Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો : શિવસેનામાં ઇન

કોંગ્રેસમાં મહિલાઓનું સન્માન નથી : પ્રિયંકા ચતુર્વેદી : કોંગ્રેસ સાથે લાંબા સમય સુધી કામ કર્યા બાદ હવે તમામ રીતે છેડો ફાડ્યો : ચૂંટણી વેળા કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો

નવી દિલ્હી, તા. ૧૯ : કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી ધારણા પ્રમાણે જ કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડીને આજે શિવસેનામાં સામેલ થઇ ગયા હતા. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો  અંત આવ્યો હતો. મથુરામાં થયેલી ઘટનાના વિરોધમાં પ્રિયંકાએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું હતું. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને લખવામાં આવેલા પત્રમાં પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું છે કે, પાર્ટીમાં તેમને મળેલી જવાબદાર માટે તેઓ આભાર માને છે. છેલ્લા કેટલાક સમયથી તેમના કામની પાર્ટી દ્વારા નોંધ લેવામાં આવી રહી નથી. શિવસેનાના સાંસદ સંજય રાવત દ્વારા શિવસેનામાં તેમને સામેલ થવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, શિવસેના પ્રિયંકા ચતુર્વેદીનું સ્વાગત કરે છે. શિવસેના માટે સમગ્ર દેશમાં સક્રિય થઇ રહી છે. પ્રિયંકા હવે પાર્ટી માટે કામ કરશે. ટ્વિટર ઉપર મથુરા ઘટનાને લઇને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પ્રિયંકાએ પોતાના ટ્વિટર હેન્ડલથી બાયો ઇન્ટ્રોમાંથી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પદથી પોતાનું નામ દૂર કરી દીધું છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમનું અપમાન કરવામાં આવી રહ્યું હતું. શિવસેનામાં સામેલ થયા બાદ પ્રિયંકાએ કહ્યું હતું કે, તેમની જવાબદારી મુદ્દાન ેલઇને ટિકિટને લઇને કોંગ્રેસ પાર્ટી છોડી નથી. તેમના માતા-પિતા મથુરામાંથી આવે છે પરંતુ ત્યાંથી ટિકિટની માંગ કરી ન હતી. આત્માસન્માનની લડાઈ લડવામાં આવી છે. મહિલા સન્માન તેમના માટે સૌથી મહત્વપૂર્ણ બાબત છે. કોંગ્રેસ અધ્યક્ષને લખેલાપત્રમાં પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું છે કે, ખુબ દુખ સાથે પાર્ટીની પ્રાથમિક સભ્યના હોદ્દા પરથી તેઓ રાજીનામુ આપી રહ્યા છે. છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં પાર્ટી તરફથી અનેક જવાબદારી મળી હતી. અંગત સ્તર પર પણ ઘણી બાબતો શીખવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી એવું લાગી રહ્યું હતું કે, પાર્ટી દ્વારા તેમના કામને મહત્વ આપવામાં આવી રહ્યું નથી. સંગઠન માટે તે જેટલું કામ કરશે તે તેના સન્માન અને ગૌરવ માટે બાંધછોડ સમાન રહેશે. પાર્ટીમાં મહિલાઓના સન્માનની વાત લઇને કહ્યું તું કે, કોંગ્રેસ પાર્ટીમાં મહિલાઓનું સન્માન થઇ રહ્યું નથી. પાર્ટી મહિલા સશક્તિકરણ અને મહિલાના અધિકારોની તરફેણ કરે છે પરંતુ જમીની સ્તર પર કોઇ કામ કરવામાં આવતા નથી. આ ખુબ જ દુખદ બાબત છે કે, પાર્ટીએ આ વિચારધારા ઉપર કામ કર્યું નથી. મથુરામાં પાર્ટીના કાર્યક્રમમાં તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસમાંથી નિકળી ગયા બાદ બીજા ક્ષેત્રમાં ધ્યાન આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. બીજી બાજુ મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પ્રિયંકા થોડાક સમયથી પાર્ટીથી નારાજ હતા. ટિકિટ નહીં મળવાના કારણે નારાજગી દેખાઈ રહી હતી.

(12:00 am IST)