Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ભારતને બાસમતી ચોખાના ટ્રેડમાર્ક સામે પાકિસ્તાનનો વિરોધ

પાડોશી પાકિસ્તાન સાથે ભારતનો વધુ એક વિવાદ : ભારતની અરજી સ્વિકારાય તો યૂરોપીય યૂનિયનમાં બાસમતીના ટાઈટલનો હક ભારતને મળી જશે

નવી દિલ્હી, તા. ૯ : ભારત અને પાકિસ્તાનની ખાણીપીણીમાં બાસમતી ચોખાનું વિશેષ સ્થાન છે. બાસમતી ચોખા વિના પુલાવ અથવા બિરયાનીની કલ્પના કરવી મુશ્કેલ છે. પરંતુ હવે આ બે પાડોશી દેશો વચ્ચે બાસમતી ચોખાને કારણે વિવાદ ઉભો થયો છે. ભારતે બાસમતીના વિશેષ ટ્રેડમાર્ક માટે યૂરોપિયન યૂનિયનમાં અરજી કરી છે. આ અરજી સ્વીકારવામાં આવે તો યૂરોપીય યૂનિયનમાં બાસમતીના ટાઈટલનો હક ભારતને મળી જશે, પરંતુ પાકિસ્તાન તેનો વિરોધ કરી રહ્યું છે.

પ્રોટેક્ડેટ જિઓગ્રાફિકલ ઈન્ડિકેશન(પીજીઆઈ)નો દરજ્જો એવા ખાસ ભૌગોલિક ક્ષેત્ર સાથે જોડાયેલા ઉત્પાદનો માટે ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ પૂરું પાડે છે જ્યાં તેના ઉત્પાદન અથવા તૈયારીનો ઓછામાં ઓછો એક તબક્કો સંપૂર્ણ થતો હોય. ઉલ્લેખનીય છે કે ભારતને દાર્જિલિંગ ચા, કોલંબિયાને કૉફી તેમજ અનેક ફ્રેન્ચ વસ્તુઓને પણ પીજીઆઈ ટેગ મળેલ છે. આવી વસ્તુઓની નકલ કરવામાં આવે તો કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે અને બજારમાં તેની કિંમત પણ વધારે હોય છે.

નોંધનીય છે કે દુનિયાભરમાં બાસમતીની નિકાસ માત્ર ભારત અને પાકિસ્તાન જ કરે છે. સંયુક્ત રાષ્ટ્રના આંકડા અનુસાર, દુનિયામાં સૌથી વધારે બાસમતીની નિકાસ ભારત દ્વારા કરવામાં આવે છે, જેની વાર્ષિક આવક ૬.૮ અબજ ડોલર છે. પાકિસ્તાન ૨.૨ અબજ ડોલર સાથે ચોથા ક્રમાંકે છે. પાકિસ્તાને યુરોપિયન કમિશનમાં ભારતની અરજીનો વિરોધ કર્યો છે. લાહોરની અલ-બરકત રાઈસ મિલ્સના માલિક ગુલામ મુર્તઝા કહે છે કે, આ અમારા માટે પરમાણુ બોમ્બ ફેંકવા સમાન છે. તેઓ અમારા બજારોને જપ્ત કરવા માંગે છે.

પાકિસ્તાને પાછલા ત્રણ વર્ષમાં યૂરોપિયન સંઘને બાસમતીની નિકાસ વધારી છે. સંઘના આંકડા અનુસાર, હવે પાકિસ્તાન ક્ષેત્રની લગભગ ૩,૦૦,૦૦૦ ટન વાર્ષિક માંગના બે-તૃતિયાંશ ભાગની પૂર્તિ કરે છે. પાકિસ્તાન રાઈસ એક્સપોર્ટર્સ અસોસિએશનના ઉપાધ્યક્ષ મલિક ફૈસલ જહાંગીરનો દાવો છે કે પાકિસ્તાની બાસમતી વધારે જૈવિક અને સારી ગુણવત્તાના હોય છે.

ભારતનું કહેવું છે કે, તેણે પોતાની અરજીમાં હિમાલયની તળેટીમાં ઉગાવવામાં આવતા ખાસ ચોખાના એકમાત્ર ઉત્પાદક હોવાને દાવો નથી કર્યો, પરંતુ પીજીઆઈનો ટેગ મળવાથી તેમને આ માન્યતા મળી જશે. ઈન્ડિયન રાઈસ એક્સપોર્ટર્સ અસોસિએશનના પૂર્વ અધ્યક્ષ વિજય સેતિયા જણાવે છે કે, ભારત અને પાકિસ્તાન લગભગ ૪૦ વર્ષથી અલગ અલગ બજારોમાં વિવાદ વિના બાસમતીની નિકાસ કરી રહ્યા છે. બન્ને વચ્ચે હેલ્ધી કોમ્પિટિશન છે. મને નથી લાગતું કે પીજીઆઈને કારણે કંઈ બદલાશે.

યૂરોપિયન કમિશનના એક પ્રવક્તાએ કહ્યું કે, નિયમો અનુસાર બન્ને દેશોએ સપ્ટેમ્બર સુધી એક સૌહાર્દપૂર્ણ પ્રસ્તાવ પર વાતચીત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કાયદાકીય રિસર્ચર ડેલ્ફિન મૈરી-વિવયન જણાવે છે કે, ઐતિહાસિક રીતે જોવા જઈએ તો બાસમતીને લઈને બન્ને ભારત અને પાકિસ્તાન એકસમાન છે.

(12:00 am IST)