Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

હિઝબુલ કમાન્ડર મન્નાન વાનીને આખરે ઠાર કરાયો

એએમયુ છોડીને આતંકવાદી બની ગયો હતોઃ પરિવારના સભ્ય મન્નાનને અભ્યાસ માટે યુએસ મોકલવા ઇચ્છુક હતા પરંતુ મન્નાન હિઝબુલમાં જોડાઈ ગયો હતો

શ્રીનગર, તા. ૧૧: જમ્મુ કાશ્મીરના કુપવારામાં હેન્ડવારામાં સુરક્ષા દળોને એક મોટી સફળતા હાથ લાગી છે. આના ભાગરુપે હિઝબુલ મુઝાહિદ્દીનના ત્રણ ત્રાસવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી અને રિસર્ચ સ્કોલર મન્નાન વાનીનો પણ સમાવેશ થાય છે. મન્નાન હિઝબુલ મુઝાહિદ્દીનનો સ્થાનિક કમાન્ડર તરીકે હતો. ભૂગર્ભ શાસ્ત્રમાં રિસર્ચ સ્કોલર મન્નાન બશીરવાનીની કામગીરીને હાથમાં લીધી હતી. તે અભ્યાસ છોડીને હિઝબુલ મુઝાહિદ્દીનમાં જોડાઈ ગયો હતો. તેને કુપવારામાં કમાન્ડર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. બીજી બાજુ ફેસબુક ઉપર રાયફલની સાથે મન્નાનનો એક ફોટો વાયરલ થતાં તેને યુનિવર્સિટીમાંથી કાઢી મુકાયો હતો. એમ કહેવામાં ઓ છે કે તે પાંચમી જાન્યુઆરીના દિવસે જ હિઝબુલમાં સામેલ થઇ ગયો હતો. મન્નાન છેલ્લા પાંચ વર્ષથી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો. તે જમ્મુ કાશ્મીરના કુપવારા જિલ્લા તાકીપોરા ગામનો નિવાસી હતો. મન્નાનને તેના ઘરવાળા આગળના અભ્યાસ માટે અમેરિકા મોકલવા ઇચ્છુક હતા. આને લઇને તે ખુબ ઉત્સાહિત પણ હતો પરંતુ તે ત્રાસવાદી ગતિવિધિમાં સામેલ થઇ ગયા બાદ પરિવારના સભ્યો નાખુશ હતા. તે પરત ફરશે તેવી આશા રાખી રહ્યા હતા. ઘરવાળા સાથે પણ તે વાતચીત કરી રહ્યો ન હતો. છેલ્લે ચોથી જાન્યુઆરીના દિવસે તેની વાત થઇ હતી તે વખતે મન્નાને પોતાના ભાઈને પરિવારની સાથે પોતાનો એક જુનો ફોટો મોકલ્યો હતો. ત્યારબાદ તેનો ફોન બંધ થઇ ગયો હતો. ફેસબુક એકાઉન્ટ પણ બંધ થઇ ગયું હતું. જાન્યુઆરીમાં જ મન્નાન એએમયુથી કાશ્મીર પહોંચી ગયો હતો. ત્યારબાદ તે ત્રાસવાદી સંગઠન હિઝબુલમાં સામેલ થઇ ગયો હતો. હિઝબુલમાં તે સામેલ થઇ ગયા બાદથી સુરક્ષા સંસ્થાઓ તેને શોધી રહી હતી. આજે બાતમી બાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સેનાની રાષ્ટ્રીય રાયફલ, પોલીસ અને સીઆરપીએફ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં હિઝબુલના બે ત્રાસવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા. મન્નાન વાની આ વર્ષની શરૂઆતમાં આતંકવાદી બની ગયો હતો. આજે સવારે સેનાએ હેન્ડવારા વિસ્તારમાં મોટાપાયે ઓપરેશન હાથ ધર્યું હતું.

સવારે નવ વાગે આ ઓપરેશન શરૂ થયું હતું. હેન્ડવારાના શોટગુંદ વિસ્તારમાં ત્રાસવાદીઓને ચારેબાજુથી ઘેરી લીધા બાદ તેમને લાઉડ સ્પીકરથી શરણાગતિ સ્વીકારી લેવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ ત્રાસવાદીઓએ ગોળીબાર કરીને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અથડામણ શરૂ થઇ હતી. મોરચા સંભાળી ચુકેલા જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી જેમાં ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. બેની ઓળખ કરી લેવામાં આવી છે. જે પૈકી એક મન્નાન વાની હોવાનું જાણવા મળ્યું છે. સીઆરપીએફના જવાનોએ ટીયરગેસના સેલ પણ છોડ્યા હતા. ત્રાસવાદીઓની ધરપકડના અહેવાલને લઇને પણ અથડામણ શરૂ થઇ હતી. એન્કાઉન્ટર બાદ હિંસક પ્રદર્શનના પરિણામ સ્વરુપે હેન્ડવારામાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી હતી. સ્કૂલ અને કોલેજોમાં બંધની જાહેરાત કરાઈ હતી. વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા પણ રોકી દેવામાં આવી છે.

 

(8:14 pm IST)