Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

સુપ્રીમ કોર્ટ સંકટ પર રાજનીતિમાં ગરમાવોઃ ભાજપ - કોંગ્રેસ આમને-સામને

સુપ્રીમની વ્યવસ્થામાં વિવાદને કોંગ્રેસે અત્યંત ગંભીર મુદ્દો ગણાવ્યોઃ ઉચ્ચસ્તરીય તપાસની કરી માંગ

નવી દિલ્હી તા. ૧૩ : સુપ્રીમ કોર્ટમાં મંડરાયેલા સંકટ અંગે રાજનૈતિક ધમાસાણ શરૂ થઇ ગયું છે. આ મામલા અંગે કોંગ્રેસે મોદી સરકાર પર અનેક પ્રશ્નો ઉભા કર્યા છે તો ભાજપે પણ વળતો જવાબ આપ્યો છે. સુપ્રીમ કોર્ટની વ્યવસ્થામાં વિવાદને કોંગ્રેસ પક્ષને અત્યંત ગંભીર મુદ્દો ગણાવ્યો સાથે જ ચારેય જજોના આરોપોની યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે.

કોંગ્રેસે જસ્ટિસ લોયાના મોતની પણ ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરી. બીજી બાજુ ભાજપે કોંગ્રેસને સલાહ આપીને કહ્યું કે, તે કોર્ટનો આંતરિક મામલો છે અને તે તેમાં રાજનીતિ ન કરે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, આવી ઘટના પ્રથમવાર બની છે. જ્યારે સુપ્રીમ કોર્ટના ચાર જજોએ સવાલ ઉઠાવ્યા છે.

સુપ્રીમ કોર્ટના ૪ સૌથી વરિષ્ઠ જજો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રાની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલ ઉઠાવવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. સમગ્ર વિવાદમાં હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચાર જજો દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા તે ખુબ જ ગંભીર છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ૪ જજોએ જે મુદ્દા ઉઠાવ્યા છે તે ખુબ જ મહત્વપૂર્ણ છે. જજોએ લોકતંત્ર ખતરામાં હોવાની વાત કરી છે. આ મુદ્દે ધ્યાન આપવું ખુબ જ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે આ સમગ્ર વિવાદમાં જસ્ટિસ લોયાના મોતનો મુદ્દો હોવાનું કહેવાય છે. તેવી જ રીતે મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રાની કામ કરવાની પદ્ઘતિ પર પણ સુપ્રીમ કોર્ટના ચાર જજોએ આજે સવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે બધુ બરાબર નથી. જજોની આ પ્રેસ કોન્ફરન્સથી દેશભરમાં જાણે ભૂકંપ સર્જાયો હોય તેવા પ્રત્યાધાત પડ્યા છે. વરિષ્ઠ વકીલો અને રાજનેતાઓએ આ મુદ્દે પોતાના મંતવ્યો વ્યકત કર્યાં હતાં.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ જસ્ટિસ લોયાના મોતનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ઉચ્ચસ્તર પર જસ્ટિસ લોયા કેસની તપાસ થવી જોઈએ. દેશની ન્યાય વ્યવસ્થા પર અમે વિશ્વાસ કરીએ છીએ. એક ગંભીર બાબત ઉભી થઈ છે, જેથી અમે આ મુદ્દે વાત કરી રહ્યાં છીએ. આ અગાઉ કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, જજોના વિવાદથી કોંગ્રેસ ચિંતિત છે. આ ઘટનાની લોકતંત્ર પર દુરોગામી અસર પડશે.

(12:53 pm IST)