Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

લોકસભા ચૂંટણી જીતવા 40 જવાનોનું લોહી વહાવડાવવામાં આવ્‍યુઃ પુલવામાના હૂમલા મુદ્દે શિવસેનાના ભાજપ ઉપર પ્રહારો

નવી દિલ્હી: શિવસેનાએ અર્ણબ ગોસ્વામી ચેટ લીક કેસમાં ભાજપ પર સવાલ ઉઠાવતા એક ગંભીર આરોપ લગાવ્યો છે. શિવસેનાએ સામનામાં આરોપ લગાવતા લખ્યુ કે એક તો પુલવામામાં આપણા સૈનિકોની હત્યા આ રાજકીય કાવતરું હતું. લોકસભા ચૂંટણી જીતવા માટે આ 40 જવાનોનું લોહી વહાવડાવવામાં આવ્યુ, આવા આરોપ તે સમયે પણ લાદ્યા હતા. હવે અર્ણબ ગોસ્વામીની જે વૉટ્સએપ ચેટ બહાર આવી છે, તે આ આરોપોને બળ આપનારી છે.

શિવસેનાએ કહ્યુ કે, રાષ્ટ્રીય સુરક્ષા સબંધિત અનેક ગુપ્ત વાતો ગોસ્વામીએ સાર્વજનિક કરી દીધી, જેની પર ભાજપ ‘તાંડવ’ કેમ નથી કરતી? ચીને લદ્દાખમાં ઘુસીને ભારતની જમીન પર કબજો કરી લીધો. ચીન પાછળ હટવા તૈયાર નથી, તેની પર ‘તાંડવ’ કેમ નથી થતો? ગોસ્વામીને ગુપ્ત જાણકારી આપીને રાષ્ટ્રીય સુરક્ષાના ધજાગરા ઉડાવનારા અસલમાં કોણ હતા, જરા ખબર પડવા દો! ગોસ્વામી દ્વારા 40 જવાનોની હત્યા પર આનંદ વ્યક્ત કરવો, આ દેશ, દેવ અને ધર્મનું જ અપમાન છે.

અર્ણબ પર તાંડવ ક્યારે થશે

સામનામાં ભાજપને આડે હાથ લેતા લખવામાં આવ્યુ છે કે જે ભાજપ ‘તાંડવ’ના વિરોધમાં ઉભી છે, બીજી તરફ ભારત માતાનું અપમાન કરનારા તે અર્ણબ ગોસ્વામી મામલે મોઢામાં આંગળી દબાવીને ચુપ કેમ બેઠી છે? ભારતીય સૈનિકો અને તેમની શહીદીનું અપમાન જેટલુ અર્ણબ ગોસ્વામીએ કર્યુ છે, એટલુ અપમાન પાકિસ્તાનીઓએ પણ નહી કર્યુ હોય.

કોંગ્રેસે પણ તપાસની માંગ કરી

કોંગ્રેસના સીનિયર નેતા અને પૂર્વ સંરક્ષણ મંત્રી એકે એન્ટની સહિત સુશીલ કુમાર શિંદે, સલમાન ખુર્શીદ અને ગુલામનબી આઝાદે પણ પત્રકાર પરિષદમાં આ કેસની તપાસ કરાવવા અને સરકારી ગુપ્ત અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે. આખા કેસને દેશદ્રોહ ગણાવતા કોંગ્રેસ નેતાઓએ આ મુદ્દાને સંસદ સત્રમાં ઉઠાવવાના પણ સંકેત આપ્યા છે. આ પ્રકરણમાં જે સત્ય છે, તેને સરકારે બહાર લાવવુ જોઇએ.

(5:33 pm IST)