Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ભત્રીજાની પત્નીને કોલસા તસ્કરી મામલે નોટીસ મળતા મમતા બેનર્જી તાડુક્યા : કહ્યું બંદૂકોથી લડવાવાળા ઉંદરથી ડરતા નથી

તેમણે કહ્યુ હતું કે, જ્યાં સુધી જીવતી છું, ત્યાં સુધી આવી ધમકીઓથી ડરતી નથી

કોલકતા : સીબીઆઈએ શનિવારે ટીએમસી સાંસદ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેત બેનર્જીની પત્નીને કોલસા તસ્કરી મામલે નોટિસ મોકલી છે. નોટિસ પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ હતું કે, જ્યાં સુધી જીવતી છું, ત્યાં સુધી આવી ધમકીઓથી ડરતી નથી.

મમતાએ વધુમાં કહ્યુ હતું કે, બંદૂકોથી લડવાવાળા ઉંદરથી ડરતા નથી. અમે ધમકીઓથી ડરવાવાળા નથી. બંગાળની ટિકા કરતા લોકો જાણતા નથી કે, બંગાળ શું છે. અમારી કરોડરજ્જૂ તોડવી આસાન નથી.

આ અગાઉ સીબીઆઈની નોટિસ પર અભિષેક બેનર્જીએ ટ્વિટ કરી કહ્યુ હતું કે, આજે બપોરે 2 કલાકે સીબીઆઈએ મારી પત્નીના નામે એક નોટિસ મોકલી છે. મને દેશના કાયદા પર પુરો વિશ્વાસ છે. જો કે, તેમને એવુ લાગતુ હોય કે, આવી રીતે કરવાથી અમે ડરી જઈશું, તો તેઓ ભૂલમાં જાય છે. અમે ક્યારેય ઝૂકવાવાળા લોકોમાં નથી આવતા

(12:00 am IST)