Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કર્ણાટક મડાગાંઠ : જેડીએસ-કોંગી દ્વારા રાજ્યપાલને સોંપાયેલી યાદી

સ્થિર સરકાર રચવા પુરતા સભ્યો હોવાનો કુમારસ્વામીનો દાવો : રાજ્યપાલને મળીને ૧૧૭ ધારાસભ્યોની યાદી કોંગ્રેસ તેમજ જેડીએસ દ્વારા સુપરત કરાઈ : કાયદાકીય નિષ્ણાતો સાથે રાજ્યપાલ વજુભાઈની વાતચીત

બેંગ્લોર, તા. ૧૬ : કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટેના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ત્રિશંકુ સ્થિતિ સર્જાયા પછી રાજ્યમાં સરકાર રચવાના ભાજપ અને જેડીએસ-કોંગ્રેસ દ્વારા તમામ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. સત્તા માટે સાંઠગાંઠનો દોર જારી છે. રાજકીય ઘટનાક્રમના દોર વચ્ચે આજે સાંજે કોંગ્રેસ અને જેડીએસના નેતાઓ રાજ્યપાલ વજુભાઈ વાળાને મળ્યા હતા. કોંગ્રેસ અને જેડીએસ દ્વારા રાજ્યપાલને મળીને ધારાસભ્યો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલા પત્રો સુપરત કર્યા હતા. રાજ્યપાલ વજુભાઈને મળ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા જેડીએસના નેતા કુમારસ્વામીએ કહ્યું હતું કે, તેમની પાસે પુરતી સંખ્યામાં ધારાસભ્યો છે અને સરકાર રચવાની સ્થિતિમાં છે. બીજી બાજુ રાજ્યપાલ સમક્ષ કોંગ્રેસના સભ્યો તરફથી પણ રજૂઆત કરવામાં આવી હતી. હવે વજુભાઈ વાળા કાયદાકીય નિષ્ણાતો સાથે વાતચીત કરીને અંતિમ નિર્ણય લે તેવી શક્યતા દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હોવા છતાં બહુમતિ માટેના ૧૧૨ના આંકડા સુધી પહોંચી શકી નથી. આવી સ્થિતિમાં જટિલ સ્થિતિ સર્જાઈ ગઈ છે. વજુભાઈ વાળા વચગાળાના સ્પીકરની નિમણૂંક કરી શકે છે. કર્ણાટકમાં આક્ષેપબાજીનો દોર પણ હવે શરૂ થયો છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે, કર્ણાટક સરકાર દ્વારા ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે. લોકસભાના સ્પીકરને ફરિયાદ પણ કરવામાં આવી છે. બીજી બાજુ રાજ્યપાલે ખાતરી આપી છે કે, બંધારણ મુજબ તેઓ કોઇ નિર્ણય લેશે. કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે કહ્યું છે કે, અમને રાજ્યપાલમાં વિશ્વાસ છે. તેઓ અન્યાય કરશે નહીં. અમારી પાસે નંબર છે. કોઇ એક સભ્ય પણ બહાર નથી. કુમારસ્વામીએ કહ્યું હતું કે, અમને સરકાર રચવાની તક મળવી જોઇએ. અમારા ધારાસભ્યો અકબંધ છે. રાજ્યપાલ સાથે બેઠક બાદ કુમારસ્વામીએ એમ પણ કહ્યું હતુ ંકે, અમે સ્થિર સરકાર બનાવવાની સ્થિતિમાં છે. બીજી બાજુ કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે કહ્યું હતું કે, લોકશાહીને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. કુમારસ્વામીના કહેવા મુજબ રાજ્યપાલને ૧૧૭ ધારાસભ્યોની યાદી સોંપી દેવામાં આવી છે. સરકાર રચવાના તેમના દાવા પર વિચારણા કરવા પણ કહેવામાં આવ્યું છે. કુમારસ્વામીનું કહેવું છે કે, જેડીએસ અને કોંગ્રેસનું વલણ અકબંધ રહ્યું છે. વજુભાઈ વાળા કાયદાકીય નિષ્ણાતો સાથે વાતચીતમાં વ્યસ્ત બની ગયા છે. કર્ણાટકમાં આક્ષેપબાજીનો દોર હવે જોરદારરીતે જારી છે.

(7:38 pm IST)