News of Thursday, 10th June 2021
રાજકોટ તા. ૧૦ : કોરોના કાળમાં અનેક લોકોની રોજગારી અને આર્થિક સ્થિતિને અસર પડી છે ત્યારે વાલીઓને રાહત આપવા રાજ્ય સરકાર ફી ઘટાડો કરવા ગંભીર વિચારણા હાથ ધરી છે.
ગત વર્ષે શાળાની ફીમાં ૨૫ ટકાનો ઘટાડો કર્યા બાદ રાજય સરકાર આ વર્ષે પણ શાળા ફીમાં થોડો ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે. વરિષ્ઠ અધિકારીએ આ બાબતે જણાવ્યું હતું હતું કે, 'સરકાર આ વર્ષે પણ વિદ્યાર્થીઓના વાલીઓને રાહત આપવાના હેતુસર શાળાની ફી ઘટાડવાનો વિચાર કરી રહી છે. આ ઘટાડો કોવિડ પહેલા શાળાની જે ફી હતી તેના પર ૧૦% થી ૧૫%ની રેન્જમાં હશે. જોકે આ બાબતે અંતિમ નિર્ણય સરકાર તમામ હિસ્સેદારો સાથે વાત કર્યા બાદ લેશે'
ખાસ કરીને રાજયમાં થોડા સમયથી કોરોનાની બીજી લહેરના કારણે મુસાફરી અને અન્ય પ્રતિબંધોની અસર ધંધા-વેપાર અને નોકરી બંને પર અસર થતાં કોવિડ -૧૯ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજયમાં ૨૦,૦૦૦ જેટલી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ છે જે સરકારના આ નિર્ણયથી પ્રભાવિત થશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
કોવિડ -૧૯ ના કારણે જેમના માતા-પિતાનું મોત નીપજયું છે તેવા વિદ્યાર્થીઓની ફી ઓછી કરી દીધી છે. તેમણે કહ્યું કે શાળાઓએ એવા વિદ્યાર્થીઓને કેસ-ટુ-કેસ આધારે રાહત આપવા પણ વિચારી રહી છે કે જેમના પરિવારો આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, રાજય સરકારે તમામ ખાનગી શાળાઓને શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માટે વાર્ષિક શાળા ફી ૨૫% ઘટાડવા નિર્દેશ આપ્યો હતો. આ પગલાથી ૩૦ લાખથી વધુ બાળકોનાં માતા-પિતાને રાહત મળી હોવાની અપેક્ષા છે.
રાજયની તમામ ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓના વાલીઓના પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં રાજય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગયા વર્ષે ગુજરાત હાઇકોર્ટે આ મામલે દખલ કરવાનો ઇનકાર કર્યો હતો અને રાજય સરકારને શાળા ફીમાં ફેરફાર કરવા માટે નિર્ણય લેવા જણાવ્યું હતું. જે બાદ રાજય સરકારે ૨૫ ટકા ફી ઘટાડવા અંગે નિર્ણય કર્યો હતો.
ફી મુદ્દે અદાલતની દખલ માંગતી અરજીનો નિકાલ કરતી વખતે, હાઈકોર્ટે કહ્યું હતું કે સરકાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને એપેડેમિક ડિસિઝ એકટ હેઠળ 'સ્વતંત્ર નિર્ણય' લઈ શકે છે, જે કોવિડ -૧૯ મહામારીના કારણે અમલમાં છે.
ગત ઓગસ્ટ મહિનામાં હાઇકોર્ટે સરકારના આદેશને રદ કર્યો હતો, જેમાં ખાનગી શાળાઓને ફરીથી ખોલ્યા સુધી ટ્યુશન ફી વસૂલવા પર પ્રતિબંધ મૂકયો હતો. કોર્ટે સરકારને ખાનગી શાળાઓના પ્રતિનિધિઓ સાથે બેસવા અને ફી મુદ્દે સમાધાન શોધવા પણ જણાવ્યું હતું.
શિક્ષણ ફી બાબતે સરકાર દ્વારા જરૂર પડે નિર્ણય લેવામાં આવશે. શાળાના સંચાલકો દ્વારા ૭૫ ટકા ફી લીધી છે, તો કેવી રીતે તેમને ટેકસમાં માફી આપી શકાય. જો શાળાઓએ ફી ન લીધી હોય તો જ તેમને ટેકસ માફી માટે વિચારી શકાય. કોરોના દરમિયાન હોટલ સંપૂર્ણ બંધ હતી. એટલે તેમને ટેકસમાં છુટ આપી છે. હજુ શિક્ષણ સત્રની શરૂઆત થઈ છે. આ સત્ર કેવું જશે એ કહેવું મુશ્કેલ છે. સ્થિતિ કેવી રહેશે તે ખબર નથી. ભવિષ્યમાં સમય પ્રમાણે ફી બાબતે નિર્ણય કરીશું.