ત્યાં બેઠા છે તે ખાલિસ્તાની છે. જો કે માણીના આ નિવેદન પર ભાજપે એ કહીને આ મુદ્દાને યોગ્ય ગણાવાની કોશિષ કરી કે તેમનો ઇરાદો ખેડૂતોને આતંકી કહેવાનો નહોતો. આ નિવેદન બાદ ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે વિવાદ શરૂ થઇ ગયો. રાજસ્થાનના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાએ કહ્યું કે રાજસ્થાનના લોકો મીણા જી જેવા લોકોને પસંદ કરીને શરમ મહેસૂસ કરી રહ્યા છે જે એક સાંસદ તરીકે આવી ધૃણિત માનસિકતા દેખાડી રહ્યા છે.

(7:35 pm IST)