Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે રાજસ્થાનથી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારીફોર્મ ભર્યું

મુખ્યમંત્રી અશોક ગેહલોત, નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ,રાજ્યના પ્રભારી સહિતના ઉપસ્થિત

 

જયપુર :દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો.મનમોહનસિંઘે રાજસ્થાનની રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

રાજસ્થાન વિધાનસભામાં ચૂંટણીના રિટર્નિંગ ઓફિસરની ચેમ્બરમાં ડો.મનમોહનસિંઘે ફોર્મ ભર્યું, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત, નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ, એઆઈસીસી જનરલ સેક્રેટરી અને રાજ્યના પ્રભારી અવિનાશ પાંડે, રાજ્યના સંસદીય કાર્યમંત્રી શાંતિ ધારીવાલ, ચીફ વ્હીપ મહેશ જોષી, આરોગ્ય મંત્રી રઘુ શર્મા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

  આ સીટ, ભાજપના રાજ્યસભા સાંસદ મદનલાલ સૈનીના અવસાનથી ખાલી પડી છે. રાજસ્થાનમાં રાજ્યસભાની 10 સીટો છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે અને ડો.મનમોહનસિંઘ જીતની શક્યતા ખૂબ છે.રાજસ્થાન વિધાનસભાની કુલ 200 સીટ છે, જે પૈકી બે સીટ ખાલી પડી છે. આંકડાનું ગણિત જોઈએ તો કોંગ્રેસ અને સહયોગી પક્ષોની 100 સીટ, ભાજપ પાસે 72 સીટ, બીએસપી પાસે 6 સીટ, ભારતીય ટ્રાયબલ પાર્ટી, સીપીઆઈ(એમ) અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી પાસે બે-બે સીટ છે. જ્યારે 13 ધારાસભ્યો અપક્ષના છે અને બે સીટ ખાલી છે. અપક્ષના 13 પૈકી 12 ધારાસભ્યોએ કોંગ્રેસની સરકારને ટેકો આપેલો છે.

(12:49 am IST)