Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

નારાજ વરૂણ ગાંધી TMCમાં જોડાય એવી જોરદાર ચર્ચા

ભાજપમાં નારાજ નેતાઓની આવન જાવનથી અટકળો તેજ : આગામી સપ્તાહે મમતા બેનરજી દિલ્હી આવનાર છે ત્યારે તેમની અને મમતા વચ્ચે વાતચીત આગળ વધી શકે છે

નવી દિલ્હી, તા.૨૦ : પોતાની પાર્ટીથી નારાજ ચાલી રહેલા ભાજપના લોકસભા સાંસદ વરૂણ ગાંધી હવે મમતા બેનરજીની પાર્ટી ટીએમસીમાં જોડાશે તેવી ચર્ચાઓએ રાજકીય માહોલને ગરમ કર્યો છે.

એવુ કહેવાઈ રહ્યુ છે કે, તેઓ ટીએમસીના નેતાઓના સંપર્કમાં છે.આગામી સપ્તાહે મમતા બેનરજી દિલ્હી આવનાર છે ત્યારે તેમની અને મમતા બેનરજી વચ્ચે મુદ્દે વાતચીત આગળ વધી શકે છે.

વરૂણ ગાંધી છેલ્લા કેટલાક સમયથી પાર્ટીની નેતાગિરિથી નારાજ છે.તેની પાછળનુ સૌથી મોટુ કારણ મનાય છે કે, વરૂણ ગાંધીને કેબિનેટમાં જગ્યા મળી નથી.ઉપરાંત ખેડૂતોની તરફેણમાં ગયા મહિને વરૂણ ગાંધીએ આપેલા નિવેદન બાદ ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં પણ વરૂણ ગાંધી અને મેનકા ગાંધીને સ્થાન અપાયુ નથી.

બીજી તરફ ટીએમસી બંગાળથી આગળ નીકળીને દેશમાં કોંગ્રેસનો વિકલ્પ બનવા માટે હિન્દી ભાષી રાજ્યોમાં પગ જમાવવા માંગે છે. સંજોગોમાં યુપી માટે વરૂણ ગાંધી ટીએમસીનો ચહેરો બની શકે છે.એક મીડિયા રિપોર્ટમાં ટીએમસીના એક સિનિયર નેતાને ટાંકીને કહેવાયુ છે કે, વરૂણ ગાંધી ભાજપ છોડવા માટે વિચાર કરી રહ્યા છે.

બીજી તરફ પ્રિયંકા ગાંધી અને વરૂણ ગાંધી  વચ્ચે તાજેતરમાં મુલાકાત થઈ હતી .આમ તેઓ કોંગ્રેસમાં પણ જોડાવાનો વિકલ્પ ખુલ્લો રાખી શકે છે તેવી અટકળો પણ થઈ રહી છે.

(7:07 pm IST)