Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ચીફ જસ્ટીસ સામે કોંગ્રેસ મહાભિયોગ લાવશે ? રાજકારણ ગરમાયું

બજેટ સત્રમાં મહાભિયોગ લાવવા કોંગ્રેસે તૈયારી શરૂ કરીઃ અત્યાર સુધીમાં બે વખત લાવવામાં આવ્યો છે મહાભિયોગઃ જો કે અત્યાર સુધી દેશમાં કોઇપણ જ્જ ઉપર મહાભિયોગની પુરી પ્રક્રિયા થઇ શકી નથીઃ સંસદમાં મહાભિયોગની પ્રક્રિયા થતી હોય છે

નવી દિલ્હી તા.૧૩ : સુપ્રિમ કોર્ટના ચાર જ્જો દ્વારા મુખ્ય ન્યાયધીશ દિપક મિશ્રા વિરૂધ્ધ અભિયાન છેડવામાં આવ્યા બાદ હવે એ બાબતની ચર્ચા થઇ રહી છે કે સંસદના આગામી બજેટ સત્રમાં કોંગ્રેસ પક્ષ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા દિપક મિશ્રા વિરૂધ્ધ મહાભિયોગ લાવી શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મુદે કોંગ્રેસ અધ્યક્ષ પક્ષના વરિષ્ઠ નેતાઓ અને સીનીયર એડવોકેટસ સાથે ચર્ચા કરી અંતિમ નિર્ણય લેવાશે.

 

ચાર વરિષ્ઠ જ્જો દ્વારા પત્રકાર પરિષદ યોજી આરોપ મુકવામાં આવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી અને તેને ગંભીર મામલો ગણાવ્યો હતો. લોકતંત્ર માટે આ ખતરનાક છે એવુ કહ્યુ હતુ. તેમણે જ્જો દ્વારા જ્જ લોયાના મામલાને ઉઠાવવા પર કહ્યુ હતુ કે, આની તપાસ થવી જોઇએ. આ પહેલા કોંગ્રેસ પ્રવકતા સુરજેવાલાએ પણ જ્જ લોયાના મોતની તપાસ સુપ્રિમ કોર્ટના સીનીયર જ્જ પાસે કરાવવાની માંગણી કરી હતી.

જો કોંગ્રેસ જસ્ટીસ મિશ્રા વિરૂધ્ધ મહાભિયોગ લાવે તો દેશના ઇતિહાસમાં તેઓ ત્રીજા જ્જ હશે જેમની વિરૂધ્ધ મહાભિયોગ આવશે. આ પહેલા સુપ્રિમ કોર્ટ આ ન્યાયધીશ જસ્ટીસ રામાસ્વામી પર ૧૯૯૩માં મહાભિયોગ લાવવામાં આવ્યો હતો પરંતુ લોકસભામાં જ આ પ્રસ્તાવ ઉડી ગયો હતો તે પછી કોલકતા હાઇકોર્ટના જસ્ટીસ સેને મહાભિયોગનો સામનો કરવો પડયો હતો. આ ઘટના ર૦૧૧ની છે. લોકસભામાં મામલો આવે તે પહેલા તેમણે રાજીનામુ આપી દીધુ હતુ.

જ્જોને હટાવવાની પ્રક્રિયાને મહાભિયોગ કહેવાય છે. તેની શરૂઆત સંસદના કોઇપણ ગૃહમાં થઇ શકે છે. આ માટે લોકસભાના ૧૦૦ કે રાજયસભાના પ૦ સભ્યોની સહમતી જરૂરી હોય છે. પ્રસ્તાવ પાસ થયા બાદ ગૃહના અધિકારી દ્વારા એક સમિતિની રચના કરવામાં આવે છે જે જ્જ પર લાગેલા આરોપોની તપાસ કરતી હોય છે તે પછી રિપોર્ટના આધારે આરોપી જ્જે પોતાનો પક્ષ રાખવાનો હોય છે તે પછી તેના ઉપર વોટીંગ થાય છે. કોઇપણ જ્જને ત્યારે મહાભિયોગ દ્વારા હટાવી શકાય છે કે જયારે સંસદના બંને ગૃહોમાં બે તૃતીયાંશ મતોથી તે પ્રસ્તાવ પાસ થાય. જો કે દેશના ઇતિહાસમાં આવુ થયુ નથી.

દરમિયાન આ મામલે રાજનીતિ શરૂ થઇ છે. ભાજપે આંતરીક મામલો ગણાવ્યો છે તો કોંગ્રેસે ખતરનાક ગણાવ્યો છે. કોંગ્રેસ નેતા શશી થરૂરે કહ્યુ છે કે, આ મુદામાં સરકાર તરફથી ચુપ દેખાય છે. મમતા બેનર્જીએ કહ્યુ છે કે અમે વ્યથિત છીએ. આરોપો પરેશાન અને દુઃખી કરનારા છે.

ચીફ જસ્ટીસે જ્જોની માંગ ઠુકરાવીઃ પરંપરા તોડવા માંગતો નથીઃ સ્પષ્ટ જણાવી દીધુ

નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટના ચાર જ્જોએ ન્યાય પાલિકામાં ચાલતી લાલીયાવાળી સામે મોરચો ખોલ્યો હતોઃ અનેક માંગો વચ્ચે જ્જોએ જસ્ટીસ લોયાના મોતને લઇને પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યુ હતુ કે આ કેસ સ્પેશીયલ બેન્ચના હાથમાં આપવાની જરૂર છેઃ ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ આ માંગ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છેઃ તેમણે કહ્યુ છે કે ચીફ જસ્ટીસ જ નક્કી કરે છે કે કેસ કોના હાથમાં આપવાનો છેઃ આ પ્રથા અગાઉથી ચાલતી આવે છે અને જે હું તોડવા માંગતો નથીઃ ચીફ જસ્ટીસની ઓફિસે કહ્યુ છે કે, પુર્વ ચીફ જસ્ટીસ દત્તુ, ઠાકુર, ખેહરના ફેંસલા પર જ કેસ બેન્ચોને સોપાતા હતા.

 

(9:58 am IST)