Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

કૃષિ કાયદાઓ વિરૂદ્ધ આંદોલન દરમિયાન 248 ખેડૂતોના મોત થયા : સૌથી વધુ પંજાબના કિસાનોએ જીવ ગુમાવ્યો

પંજાબમાં પાછલા વર્ષે 261 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી : સંયુક્ત કિસાન મોરચા

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોના લગભગ 87 દિવસોના આંદોલન દરમિયાન 248 ખેડૂતોના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે.

કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા સંયુક્ત કિસાન મોરચા (SKM) દ્વારા એકત્રિત કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, મૃતકોમાંથી 202 ખેડૂત પંજાબ, 36 હરિયાણા, છ ઉત્તર પ્રદેશ, એક-એક મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડૂ અને ઉત્તરાખંડના છે.

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, મોટાભાગના મોત હાર્ટ એટેકના કારણે, ઠંડીના કારણે બિમાર પડી જવાથી અને દૂર્ઘટનાઓમાં થઈ છે. આ આંકડા 26 નવેમ્બર 2020થી આ વર્ષે 20 ફેબ્રુઆરી વચ્ચે ભેગા કરવામાં આવ્યા છે.

સંયુક્ત કિસાન મોરચાનું કહેવું છે કે, પંજાબમાં પાછલા વર્ષે 261 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.

પાછલા વર્ષે જ્યાં સરેરાશ પ્રતિ સપ્તાહ પાંચ ખેડૂતોએ આત્મહત્યા કરી. જ્યારે કેન્દ્રના કૃષિ કાયદાઓના વિરોધ દરમિયાન પાછલા ત્રણ મહિનાઓ એટલે 26 નવેમ્બરથી 19 ફેબ્રુઆરી વચ્ચે દિલ્હીની બોર્ડર અને પંજાબના કેટલાક ભાગોમાં પ્રતિ સપ્તાહ 16 ખેડૂતોએ આત્મહત્યા કરવાના કેસ સામે આવ્યા છે.

રિપોર્ટ અનુસાર, આ વર્ષે જાન્યુઆરીમાં જ્યારે ઠંડી પોતાની ચરમસીમા ઉપર હતી, તે વખતે લગભગ 120 ખેડૂતોના મોત થયા, જેમાં પંજાબના જ 108 ખેડૂત હતા.

જેમાંથી મોટાભાગના ખેડૂત દિલ્હીની બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યાં છે, જ્યારે કેટલાક અન્યની વિરોધ પ્રદર્શનોમાં આવવા-જવા દરમિયાન અકસ્માતમાં મોત થયા છે.

આ મહિને 19 ફેબ્રુઆરી સુધી પંજાબના 41 ખેડૂતોના મોત થયા. આ સમગાળા દરમિયાન અન્ય રાજ્યોના લગભગ 10 ખેડૂતોના મોત થયા.

પાછલા વર્ષે ડિસેમ્બરમાં પંજાબના 48 ખેડૂત અને હરિયાણાના લગભગ 10 ખેડૂતોના મોત થયા. 26 જાન્યુઆરીએ જ્યારે ખેડૂતોએ કૃષિ કાયદાઓ વિરૂદ્ધ પંજાબથી દિલ્હી આવ્યા ત્યારથી અત્યાર સુધી 30 નવેમ્બર 2020 સુધી પંજાબના પાંચ ખેડૂતોના મોત થયા હતા.

ભારતીય કિસાન યૂનિયને મહાસચિવ જગમોહન સિંહે કહ્યું, ‘આપણા ખેડૂત વિષમ પરિસ્થિતિઓમાં પણ ટ્રેક્ટર ટ્રોલીમાં આવી રહ્યાં છે. અહીં સ્વચ્છતા પણ નથી, કેમ કે રસ્તાઓ પર સ્વચ્છ શૌચાલય નથી, જેના કારણે અનેક ખેડૂત બિમાર પડ્યા અને ઠંડી, હાર્ટ એટેક આવવાથી, બ્રેન હેમરેજ, ડાયાબિટીશ અને નિમોનિયા જેવી બિમારીઓના કારણે ખેડૂતોના મોત થયા. અનેક ખેડૂતોના મોત અકસ્માતમાં પણ થઈ ગયા છે.’

તેમને કહ્યું કે, અનેક ખેડૂતોને સમય પર ચિકિત્સા સહાયતા ના મળવાના કારણે તેમનું મોત થઈ ગયું.

આંકડાઓ અનુસાર, દરેક ઉંમર વર્ગ (18થી 85 વર્ષ)ના ખેડૂતોના મોત થયા છે.

જગમોહને કહ્યું, “આ હત્યાઓ છે કેમ કે ખેડૂતો દિલ્હી બોર્ડર પર પહોંચ્યા તેના એક સપ્તાહની અંદર સરકારે સમસ્યાઓ ઉકેલી દેવી જોઈતી હતી, પરંતુ સરકાર પોતાના જ લોકો પ્રત્યે ઉદાસીન હતી”

વધુ એક ખેડૂત નેતા ધર્મેન્દ્ર પશૌરે કહ્યું કે, પાછલા વર્ષે જાન્યુઆરીમાં 12 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. ફેબ્રુઆરીમાં 20, માર્ચમાં 9, એપ્રિલમાં 16, જ્યારે 15 મેથી 20 જૂન વચ્ચે 15 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી હતી.

રિપોર્ટ અનુસાર, પાછલા પાંચ મહિનાઓમાં 20 જૂનથી 19 ઓક્ટોબર (2020) વચ્ચે 93 ખેડૂતઓ આત્મહત્યા કરી એટલે દર મહિને સરેરાશ 18થી 19 ખેડૂતોએ આત્મહત્યા કરી.

જોકે, 20 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર (2020) વચ્ચે 96 ખેડૂતોએ આત્મહત્યા કરી, કારણ કે કેન્દ્ર સરકારે કૃષિના ત્રણ વટહુકમોને કાયદામાં પરિવર્તિત કરતાં ખેડુતો નિરાશ થયા હતા. તે ઉપરાંત પાછલા વર્ષે 14 ઓક્ટોબરે કેન્દ્ર સાથે ખેડૂતોની વાતચીત પણ અસફળ રહી હતી.

બીકેયૂના મહાસચિવ સુખદેવ સિંહ કોકરીકલાંનુ કહેવું છે કે, સરકારની ક્રૂરતાના કારણે 20થી 40 વર્ષ ઉંમરની વચ્ચેના ખેડૂતોના મોત થયા. તેમને કહ્યું, ‘અમે તેમના સંઘર્ષને વ્યર્થ જવા દઈશું નહીં. જ્યાર સુધી અમારી માંગોને માનવામાં આવશે નહીં, અમે પોતાની લડાઈ ચાલું રાખીશું.’

મહેસૂલ અને સુધારણા વિભાગના અધિક મુખ્ય સચિવ અને નાણાંકીય કમિશનર વિશ્વજીત ખન્નાએ જણાવ્યું હતું કે, પંજાબ સરકાર કૃષિ કાયદાઓના વિરોધ દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા ખેડુતોના પરિવારોને પાંચ લાખ રૂપિયા વળતર આપી રહી છે.આ અનુદાન મુખ્યમંત્રીના ભંડોળમાંથી આપવામાં આવી રહી છે.

સૂત્રો અનુસાર, સરકાર દ્વારા લગભગ મૃતક ખેડુતોના પરિવારજનોને વળતર આપવામાં આવ્યું છે.કોકરીકલાંએ કહ્યું-“માલવા વિસ્તારમાં વિરોધ દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા 100 જેટલા ખેડુતોના પરિવારોને વળતર આપવામાં આવ્યું છે”.

(11:07 pm IST)