Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

પંજાબમાં કૃષિ બિલને લઇ આપ પાર્ટીના આખી રાત વિધાનસભમાં ધરણા યોજાયા

આપના ધારાસભ્યોએ રાત વિધાનસભા પરિસરમાં વિતાવી : કૃષિ બિલની નકલ ન મળતા વિરોધ

પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સોમવારની રાત વિધાનસભા પરિસરમાં વિતાવી હતી. મંગળવારે સવારે કેટલાક ધારાસભ્યો બેઠા હતા અને કેટલાક સૂતા જોવા મળ્યા હતા. ધારાસભ્યોને પંજાબ સરકાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા કૃષિ બિલની નકલ ન મળવાના તેઓ વિરોધ પર બેઠા હતા. આ બિલ કેન્દ્ર સરકારના કૃષિ અધિનિયમના વિરોધમાં વિધાનસભામાં રજૂ થવાનું છે. આ માટે સરકારે બે દિવસીય વિશેષ સત્ર પણ બોલાવ્યું છે. જોકે સોમવારે બિલ રજૂ કરવામાં આવ્યું ન હતું, તો વિપક્ષે હોબાળો મચાવ્યો હતો.

ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ આપ પાર્ટીના ધારાસભ્યોએ વેલમાં ધરણા કર્યા હતા. કેન્દ્રીય કૃષિ કાયદાઓનો વિરોધ કરવા આમ આદમી પાર્ટી (આપ) ના ધારાસભ્યો કાળા વસ્ત્રો પહેરીને પહોંચ્યા હતા. એસેમ્બલીની બહાર તેમણે કૃષિ કાયદાની નકલો પણ બાળી હતી. આ દરમિયાન તેમનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. ધારાસભ્ય થોડા સમય પછી વિધાનસભા પરિસરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે કૃષિ કાયદાની વિરુધ્ધ પ્રદર્શન કર્યું હતું.

વિરોધ દરમિયાન વિપક્ષી નેતા અને આપ પાર્ટીના નેતા હરપાલસિંહ ચીમાએ કહ્યું કે, વિધાનસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક દરમિયાન અસરગ્રસ્ત બિલની નકલ આપવા શાસકપક્ષ કોંગ્રેસનો હેતુ સ્પષ્ટ નથી. AAP ખેડૂતોના હિત માટે એસેમ્બલીની અંદર અને બહાર બંને તરફ પોતાનો વિરોધ ચાલુ રાખશે

(10:57 am IST)