Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

પાકિસ્તાન ઢીલુઢફ : આર્મી ચીફ બાજવાએ કહ્યું કાશ્મીર સહિતના મામલે શાંતિપૂર્ણ રીતે સમાધાન કરી શકાય

આ વાતચીત કોઈ એકપક્ષ માટે નથી સમગ્ર ક્ષેત્રમાં શાંતિની અનિવાર્યતા જરૂરી

નવી દિલ્હી : ભારત વિરુદ્ધ સતત કડવી ભાષા બોલ્યા બાદ હવે પાકિસ્તાનના સૂર ઢીલા પડ્યા છે અને જ્ઞાન લાદ્યું હોય તેમ પાક આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાનના વિવાદિત મુદ્દાઓ, જેમાં કાશ્મીર મુદ્દો પણ શામેલ છે, તેને વાતચીત દ્વારા ઉકેલી કરી શકાય છે.
  પાક આર્મી ચીફનું આ નિવેદન એવા સમય પર આવ્યું છે જ્યારે વિભિન્ન આંતરરાષ્ટ્રીય મંચો પર આતંકવાદ અને કાશ્મીર મુદ્દાને લઈને પાકને નીચું જોવું પડ્યું હતું. એવામાં બાજવાના આ નિવેદનને કાશ્મીર મુદ્દા પર નરમ પડતા સૂર તરીકે જોવાઈ રહ્યું છે.
   કાકુલમાં પાકિસ્તાન મિલિટરી એકેડમીના કેડેટ્સની પાસિંગ આઉટ પરેડ દરમિયાન પાક આર્મી ચીફે શનિવારે આ વાત કહી. આ જાણકારી પાકિસ્તાનની આર્મ્ડ ફોર્સની મીડિયા વિંગ ઈન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સના માધ્યમથી મળી છે.
   બાજવાએ કહ્યું કે, ‘અમારું ઈમાનદારી પૂર્વક માનવું છે કે કાશ્મીર મુદ્દા સહિત ભારત અને પાકિસ્તાનના વિવાદોનું શાંતિપૂર્ણ રીતે સમાધાન નીકાળી શકાય છે. આ વ્યાપક અને સાર્થક વાતચીતથી જ સંભવ છે.’ તેમણે કહ્યું કે, જોકે આ વાતચીત કોઈ એકપક્ષ માટે નથી સમગ્ર ક્ષેત્રમાં શાંતિની અનિવાર્યતા જરૂરી છે. પાકિસ્તાન આ પ્રકારની વાતચીત માટે પ્રતિબદ્ધ છે. પરંતુ માત્ર સાર્વભૌમ સમાનતા અને સમ્માનના આધાર પર.
   કેડેટ્સને સંબોધિત કરતા બાજવાએ કહ્યું કે, પાકિસ્તાન શાંતિપ્રિય દેશ છે અને બધા દેશો સાથે શાંતિપૂર્ણ સહયોગ ઈચ્છે છે, ખાસ કરીને પોતાના પડોશી દેશો સાથે. તેમણે કહ્યું કે, જોકે શાંતિની આ ઈચ્છાને કોઈપણ સ્થિતિમાં કમજોરીના પ્રતિક સમજવું નહીં. અમારી સેના કોઈપણ સ્થિતિ સામે લડવા માટે અને તેનો જડબાતોડ જવાબ આપવા માટે સમગ્ર રીતે તૈયાર છે.
   અત્રે ઉલ્લેખનીય છે કે  ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ તરફથી મની લોન્ડ્રીંગ અને ટેરર ફાઈનાન્સિંગ મામલામાં ગ્રે લિસ્ટમાં શામેલ કરાયા બાદ પાકિસ્તાન આતંકી સંગઠનો પર સકંજો કરવાની તૈયારીમાં છે. આ અંતર્ગત જ તેમણે એન્ટી ટેરર એક્ટમાં સંશોધન કરવાનો નિર્ણય લીધો છે. ફેબ્રુઆરીમાં ટાસ્ક ફોર્સે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં શામેલ કર્યું હતું. આટલું જ નહીં સ્થિતિઓમાં સુધારો ન થવા પર પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવાની ચેતવણી પણ અપાઈ છે.

 

(12:00 am IST)