Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

હવે મુંબઈ-અમદાવાદ વચ્ચે જાન્યુઆરીથી તેજસ ટ્રેન શરૂ

તમામ અતિઆધુનિક સુવિધા યાત્રીઓને મળશે :ટ્રેન બે સ્ટેશન વડોદરા-સુરતમાં રોકાશે : સવારમાં ૬.૧૦ વાગે અમદાવાદથી રવાના બાદથી ૧.૧૦ વાગે મુંબઈમાં

નવી દિલ્હી, તા. ૨૦ : રેલવેની પ્રવાસ અને ખાવાપીવા સાથે સંબંધિત સંસ્થા ઇન્ડિયન રેલવે ટ્યુરિઝમ એન્ડ કેટરિંગ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા દિલ્હી અને લખનૌ વચ્ચે પ્રાઇવેટ ટ્રેન તેજસની શરૂઆત કરી દેવામાં આવી છે. હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે, આઈઆરસીટીસી આગામી વર્ષે ૧૪મી જાન્યુઆરીની આસપાસ અમદાવાદ અને મુંબઈ વચ્ચે તેજસ ટ્રેનની શરૂઆત કરી શકે છે. ૧૪મી જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિના દિવસે આની શરૂઆત કરવામાં આવી શકે છે. મકરસક્રાંતિની આસપાસ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની શરૂઆત થાય છે. આને ધ્યાનમાં લઇને તેજસ ટ્રેનની શરૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આઈઆરસીટીસીના ચેરમેન અને એમડી એમપી મલ્લના કહેવા મુજબ આ દિશામાં ઝડપથી કામ થઇ રહ્યું છે. મુંબઈ અને મહારાષ્ટ્રના લોકો દેશના અન્ય હિસ્સાઓમાં દુનિયાના તમામ દેશોથી લોકો પતંગ ઉત્સવ દરમિયાન અમદાવાદ પહોંચે છે.

           આ ઉત્સવ દરમિયાન ટ્રેનની શરૂઆત કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. મલ્લે કહ્યું છે કે, અમને આશા છે કે, આધુનિક સુવિધા સાથે સજ્જ પ્રાઇવેટ ટ્રેન મારફતે મુંબઈથી અમદાવાદ વચ્ચે યાત્રા લોકોને વધારે પ્રભાવિત કરશે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી આ ટ્રેન માત્ર બે સ્ટેશનો ઉપર જ રોકાશે જેમાં વડોદરા અને સુરતનો સમાવેશ થાય છે. અમદાવાદ રેલવે સ્ટેશનથી આ ટ્રેન સવારે ૬.૧૦ વાગે રવાના થશે અને બપોરે ૧.૧૦ વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચી જશે. ફરી આ ટ્રેન બપોરે ૩.૪૦ વાગે મુંબઈ સેન્ટ્રલથી રવાના થઇને અમદાવાદ સ્ટેશન પર રાત્રે ૯.૫૫ વાગે પહોંચી જશે. રસ્તામાં આ ટ્રેન માત્ર સુરત અને વડોદરામાં રોકાશે. યાત્રીઓ માટે આ ટ્રેનમાં વાઇફાઇ, સીસીટીવી, કોફી મશીન, એલસીડી સ્ક્રીન જેવી સુવિધાઓ રહેશે. દિલ્હી-લખનૌ તેજસ એક્સપ્રેસના યાત્રીઓને ટ્રેન લેઇટ થવાની સ્થિતિમાં વળતર ચુકવવામાં આવે છે. સાથે સાથે આ ટ્રેનના યાત્રીઓને ૨૫ લાખ રૂપિયાનું ફ્રી વિમા આપવામાં આવે છે. યાત્રા દરમિયાન લૂટફાટ અથવા ચીજ વસ્તુની ચોરી થવાની સ્થિતિમાં એક લાખ રૂપિયાના વળતરની વ્યવસ્થા કરાઈ છે. સ્ટેશનની અંદર અને બહાર ખાનગી ઓપરેટર્સને જગ્યાનો ઉપયોગ કરવાની મંજુરી આપવામાં આવનાર છે. તેજસ ટ્રેનનું બુકિંગ વેબસાઇટ ઉપરથી થઇ શકે છે. મોબાઇલ એપ ઉપરથીપણ થઇ શકશે. ૬૦ દિવસ પહેલા ટિકિટ બુક થઇ શકશે. પાંચ વર્ષથી નીચેના બાળકોના ભાડા લાગશે નહીં. પાંચ વર્ષ અને તેનાથી ઉપરના બાળકોની પૂર્ણ ટિકિટ લાગશે.

તેજસની સાથે સાથે.....

*   મુંબઈ અમદાવાદ તેજસ ટ્રેન જાન્યુઆરીમાં શરૂ

*   અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની આસપાસ ટ્રેન શરૂ કરાશે

*   ટ્રેનમાં અતિઆધુનિક સુવિધાઓ મળશે

*   યાત્રીઓ માટે ટ્રેનમાં વાઇફાઈ, સીસીટીવી કેમેરા, કોફી મશીન, એલસીડી સ્ક્રીન જેવી સુવિધા

*   મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી તેજસ ટ્રેન વડોદરા અને સુરતમાં માત્ર બે જગ્યાએ રોકાશે

*   અમદાવાદ રેલવે સ્ટેશનથી સવારે ૬.૧૦ વાગે રવાના થયા બાદ બપોરે ૧.૧૦ વાગે મુંબઈ પહોંચશે

*   વાપસી ટ્રેન ૩.૪૦ વાગે મુંબઈથી રવાના થયા બાદ રાત્રે ૯.૫૫ વાગે અમદાવાદ પહોંચશે

*   તેજસ ટ્રેનનું બુકિંગ વેબસાઇટ અને મોબાઇલ એપથી થઇ શકશે

*   ૬૦ દિવસ પહેલા ટિકિટનું બુકિંગ થઇ શકશે

(7:37 pm IST)