Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

બજારમાં મંદી : સેંસેક્સમાં ૬૯ પોઇન્ટ સુધીનો ઘટાડો

દિવસ દરમિયાન શેરબજારમાં મંદી રહી શકે છેઃ નિફ્ટી ૧૭ પોઇન્ટ ઘટીને ૧૦૪૬૩ની નીચી સપાટીએ

મુંબઇ,તા. ૧૬: શેરબજારમાં આજે સવારના કારોબાર દરમિયાન મંદી રહી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સમાં ૬૯ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. તેની સપાટી ૩૪૧૨૪ રહી હતી. જ્યારે નિફ્ટી ૧૭ પોઇન્ટ ઘટીને ૧૦૪૬૪ની સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં સવારના કારોબારમાં જુદા જુદા પરિબળોની સર જોવા મળી હતી. જેમાં અમેરિકાના નેતૃત્વમાં ગઠબંધનના સીરિયા પર ભીષણ હુમલાનો સમાવેશ થાય છે. સીરિયામાં ૧૦૫થી વધારે મિસાઇલો ઝીંકવામાં આવી હતી. સાતમી એપ્રિલના દિવસે ડુમામાં કરવામાં આવેલા કેમિકલ અટેકના બદલામાં આ હુમલા કરવામાં આવ્યા હતા. રસાયણ હુમલા ડુમામાં કરવામાં આવ્યા હતા જેમાં ૮૦થી વધુના મોત થયા હતા અને ૧૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ રસાયણ હુમલા બાદ અમેરિકાએ હવાઈ હુમલાઓ બોધપાઠ ભણાવવાના હેતુસર કર્યા છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં ફરી એકવાર વધારો થઇ શકે છે. વૈશ્વિક ઘટનાક્રમ વચ્ચે ક્રૂડની કિંમતો વધી શકે છે. માઇક્રો આંકડા પણ જારી કરવામાં આવનાર છે. આઈએમએફ અને વર્લ્ડ બેંકની બેઠકો આગામી સપ્તાહથી શરૂ થઇ રહી છે જેમાં અમેરિકા અને ચીન વચ્ચે છેડાયેલા ટ્રેડ વોરના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરાશે. ચીનમાં તેના પ્રથમ ત્રિમાસિકગાળાના જીડીપીના આંકડા ૧૭મીએ જારી કરવામાં આવનાર છે. હાલમાં જ રિટેલ ફુગાવો માર્ચ મહિનામાં પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જો કે, રિટેલ ફુગાવો હજુ પણ આરબીઆઈના મિડિયમ ટાર્ગેટ કરતા ઉંચો છે. આનો મતલબ એ થયો કે, નાણાંકીય પોલિસી સમીક્ષામાં  હજુ વ્યાજદરને યથાવત રાખવામાં આવશે. આરબીઆઈની વર્ષ ૨૦૧૮-૧૯ની તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા છઠ્ઠી એપ્રિલના દિવસે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ, બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની અસર હવે નાણાંકીય વર્ષ ૨૦૧૯માં જોવા મળશે.એપ્રિલ-મે ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી પણ યોજાનાર છે. કેટલીક ઇન્ડેક્સ હેવીવેઇટ કંપનીઓ તેમના ત્રિમાસિક ગાળાના આંકડા જારી કરશે. એસીસી દ્વારા બુધવારના દિવસે તેના માર્ચ ત્રિમાસિક ગાળાના આંકડા જાહેર કરવામાં આવશે. આવી જ રીતે ઇન્ડસબેંક અને ટીસીએસ ગુરુવારના દિવસે પોતાના આંકડા જારી કરશે. જ્યારે ક્રિસિલ, એચડીએફસી લાઇફ, તાતા સ્પોન્જ, એચડીએફસી બેંક દ્વારા ૨૧મી એપ્રિલના દિવસે આંકડા જારી કરવામાં આવશે. શેરબજારની દિશા પર કારોબારી નજર રાખી રહ્યા છે.

(12:48 pm IST)