Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ઓ બાપ રે...ઈલાજ કરાવતા- કરાવતા ૧ વર્ષમાં ૫.૫૦ કરોડ ભારતીયો બન્યા ગરીબ

૩.૮ કરોડ લોકો તો માત્ર દવાઓ પાછળ ખર્ચા કરીને ગરીબ બની ગયાઃ બિમારી પાછળનો ઈલાજ કોઈપણ વ્યકિત-પરિવારના ડુચા કાઢી નાખે છેઃ બ્રિટીશ મેડીકલ જર્નલનો ચોંકાવનારો રીપોર્ટઃ સૌથી વધુ ખર્ચ કેન્સર, હૃદયરોગ, ડાયાબીટીશ જેવી બિમારી પાછ ળ કરવામાં આવે છેઃ કેન્સર ધનોતપનોત કાઢી નાખે છેઃ સ્વાસ્થ્ય પાછળના ખર્ચને કોઈપણ ઘર માટે વિનાશકારી ગણવામાં આવે છેઃ સરકારના સસ્તી દવાઓ આપવાના-સસ્તા ઈલાજના દાવાઓ પોકળઃ સ્વાસ્થ્ય વિમાના ઢોલ વાગ્યા પરંતુ દેશની મોટી વસ્તી હજુ પણ સ્વાસ્થ્ય સુવિધાઓથી વંચિતઃ હોસ્પીટલમાં દાખલ થવા દરમિયાનનો ખર્ચ ગરીબોની કમ્મર તોડી નાખે છે

નવી દિલ્હી, તા. ૧૩ :. દેશમાં ૫૫ મીલીયન એટલે કે ૫.૫ કરોડ લોકો એટલા માટે ગરીબી રેખાથી નીચે પહોંચી ગયા કારણ કે તેઓએ પોતાના કે પરિવારના ઈલાજ પાછળ ઘણા બધા પૈસા વાપરવા પડયા એટલે કે ઈલાજ પાછળ ધરખમ ખર્ચો કરવો પડયો. આમાથી ૩.૮ કરોડ લોકો માત્ર દવાઓ ઉપર પૈસા ખર્ચ કરી ગરીબ થઈ ગયા છે. બ્રિટીશ મેડીકલ જર્નલમા પ્રકાશિત રીપોર્ટમાં આવો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. સૌથી વધુ પૈસા કેન્સર, હૃદયરોગ, ડાયાબીટીશ જેવી બીનસંક્રમણીય બીમારીઓના ઈલાજ પાછળ લોકોએ વાપર્યા છે. રીપોર્ટ અનુસાર સૌથી વધુ પૈસા કેન્સરના ઈલાજ પાછળ કોઈ પરિવારે ખર્ચ કર્યો છે. જો આ કુલ ખર્ચના ૧૦ ટકાથી વધુ ખર્ચ થાય તો સ્વાસ્થ્ય પાછળના ખર્ચને કોઈપણ ઘર માટે કે પરિવાર માટે ઘણો વિનાશકારી ગણવામા આવે છે. માર્ગ અકસ્માત અને અન્ય પ્રકારની દુર્ઘટનાઓએ ગરીબોને સૌથી વધુ ચોંટ પહોંચાડી છે. તેઓએ હોસ્પીટલમાં સતત ૭ દિવસ રોકાવુ પડયુ છે.

દેશભરમાં નાગરીકોને સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી ૩૦૦૦ સ્ટોર્સ ખોલવાનું લક્ષ્યાંક પુરૂ થઈ ચુકયુ છે પરંતુ મોટાભાગે આ સ્ટોર્સમાં કાં તો યોગ્ય દવા નથી હોતી અથવા તો ગુણવત્તાનું સંકટ હોય છે. આ જન ઔષધી કેન્દ્રો ઉપર ૬૦૦ પ્રકારની દવાઓ મળશે એવુ જણાવાયુ હતુ પરંતુ મોટા ભાગના કેન્દ્રો પર ૧૦૦ થી ૧૫૦ જેટલી જ દવાઓ હોય છે. એક વધુ સમસ્યા એ છે કે દેશભરમાં જ્યાં સાડા પાંચ જેટલી દવાઓની દુકાનો છે પરંતુ તેના મુકાબલે આ સરકારી સ્તરના ખુલેલા સ્ટોર્સની સંખ્યા માત્ર ૩૦૦૦ છે. આ રીપોર્ટને તૈયાર કરવામાં બે દાયકાઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યુ હતું.

તેમાં ૧૯૯૩-૯૪ અને ૨૦૧૧-૧૨ની વચ્ચે ઉપભોગતા વ્યય સર્વેક્ષણ ડેટા અને ૨૦૧૪ના રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ સંગઠન તરફથી થયેલા સામાજિક ઉપભોગ સ્વાસ્થ્ય સર્વેના સ્વાસ્થ્ય અર્થશાસ્ત્રી સેલ્વરાજ અને હબીબ હસને અભ્યાસ કર્યો હતો. ૨૦૧૧-૧૨ના આંકડાથી જોવા મળે છે કે સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા કેટલાક પગલાથી પ્રજા પર બોજ પડવાનું બંધ થયુ. ૨૦૧૩માં ડ્રગ પ્રાઈઝ કંટ્રોલ ઓર્ડર ૨૦૧૩ લાગુ થવાથી જીવન રક્ષક દવાઓના ભાવોમાં ઘટાડો થયો. ભલે સરકારે સ્વાસ્થ્ય વિમા યોજના ચાલુ કરી પરંતુ એક મોટી વસ્તી આ સુવિધાથી વંચીત છે. હોસ્પીટલોમાં દાખલ થવા દરમિયાન આવેલો ખર્ચ ગરીબોની કમ્મર તોડી નાખે છે.

સરકારી હેલ્થ સિસ્ટમમાં દર્દીઓ માટે વિનામૂલ્યે દવાઓની ઉપલબ્ધતા પુરતી હોતી નથી. જેને કારણે તેઓએ બહારથી દવા લેવી પડે છે અને ખર્ચ સહન કરવો પડે છે.(૨-૨)

 

(10:11 am IST)