Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ડો. તેજસ પટેલના પ્રયોગને વિશ્વના તબીબો અનુસરશે

પરંપરામાં પરિવર્તન : વિશ્વખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડો. પટેલે અમદાવાદમાં કરેલા પ્રયોગથી તબીબી જગત દંગઃ મારી સફળતા પૂ. પ્રમુખ સ્વામીજીના ચરણોમાં અર્પણઃ ડો. તેજસ પટેલ ડો. પટેલે આધ્યાત્મિક અનુભૂતિની ક્ષણ માણી છે : પૂ. બ્રહ્મવિહારીજી વિશ્વનું ફસ્ટ - ઇન - હ્યુમન ટેલિરોબોટિક કોરોનરી ઇન્ટરવેન્શન પાર પાડનાર ડો. તેજસ પટેલ પર વિશ્વભરમાંથી અભિનંદનો વરસ્યા

અમદાવાદ તા. ૬ : અમદાવાદના એપેકસ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન અને ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. તેજસ પટેલ દ્વારા વિશ્વના ફર્સ્ટ-ઇન-હ્યુમન ટેલિરોબોટિક કોરોનરી ઇન્ટરવેન્શન મારફતે ભારતે તબીબી વિજ્ઞાનના ઇતિહાસમાં એક નોંધપાત્ર સિદ્ઘિ હાંસલ કરી છે.  તેમણે ફર્સ્ટ-ઇન-હ્યુમન (FIH) ટેલિરોબોટિક કોરોનરી ઇન્ટરવેન્શન માટે કોરિન્ડસ વેસ્કયુલર રોબોટિકસ, ઇન્ક. (NYSE American: CVRS)ની CorPath® ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો.

આ વિશ્વનું સૌપ્રથમ પરકયુટેનસ કોરોનરી ઇન્ટરવેન્શન (PCI) છે, જે કેથિરાઇઝેશન લેબની બહાર રિમોટ લોકેશન પરથી હાથ ધરાયું છે. ડો. તેજસ પટેલ દ્વારા આ PCI પ્રક્રિયા અમદાવાદ સ્થિત એપેકસ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની કેથિરાઇઝેશન લેબથી લગભગ ૩૨ કિમીના અંતરે આવેલા સ્વામીનારાયણ અક્ષરધામ મંદિરમાંથી હાથ ધરવામાં આવ્યું હતું, જયારો દર્દી અમદાવાદમાં એપેકસ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ડો. સંજય શાહની દેખભાળ હેઠળ હતા.

આ અભ્યાસની સફળતાએ વિશ્વભરમાં મોટા-પાયે, દૂર અંતરના ટેલિરોબોટિક પ્લેટફોર્મ્સ માટે માર્ગ મોકળો કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, બોચા-સણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના સંતો પૂજય શ્રી બ્રહ્મવિહારી સ્વામી અને પૂજય શ્રી ઇશ્વરચરણ સ્વામી આ પ્રસંગે હાજર રહ્યા હતા.

આ પ્રસંગે એપેકસ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન અને ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. તેજસ પટેલે જણાવ્યું હતું કે, 'રોબોટિક PCIનો ફર્સ્ટ-ઇન-હ્યુમન કેસ ઇન્ટરવેન્શનલ મેડિસિન માટે સીમાચિહ્નરૂપ ઘટના રજૂ કરે છે. સ્ટ્રોક સહિતની કાર્ડિયોવેસ્કયુલર બિમારીઓ વિશ્વભરમાં દર વર્ષે લગભગ ૧.૮ કરોડ લોકોના મોત માટેનું મુખ્ય કારણ છે. ભારતમાં ટેલિરોબોટિકસનો ઉપયોગ, અત્યાર સુધી શકય ન હોય તેવી સંભાળની સુલભતા પૂરી પાડીને નોંધપાત્ર સંખ્યામાં લોકો પર પ્રભાવ પાડવાની ક્ષમતા ધરાવે છે. આપણા દેશને પુષ્કળ મહિમા અને વૈશ્વિક આદર અપાવનાર આ ઐતિહાસિક સંશોધનમાં યોગદાન આપવાનું મને ગૌરવ છે.'

ટેલિરોબોટિક કોરોનરી ઇન્ટરવેન્શનલ પ્લેટફોર્મ ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં પસંદગીના અને ઇમર્જન્ટ પરકયુટેનસ કોરોનરી ઇન્ટરવેન્શન અને સ્ટ્રોક માટે દર્દીની સુલભતામાં નાટ્યાત્મક સુધારો લાવવાની ક્ષમતા ધરાવે છે. તે STEMI અને સ્ટ્રોક જેવી ઇમર્જન્ટ પ્રોસિઝર્સની સારવાર માટેનો સમય ઘટાડશે અને ઓપરેટરની કુશળતામાં ભિન્નતા ઘટાડશે અને આમ કિલનિકલ પરિણામ સુધારશે.

કોરિન્ડસના પ્રેસિડેન્ટ અને ચીફ એકિઝકયુટિવ ઓફિસર માર્ક ટોલાન્ડે જણાવ્યું હતું કે, 'સ્ટ્રોક સહિતની કાર્ડિયોવેસ્કયુલર બિમારીઓ નિષ્ણાત ડોકટરો, સમયસર તબીબી સંભાળની મર્યાદિત સગવડોને કારણે વિશ્વની સૌથી નોંધપાત્ર અને ઓછી સારવાર ધરાવતી કિલનિકલ સમસ્યા છે. વૈશ્વિક ગરીબીમાં વધારા અને તાલીમબદ્ઘ નિષ્ણાતોમાં ઘટાડા સહિતના સંભાળ અવરોધોને પરિણામે વિશ્વભરમાં બહુ ઓછી સંખ્યામાં દર્દીઓ જીવન-બચાવ સારવાર મેળવે છે જે મુખ્યત્વે મૃત્ય કે અપંગતામાં પરિણમે છે. અમે માનીએ છીએ કે અમારી ટેકનોલોજી કોઇને પણ, કોઇ પણ સ્થળે નિષ્ણાત અને સમયસર સારવાર પૂરી પાડીને કાર્ડિયોવેસ્કયુલર સારવારમાં ક્રાંતિ લાવશે.'

આ કાર્યક્રમ અને પ્રક્રિયા પહેલાં નિલકંઠ વરણી અભિષેકની નાની આધ્યાત્મિક પૂજા કરવામાં આવી હતી અને શાંતિ અને પ્રગતી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

ડો. પટેલે જણાવ્યું હતું કે, 'હું આ સફળતાને પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કરું છું, જેમના હૃદયની સારવાર કરવાનો મને લહાવો મળ્યો હતો. તેમના હૃદયે મારા હૃદયમાં પરિવર્તન લાવ્યું હતું અને આ ટેકનોલોજી મારફતે હું લાખો લોકોના હૃદયમાં પરિવર્તન લાવવા માગું છું.'

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 'ઉપલબ્ધ અનેક વિકલ્પોમાંથી મેં સ્વામીનારાયણ અક્ષરધામ પસંદ કર્યું કારણ કે હું ઇશ્વરના સાંનિધ્યમાં રહીને તબીબી ઇતિહાસની આ નવીનતમ ઘટના હાથ ધરવા માગતો હતો. મને લાગે છે કે, અક્ષરધામ વિજ્ઞાન અને આધ્યાત્મનું સંગમ સ્થાન હોવાથી પરંપરા અને ટેકનોલોજી માત્ર તબીબી ક્ષેત્રમાં જ નહીં પરંતુ માનવતાના તમામ ક્ષેત્રને શાંતિ અને આધ્યાત્મ, સુગમતા અને સર્જનાત્મકતા પૂરી પાડે છે.'

દર્દીની સારવારના પરિણામો સુધારવા માટે, કોરિન્ડસે સારવારમાં આડે આવતા ભૌગોલિક અવરોધો ધરાવતા પછાત દર્દીઓને નિષ્ણાત અને સમયસર કાર્ડિયોવેસ્કયુલર સંભાળ પૂરી પાડવા માટે વિશ્વનું સૌપ્રથમ ટેલિરોબોટિક ઇન્ટરવેન્શનલ પ્લેટફોર્મ પૂરું પાડવાની પહેલ કરી છે. ભારતમાં હાથ ધરાયેલા સફળ FIH ટેલિરોબોટિક કોરોનરી સ્ટેન્ટિંગ કેસોને પગલે કંપની સ્ટ્રોક સંભાળની માગ સંતોષવા માટે સિસ્ટમ માટે કોમર્શિયલાઇઝેશન પ્લાનિંગ અને તેના ઇન્ટરવેન્શનલ પ્લેટફોર્મને વિસ્તારવાનું વિચારી રહી છે.

બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના પ્રવકતા પૂજય બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે, 'ડો. તેજસ પટેલે પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજના અંગત કાર્ડિયોલોજિસ્ટ તરીકે સેવા આપી છે. તે દરમિયાન તેમને ઊંડા આધ્યાત્મની પળોનો અનુભવ થયો છે. તેમની પોતાની વાર્તા શ્રદ્ઘા અને હૃદય પરિવર્તનની એક નોંધપાત્ર સફર છે. પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજ વર્તમાન સમયના સૌથી વધુ પ્રબુદ્ઘ આધ્યાત્મિક ગુરૂ હતા, જેમણે માનવ જીવન અને વૈશ્વિક મૂલ્યોના વિકાસ માટે વિજ્ઞાન અને આધ્યાત્મને પ્રોત્સાહન આપ્યું હતું. વિશ્વભરમાં પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દીની ઉજવણી થઇ રહી છે, વર્તમાન ૧૦ દિવસનો મહોત્સવ કે જેની લાખો લોકો મુલાકાત લઇ રહ્યાં છે તે આજથી ૫ ડિસેમ્બર ૨૦૧૮થી રાજકોટમાં શરૂ થઇ રહ્યો છે. આ દિવસ તેમના જીવન અને કાર્યોના સન્માનમાં પસંદ કરવામાં આવ્યો છે. માનવતાની સેવા કરવા માટે અમારી તમામ પ્રાર્થનાઓ ડો. તેજસ પટેલ અને સમગ્ર તબીબ જગત સાથે છે, જે વૈજ્ઞાનિક રીતે, આધ્યાત્મિક રીતે અને નીતિમત્તા સાથે માનવ જીવનની ગુણવત્ત્।ાને વધારે છે.'

સ્ટ્રોક સહિતની કાર્ડિયોવેસ્કયુલર બિમારીઓ વિશ્વભરમાં મોત માટેનું પ્રથમ કારણ છે અને તેને કારણે દર વર્ષે ૧.૮ કરોડ લોકોના મોત થાય છે. ભૌગોલિક અવરોધો, સામાજિક આર્થિક સ્થિતિ અને કુશળ નિષ્ણાતોની ઝડપથી ઘટતી જતી સંખ્યા દર્દીઓની સમયસર, નિષ્ણાત કાર્ડિયોવેસ્કયુલર સંભાળ માટેની સુલભતાને નોંધપાત્ર રીતે અવરોધે છે. હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ઇમરજન્સીવાળી તબીબી ઘટનાઓમાં આ સંભાળ અત્યંત મહત્વની છે. હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ઘટનાઓ દરમિયાન મોત કે કાયમી અપંગતા ટાળવા માટે અનુક્રમે ૯૦ મિનિટ અથવા ૨૪ કલાકની અંદર આદર્શ સારવાર મળવી જરૂરી છે. શ્રી તેજસભાઇ પટેલ ઉપર દેશભરમાંથી જ નહિ વિના અનેક દેશોમાંથી અભિનંદન વર્ષા થઇ રહી છે. (મો. ૯૮૨૪૮ ૨૧૧૪૬) અને (૦૭૯ - ૨૬૮૪૨૨૨૦ - ૨૧ - ૨૨)

(4:19 pm IST)