Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

લંડન મુકામે હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનારનું આયોજન

યુવાનોએ ધર્મજગતમાં પ્રવર્તી રહેલી અનેક પ્રકારની ગેરમાન્યતાઓથી દૂર રહીને સદાચાર અને પરોપકારના માર્ગે આગળ વધવું જાઈએ: સ્વામી શ્રીમાધવપ્રિયદાસજી

જ્ઞાન-વિજ્ઞાનના અદ્‌ભૂત રહસ્યોને જીવનમાં ચરીતાર્થ કરાવનારો ધર્મ એટલે હિંદુ ધર્મ. માનવીને માનવતાના મૂલ્યની સાથે પ્રકૃતિના મૂલ્ય સમજાવનારો ધર્મ એટલે હિંદુ ધર્મ. ભગવાનના અવતારો, ઋષિઓ, મહાપુરુષો અને શાસ્ત્રો દ્વારા પ્રવર્તેલો ધર્મ એટલે હિંદુ ધર્મ.

          હિંદુ ધર્મની જીવન પદ્ધતિએ વિશ્વના અનેક મહાપુરુષોને આકર્ષ્યા છે. - અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રીમાધવપ્રિયદાસજી વિશ્વના દેશોમાં સત્સંગ વિચરણ દરમિયાન જાહેર સભાઓમાં હિંદુ જીવન પદ્ધતિ વિશે સૌને સજાગ કરી રહ્યા છે.

સ્વામીશ્રીના અભિયાન અંતર્ગત તા. ૩ થી ૭ જુલાઈ, ૨૦૧૯ દરમિયાન લંડન મુકામે હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનારનું આયોજન થયું.

          શ્રીમદ્‌ભાગવતજીને કેન્દ્રમાં રાખીને સ્વામીશ્રીએ જીવનોપયોગી બોધ પાઠવતા જણાવ્યું હતું કે, ‘ઓંકાર, પ્રાણાયામ અને ધ્યાન મનને સ્થિર કરવાનો ઉત્તમ ઉપાય છે. ભગવાનની મૂર્તિના અનુસંધાન સાથે કરેલા જપ અને પ્રાણાયામ સાધકના મનને એકાગ્ર કરવામાં ખૂબ જ ઉપયોગી છે.’

        ‘મંદિરમાં ભગવાન બિરાજતા હોવાથી તેને મંદિર કહેવાય છે. જેમ મંદિરમાં ભગવાન બિરાજે છે તેમ આપણા ઘર મંદિરમાં અને હૃદય મંદિરમાં પણ ભગવાન બિરાજે છે. હૃદયમાં ભગવાન બિરાજતા હોવાથી આપણું શરીર દેવાલય થયું. જેમ દેવાલયમાં અપવિત્ર વસ્તુને પ્રવેશ ન હોય તેમ શરીરમાં પણ અપવિત્ર વસ્તુને પ્રવેશ ન હોય.’

સ્વામીશ્રીએ યુવાનોને ટકોર કરી હતી કે, ‘મીડીયાઓના દુષ્પ્રભાવથી સમય બચાવીને સત્શાસ્ત્રોના વાંચન કરજો. આપણા ઋષિમુનિઓએ           જંગલમાં વસી ફળ, ફૂલ આરોગી સૃષ્ટિના ગહન રહસ્યોનો તાગ મેળવેલો છે. એમણે પ્રબોધેલા જ્ઞાન-વિજ્ઞાનને માણવાનો પ્રયાસ કરજો.’

          સેમિનારના અંતિમ ચરણમાં યોજાએલી પ્રશ્નોત્તરીમાં વિવિધ વિષયોનો સ્પર્શ કરતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે,‘યુવાન જીજ્ઞાસાથી ભરેલો હોવો જાઈએ. જીજ્ઞાસા વિનાનો વ્યક્તિ પોતાની પ્રગતિને રૂંધી દે છે. યુવાનોએ ધર્મજગતમાં પ્રવર્તી રહેલી અનેક પ્રકારની ગેરમાન્યતાઓથી દૂર રહીને સદાચાર અને પરોપકારના માર્ગે આગળ વધવું જાઈએ.’

          સ્વામીશ્રીના સત્સંગનો લાભ લેવા માટે લંડન, વુલ્વીચ, બોલ્ટન, લેસ્ટર, નોર્ધમ્પટન, ઈસ્ટ લંડન, લ્યુટન વગેરે અનેક વિસ્તારોમાંથી વિશાળ સંખ્યામાં યુવાનો તથા ભક્તજનો એકત્રિત થતા હતાં.

          આ સેમિનાર દરમિયાન લંડનમાં નિવાસ કરતાં બાલ-બાલિકા અને બહેનોના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું. નાના બાળકોએ શૌર્ય રસથી ભરપૂર દેશભક્તિના નૃત્યો રજૂ કરી સર્વના મન હરી લીધા હતા. રાષ્ટ્રગાન સાથે કલ્ચરલ પ્રોગ્રામ પૂર્ણ થયો હતો.

          બાલિકા અને બહેનોએ કૃષ્ણ ભક્તિથી યુક્ત રાસ અને નૃત્યો રજૂ કર્યા હતા. ગણેશ વંદના, દશાવતાર નૃત્ય, રૂપક અને સંવાદ દ્વારા અદ્‌ભૂત સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી પ્રેક્ષકોએ કાર્યક્રમને તાલીઓના નાદથી વધાવી લીધો હતો.

          સેમિનારની અંતિમ રાત્રે ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર શ્રીજગદીશ ત્રિવેદીએ સૌને પેટ પકડીને હસાવ્યા હતા. જગદીશ ત્રિવેદીએ હાસ્યરસની હેલી વચ્ચે જીવન પ્રેરક વાર્તાઓ દ્વારા સૌને અદ્‌ભૂત બોધ પાઠવ્યો હતો.

          લંડન નિવાસી ગુરુકુલ પરિવારના યુવાન ભાઈ-બહેનો તથા ઈસ્ટ લંડનના સ્વયંસેવકોએ સેમિનારને સફળ બનાવવા રાત્રી-દિવસ સેવાઓ કરી હતી.

 

(1:03 pm IST)