Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

મધ્યમ વર્ગને ટેકસ રાહતો આપવાની તૈયારીઓ પૂર્ણ

જેટલી જાન્યુઆરીના અંત સુધી ભારત પરત ફરશે : ચૂંટણીને ધ્યાનમાં લઇને બજેટમાં ટેકસ વ્યવસ્થાને વધારે લોકલક્ષી બનાવવા માટેની તૈયારી : વાતચીતનો દોર જારી

નવી દિલ્હી,તા. ૨૧: નાણાંપ્રધાન અરૂણ જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે વચગાળાના બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. આ બજેટમાં કેટલાક લોકલક્ષી પગલા લેવામાં આવી શકે છે. બજેટમાં ચૂંટણીને ધ્યાનમાં લઇને મોદી સરકાર કરવેરા વ્યવસ્થાને વધારે લોકલક્ષી બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી શકે છે. મધ્યમ વર્ગની નારાજગી દુર કરવાના હેતુથી બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદાને વધારી દેવામાં આવી શકે છે. હાલમાં જે મુક્તિ મર્યાદા છે તેને કેટલા સુધી વધારી દેવામાં આવનાર છે તેની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ખુબ અસરકારક પગલા લેવાની તૈયારી ચાલી રહી છે. મળેલી માહિતી મુજબ જેટલી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટેની  ફાળવણીમાં વધારો કરે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરનાર છે. વર્ષ ૨૦૧૬ની શરૂઆતમાં લોંચ કરવામાં આવેલી અપગ્રેડેડ પાક વીમા સ્કીમ હેઠળ ખેડુતોને ખુબ ઓછુ પ્રિમિયમ ચુકવવુ પડે છે. સાથે સાથે પાકના નુકસાન બદલ ફુલ ક્લેઇમ મળે છે. સુત્રોના કહેવા મુજબ આ સ્કીમ માટેની ફાળવણીમાં જંગી વધારો કરવામાં આવી શકે છે. આ ફ્લેગશીપ સ્કીમ માટે આગામી નાણાંકીય વર્ષ માટે બજેટમાં જંગી ફાળવણીની માંગ કરવામાં આવી ચુકી છે. જો કે મંત્રાલય સ્કીમના મહત્વને ધ્યાનમાં લઇને નાણાં મંત્રાલય પાસેથી વધારે ફંડ મેળવે તેવી શક્યતા દેખાઇ રહી છે. અગાઉ સરકારે આ સ્કીમ માટે ૯૦.૦૦૭૫ અબજ   રૂપિયા અથવા તો ૯૦૦૦.૭૫ કરોડ આપ્યા હતા. જો કે પુરક માંગ મારફતે ૧૭.૦૧ અબજ રૂપિયા અથવા તો ૧૭૦૧ કરોડ રૂપિયાની વધારાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી.

 જાણકાર લોકો કહે છે કે વર્ષ ૨૦૧૬-૧૭ના પાક વર્ષ દરમિયાન ૫.૭૦ કરોડ ખેડુતો દ્વારા પાક વીમા પોલીસીની ખરીદી કરવામાં આવી હતી. પ્રિમિયમ પર કોઇ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. બજેટમાં ઉદ્યોગજગતને રાજી કરવા અને ખેડુતો તેમજ યુવાનોની નારાજગીને દુર કરવા માટે વિવિધ પગલા લેવામાં આવી શકે છે.

(3:56 pm IST)