Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

GST અંગે આજથી આ નિયમ લાગૂઃ વેપારીઓ પર સીધી અસર થશે

મોદી સરકારે ઇન્કમટેકસ બાદ GSTમાં DIN (Document Identification Number)ને લાગૂ કરી દીધો છે

નવી દિલ્હી, તા.૮: કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદી સરકારે  ઇન્કમટેકસ બાદ GSTમાં DIN (Document Identification Number)ને લાગૂ કર્યો છે. દેશના વેપારીઓના હિતોના રક્ષણ માટે આવું પગલું ભરવામાં આવ્યું છે. CBIC (Central Board of Indirect Taxes)ના આદેશ પ્રમાણે DINનો ઉપયોગ એવા GST કેસોમાં થશે, જેની ઇન્કવાયરી ચાલી રહી હોય અને જેમની સામે અરેસ્ટ કે સર્ચ વોરંટ નીકળ્યું હોય. CBIC પ્રમાણે ૮મી નવેમ્બર પછી જે પણ કાગળ જાહેર થશે તેમાં DIN આપવો જરૂરી છે.

હવે શું થશેઃ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નાણા મંત્રાલયની પહેલ બાદ આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. હવે વિભાગ તરફથી જાહેર કરવામાં આવનાર તમામ નોટિસો પર કોમ્પ્યુટર જનરેટેડ ડોકયુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર (DIN) હશે. સાથે જ નવા નિર્ણય પ્રમાણે આ નંબર ટેકસપેયર્સને મળતા તમામ ડોકટુમેન્ટ્સ પર જરૂરી બની ગયો છે. આ સિસ્ટમથી ટેકસ એડમિનિસ્ટ્રેશનમાં વધારે પાદર્શકતા લાવી શકાશે તેમજ જવાબદારી નક્કી કરી શકાશે.

શું હોય છો DIN:  ટેકસ ડિપાર્ટમેન્ટ જે નોટિસ બહાર પાડે છે તેમાં કોમ્પ્યુટર જનરેટેડ DIN (Document identification number) હોય છે. જો કોઈ પણ નોટિસ પર આ નંબર નથી તો તેનો મતલબ એવો થાય કે આ નોટિસ કાયદેસર નથી.

DIN વગર નોટિસ માન્ય નહીં ગણાયઃ રેવન્યૂ સચિવ ડો. અજય ભૂષણ પાંડેયનું કહેવું છે કે અપ્રત્યક્ષ ટેકસ પર સરકારમાં સૌથી પહેલા DINનો ઉપયોગ કોઈ પણ તપાસ પ્રક્રિયા માટે પાઠવવામાં આવેલા સમન્સ, તપાસ માટે અધિકૃત કરવા માટે, ધરપકડ વોરંટ, તપાસ નોટિસ અને પત્રો પર કરવામાં આવશે.

  જો કોમ્પ્યુટર જનરેટેડ DIN વગર કોઈ પત્ર-વ્યવહાર કરે છે તો તે અમાન્ય ગણાશે. કાયદાકીય રીતે આ ખોટું ગણાશે અને એવું માની લેવામાં આવશે કે આવો પત્ર કયારેય જાહેર જ નથી થયો.

DINના નિર્ણય તમામ પ્રકારના પત્ર-વ્યવહારના યોગ્ય ઓડિટ જાણકારીઓને યોગ્ય રીતે ડિજિટલ ડિરેકટરીમાં સ્ટોર કરવા માટે કરવામાં આવે છે.

 DIN વાળા તમામ પત્રોની ખરાઈ ઓનલાઇન પોર્ટલ cbicddm.gov.in પર કરી શકાશે. ૫ નવેમ્બર, ૨૦૧૯ના રોજ જાહેર સકર્યુલર પ્રમાણે જો હવેથી આ પ્રકારની નોટિસ જાહેર થશે તો તે માન્ય નહીં ગણાય.

(3:17 pm IST)