Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ભૈય્યુજીનું ગુજરાતમાં 'સંત નગરી' પૂર્ણ કરવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું

અમદાવાદમાં તા. ૧૪ મે, ૨૦૧૮ના રોજ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના 'સંરક્ષક પદ' પ્રદાન થયું હતું : સોમવારે રાત્રે ટ્વિટ કર્યું હતું 'સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈ'

અમદાવાદ તા. ૧૩ : ગુજરાતમાં મહત્ત્વની એવી 'સંત નગરી' સાથે જોડાયેલા અને પ્રેરક એવા આધ્યાત્મિક ગુરુ, રાષ્ટ્રસંત ડો.પૂ.ભૈય્યુજી મહારાજે મંગળવારે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે આત્મહત્યા કરી લીધાના અહેવાલ બાદ ગુજરાતમાં પણ તેમનાં અનુયાયીઓએ આઘાતની લાગણી અનુભવી છે. બીજી તરફ તેઓનું ત્રણથી પાંચ વર્ષમાં 'સંત નગરી' પૂર્ણ કરવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, પૂ.ભૈય્યુજી મહારાજ તા.૧૪મી મે, ૨૦૧૮ના રોજ અમદાવાદ આવ્યા હતા ત્યારે તેઓના ડ્રીમ પ્રોજેકટ સંત નગરી અંગે માહિતી પણ આપી હતી અને તેઓ આ જ દિવસે શ્રીરાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા તેઓને 'સંરક્ષક પદ' પ્રદાન કરવામાં આવ્યું હતું.

સાથે જ તેમણે મૃત્યુના છ કલાક પૂર્વે પણ સોશિયલ મીડિયા ઉપર એકિટવ હતા. સોમવારે રાત્રે તેમણે ટ્વિટ કર્યુ હતું કે, સોમવારે રાત્રે ટ્વિટ કર્યુ હતું 'સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજૂ-એ-કાતિલ મેં હૈ'.

એક મહિના પહેલાં પોતાનાં ડ્રીમ પ્રોજેકટ 'સંત નગરી' અંગે પૂ.ભૈય્યુજી મહારાજે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવી પેઢી માટે અત્યંત મહત્ત્વની એવી 'સંત નગરી' અંગે સ્ટ્રેટેજિક પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. નવી પેઢીને સંતોના આદર્શોને આજની આધુનિક શૈલીમાં સર્જનાત્મક ઢબે રજૂ કરવામાં આવશે. આગામી ત્રણથી પાંચ વર્ષ દરમિયાન આ મહત્ત્વનું કાર્ય પૂર્ણ થાય તે માટેનો પ્રયાસ ચાલી રહ્યો છે . જયારે કરણી સેનાનાં સંરક્ષક પદ'ની પ્રાપ્તિ બાદ તેમણે જણાવ્યું હતું કે 'હું 'સંત નગરી' અને 'રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના'માં કોઈ જ અપેક્ષા કે મહત્ત્વાકાંક્ષા વગર જોડાયો છું. પ્રથમવાર જ મેં આવું સંરક્ષક પદ સ્વીકાર્યુ છે. આ બંને કાર્યોમાં મારી ઊર્જાશકિતનું પ્રદાન હું કરતો રહીશ.' ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં અનેક ધાર્મિક, સામાજિક કાર્યોમાં તેઓ સંકળાયેલા રહ્યાં છે. સાથે જ ગુજરાતમાં પણ અનેક રાજકીય નેતાઓ તેઓનાં સંપર્કમાં રહી ચૂકયા છે. જયારે સંત નગરીનાં સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત સંબંધિત અગ્રણીઓ સાથે પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે. તેઓ ભૂમિ સુધારણા અભિયાન માટે પણ જાણીતા હતા. ગુજરાતમાં તેઓનાં અનુયાયીઓની આંખો પણ અશ્રુભીની થઈ ગઈ હતી અને સાથે જ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના યુવાનો માટે તેઓ આદર્શ હતા.

સંતનગરી માટે મુખ્ય માર્ગદર્શકની ખોટ

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ કે. એમ. અધ્વર્યુએ જણાવ્યું હતું કે, ભૈય્યુજી મહારાજ સંત નગરીના પ્રોજેકટ સાથે માર્ગદર્શક તરીકે સંકળાયેલા હતા. આયોજન-સંતોની પસંદગીમાં તેમની મહત્વની ભૂમિકા હતી. તાજેતરમાં જ કામ આગળ વધારવા ૪૮ કરોડનું ટેન્ડર પણ બહાર પડાયું હતું. તેમના અવસાનથી મુખ્ય માર્ગદર્શકની ખોટ પડશે.

(2:40 pm IST)