Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

વ્યાજ દરમાં છઠ્ઠીવાર ઘટાડો કરાશે : કાલથી RBI બેઠક

વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો થશે : એમસીપીની મિટિંગના પરિણામો પાંચમી ડિસેમ્બરે જાહેર થશે : આર્થિક મંદી વચ્ચે વિકાસને વેગ આપવા આયોજન

મુંબઈ, તા. ૨ : આરબીઆઈની પોલિસી સમીક્ષાની બેઠક વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા વચ્ચે આવતીકાલથી શરૂ થઇ રહી છે. આ બેઠકના પરિણામ પાંચમી ડિસેમ્બરના દિવસે જાહેર કરવામાં આવનાર છે. આરબીઆઈ દ્વારા છઠ્ઠી વખત વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા છે. ટોપના ૧૦ અર્થશાસ્ત્રીઓ પૈકીના આઠ દ્વારા રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવશે તેવો દાવો કર્યો છે. આ સપ્તાહમાં રેપોરેટને ઘટાડીને ૪.૯ ટકા કરવામાં આવી શકે છે. રિઝર્વ બેંક દ્વારા ફુગાવાને ધ્યાનમાં લઇને આ ઘટાડો કરશે. ફુગાવાની સ્થિતિ ઓક્ટોબર મહિનામાં ૪.૬૨ ટકા હતી. ઓક્ટોબર પોલિસીમાં આરબીઆઈએ સીપીઆઈ ફુગાવો ૩.૫થી ૩.૭ ટકા રહેવાની વાત કરી હતી. આર્થિક વિકાસદર હાલમાં ઘટી ગયો છે.

          આઠ અર્થશાસ્ત્રીઓ વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરાશે તેમ માની રહ્યા છે જ્યારે બે અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે, વ્યાજદરમાં ૧૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવશે.  આ વર્ષે પાંચ વખત આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં કુલ ૧૩૫ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરી દીધો છે. પોલિસી મેકર્સ માની રહ્યા છે કે, એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં તેજી લાવવા માટે હજુ ઘટાડો જરૂરી છે. ગયા સપ્તાહના નબળા ડેટાથી આ માનવા માટેનું કારણ કે, વ્યાજદરમાં હજુ ઘટાડો કરવામાં આવશે. આગામી બેઠકમાં ૨૫ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરવામાં આવી શકે છે. વિકાસદર ઘટીને ૫.૬ ટકા સુધી પહોંચી ચુક્યો છે. આર્થિક મંદીની સાથે સાથે વૈશ્વિક માંગ પણ ઘટી રહી છે. રોકાણકારો રિપરચેઝ રેટને લઇને સટ્ટો લગાવી રહ્યા છે.

          રિપરચેઝ રેટ હાલમાં ૫.૧૫ ટકા છે. આગામી ૧૨ મહિનામાં તે ઘટીને ૫ ટકા રહી શકે છે. માર્ચના અંત સુધી તે ઘટીને ૫.૭૫ ટકા થઇ શકે છે. આગામી મહિનાઓમાં હાલ મંદી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. આર્થિક સુસ્તી વચ્ચે રિઝર્વ બેંક રેટમાં વધુ કાપ મુકીને આગળ વધી શકે છે. આરબીઆઈ રેટમાં કાપ મુકવા ઇચ્છુક છે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓ પણ આવો જ અભિપ્રાય ધરાવે છે. આ વર્ષે રિઝર્વ બેંકે પોલિસી રેટમાં ૧૩૫ પોઇન્ટ સુધીનો ઘટાડો કરી દીધો છે. વપરાશમાં મંદીને લઇને પણ ચિંતા પ્રવર્તી રહી છે. આરબીઆઈ દ્વારા નાણાંકીય પોલિસી સમીક્ષામાં કયા નિર્ણય લેવાશે તેને લઇને કોર્પોરેટ જગતની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.

(7:52 pm IST)