Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

મોદી-પવાર મળ્યાઃ મહારાષ્ટ્રમાં ભાજપ-એનસીપીની સરકાર ?

દિલ્હીમાં બંન્ને દિગ્ગજોની મુલાકાતથી અનેક પ્રકારની રાજકીય ચર્ચાઓઃ નવા સમીકરણો આકાર લેશે! : જો સરકાર બને તો કેન્દ્રમાં એનસીપીને ૩ મહત્વના પદ ઉપરાંત મહારાષ્ટ્રમાં મહત્વના ખાતાઓઃ ર૦રરમાં શરદ પવારને રાષ્ટ્રપતિ પદ માટે આગળ કરાશે

નવી દિલ્હી, તા., ૨૦: આજે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનસીપી ચીફ  શરદ પવારની મુલાકાતથી મહારાષ્ટ્રના રાજકારણમાં નવેસરથી ગરમાવો આવ્યો છે. રાજયમાં સરકારની રચનાને લઇને જારી સસ્પેન્સ વચ્ચે આ બંન્ને નેતાઓની મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારના નવા સમીકરણોની ચર્ચા જોરશોરથી થઇ રહી છે. એક ચર્ચા એ પણ છે કે મહારાષ્ટ્રમાં એનસીપી અને ભાજપની સરકાર બની શકે છે અને તેના અવેજમાં કેન્દ્રમાં શરદ પવારના પક્ષને ૩ મહત્વના મંત્રાલયો મળી શકે છે. એટલું જ નહિ આગળ એવી પણ ચર્ચા છે કે શરદ પવારને ર૦રર માટે રાષ્ટ્રપતિનું પદ પણ ઓફર થઇ શકે છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં  શિવસેના એનસીપી અને કોંગ્રેસની સરકાર રચવા પ્રયાસો થઇ રહયા છે. આ વચ્ચે શરદ પવારે એવું નિવેદન આપ્યુ઼ં હતું કે સોનીયા ગાંધી સાથે સરકાર બનાવવાને લઇને કોઇ ચર્ચા નથી થઇ તેમના આ નિવેદને ભારે ચર્ચા જગાવી હતી. એટલું જ નહિ પવારને જયારે એવું પુછાયુ઼ હતું કે શિવસેના સાથે સરકાર રચવાનો શું ચાન્સ છે? તો તેમણે કહયું હતું કે ભાજપ અને શિવસેનાને પુછો. બંન્ને સાથે હતા.

બીજી તરફ પીએમ મોદીએ રાજયસભામાં એનસીપીની શિસ્તના વખાણ કર્યા હતા. તે પછી રાજકીય વર્તુળોમાં નવા સમીકરણોને લઇને ચર્ચા વેગવંતી બની હતી. હવે મોદી-પવાર મીટીંગ બાદ ચર્ચા થઇ છે કે મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણો બની શકે છે અને સંભવ છે કે  એનસીપી-બીજેપી સરકાર રચે. આ ચર્ચાઓ પર વિશ્વાસ કરીએ તો મનાય છે કે એનસીપીના કેટલાક સાંસદોએ  સરકાર બનાવવા માટે શરદ પવારને ભાજપ સાથે જવા અપીલ કરી છે. આ નેતાઓ અજીત પવારને મનાવવા લાગ્યા છે. ચર્ચાઓનું માનીએ તો જો એનસીપી-ભાજપ હાથ મીલાવે તો રાજય મંત્રીમંડળમાં તેઓને અનેક મહત્વના પદ મળશે એટલું જ નહી કેન્દ્રમાં પણ પક્ષને ૩ મહત્વના પદ અપાશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિનો કાર્યકાળ ર૦રર જુલાઇમાં પુરો થાય છે તે પછી ભાજપ તરફથી પવારનું નામ આગળ કરી શકાય તેમ છે.

તમામ બાધાઓ દુરઃ કાલ બપોર સુધીમાં પિકચર કલીયર થશેઃ શિવસેના

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સરકારની રચનાના ધમધમાટ વચ્ચે શિવસેનાના રાજયસભાના સાંસદ સંજય રાઉતે કહયુ઼ છે કે છેલ્લા ૧૦-૧પ દિવસથી ચાલતી અટકળોનો હવે અંત આવશે. કાલે બપોર સુધીમાં બધુ ઠીકઠાક થઇ જશે. સરકારની રચનાની પ્રક્રિયા આવતા પ-૬ દિવસમાં પુરી થશે અને ડિસેમ્બર પહેલા મહારાષ્ટ્રમાં લોકપ્રિય અને મજબુત સરકાર રચાશે. તેમણે કહયુ઼ છે કે એનસીપી સાથે ગઠબંધન પર શિવસેના એક જુથ છે. તેમણે કહયું છે કે શરદ પવાર પીએમને મળ્યા એટલે ખીચડી પાકી ગઇ એવું નથી, પવાર ખેડુતોના મામલે વડાપ્રધાનને મળ્યા હતા. 

(3:21 pm IST)