Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

પેટ્રોલ- ડીઝલ સસ્તુ જોઈએ છે કે નહીં? કહીને ભાજપે સતા મેળવી આજે વિમાન કરતા બાઈકનું ઈંધણ મોંઘુ : શિવસેના

યુપીએ સરકાર વખતે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 120 ડોલર પ્રતિ બેરલ હતી. એટલે કે વર્તમાન દરો કરતા બમણા મોંઘા હતા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યારેય 100ને પાર થયા ન હતા

મુંબઈ : શિવસેનાએ તેના મુખપત્ર સામનાએ પેટ્રોલ અને ડીઝલના વધતા દરોને લઈને મોદી સરકાર  પર આકરા પ્રહારો કર્યા છે. શિવસેનાએ કટાક્ષ કર્યો છે કે બાઈક માટેના બળતણની કિંમત વિમાનમાં વપરાતા બળતણની કિંમત કરતા વધારે છે.

‘સામના’માં લખ્યું છે કે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ને હવાઈ મુસાફરી માટે વપરાતા ઈંધણને કહેવામાં આવે છે. બાઈક અને કારના ઈંધણનો દર હવાઈ ઈંધણના દર કરતા વધુ થઈ ગયો છે. એટલે કે પેટ્રોલ અને ડીઝલના દરે નવો રેકોર્ડ બનાવ્યો છે. હવાઈ પરિવહન માટે બળતણનો દર એક લિટર માટે 79 રૂપિયા છે અને માર્ગ પરિવહન વાહનો માટે બળતણનો દર 105થી વધીને 115 થયો છે. એટલે કે ટૂ-વ્હીલર્સ અને ફોર-વ્હીલર્સ માટે પેટ્રોલ અને ડીઝલનો દર હવાઈ બળતણ કરતાં થોડો નહીં પણ 30 ટકા મોંઘો થઈ ગયો છે.

ઈંધણમાં સતત ભાવ વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં સ્વયંભૂ વધારો થતાં તમામ ક્ષેત્રોમાં મોંઘવારી વધી રહી છે. છેલ્લા ત્રણ સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 16 ગણો વધારો થયો છે. આ બાબતે કટાક્ષ કરતા ‘સામના’માં લખ્યું છે કે પેટ્રોલ-ડીઝલ સસ્તું હોવું જોઈએ કે નહીં? ચૂંટણી પ્રચાર બેઠકમાં આવો પ્રશ્ન ઉઠાવનાર ભાજપે દિલ્હીમાં સત્તા મેળવી, તે સમયે દેશમાં પેટ્રોલ 72 રૂપિયા અને ડીઝલ 54 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું હતું.

આજે પેટ્રોલ-ડીઝલ 100 રૂપિયાને પાર કરી ગયું છે. યુપીએ સરકારના વડાપ્રધાન તરીકે ડો.મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 120 ડોલર પ્રતિ બેરલ હતી. એટલે કે તે વર્તમાન દરો કરતા બમણા મોંઘા હતા. તેમ છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યારેય 100ને પાર થયા ન હતા. બહુ થયો મોંઘવારીનો માર.. આવી જાહેરાતો કરીને સત્તામાં આવનારી સરકાર દ્વારા કરવામાં આવેલો આ ચમત્કાર છે.

રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પેટ્રોલ અને ડીઝલનો દર દેશમાં સૌથી વધુ છે. ત્યાં એક લીટર પેટ્રોલ માટે લગભગ 118 અને ડીઝલ માટે 106 રૂપિયા ચુકવવા પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ મુંબઈ, દિલ્હી, કોલકાતા, બેંગ્લોર, ચેન્નાઈ વગેરે જેવા મેટ્રો શહેરોમાં સમાન છે અને દેશના વિવિધ ભાગોમાં થોડો તફાવત છે. આના પર જોરદાર હુમલો કરતા શિવસેનાએ પોતાના મુખપત્રમાં લખ્યું છે કે કેન્દ્ર સરકારના પ્રવક્તાઓ આ પ્રશ્નોના સાચા જવાબો ક્યારેય આપતા નથી.

ક્યારેક ઓઈલ ડિબેન્ચર્સનો ઉપયોગ બળતણના દર વધારવાના બહાના તરીકે કરવામાં આવે છે અને ક્યારેક રાજ્ય સરકારના ટેક્સ પર આંગળી ચીંધીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ કેન્દ્ર સરકારની કરની અને તેજોરી ભરવાની લાલસામાં જ પેટ્રોલ – ડીઝલના વધતા ભાવનું રહસ્ય છુપાયેલું છે.

એટલે કે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ અને NCP પ્રમુખ શરદ પવાર જે કહી રહ્યા છે તે શિવસેના પણ કહી રહી છે. આ દિગ્ગજ નેતાઓ સલાહ આપે છે કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કરમાં તેનો હિસ્સો 25 ટકા ઘટાડવો જોઈએ, આનાથી ઈંધણના દરો નિયંત્રિત થશે અને બળતણના દરમાં વધારાને કારણે જે મોંઘવારી વધી રહી છે તેને પણ નિયંત્રિત કરી શકાશે.

(12:00 am IST)