Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

અમૃતસર : ડ્રાઇવરે ટ્રેનને રોકવાનો પૂરતો પ્રયાસ કર્યો : ના ટળી શકી દુર્ઘટના

ડ્રાઇવરે હોર્ન માર્યો હતો પરંતુ આતશબાજીના અવાજમાં અવાજ સાંભળી નહોતો શકાયો

ચંડીગઢ તા. ૨૦ : અમૃતસરમાં જે સમયે ટ્રેન અકસ્માત સર્જાયો હતો, તે સમયે જોડા ફાટક નજીક પાટા પર ઉભા રહીને લોકો રાવણ દહન જોઇ રહ્યા હતા. આ ઘટના ઘટી ત્યારે અંધારૂ હતું. જયારે રાવણ દહન થયું ત્યારબાદ ચારેબાજુ ધુમાડો છવાઈ ગયો હતો અને આતશબાજી થઇ રહી હતી. આ દરમિયાન જ ત્યાંથી ટ્રેન પસાર થઈ હતી. ત્યારે હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે, આખરે લોકોની મોટી ભીડ ટ્રેનના ડ્રાઇવરને દેખાઈ કેમ નહીં?

મીડિયા રિપોર્ટસ અનુસાર ડ્રાઇવરે જણાવ્યું કે રાવણ દહનના કારણે આસપાસ ખુબ જ ધુમાડો હતો અને ઘટનાસ્થળે પણ અંધારૂ હતું. તેથી કંઈ જ સ્પષ્ટ જોઈ શકાતુ નહતુ. બીજી તરફ રેલ અધિકારીઓએ પણ જણાવ્યું કે ધુમાડાના કારણે ટ્રેનનો ડ્રાઈવર જોઈ શકે તેમ નહતો. આ ઉપરાંત અહીં વળાંક પણ હતો. જોકે અત્યાર સુધી ડ્રાઈવરની ઓળખ બહાર પાડવામાં આવી નથી અને રેલવે અધિકારીઓ તેની પુછપરછ કરી રહ્યા છે.

બીજી બાજુ રેલવેએ જણાવ્યું કે, રાવણ દહન જોવા માટે લોકોનું રેલવે ટ્રેક પર આવવું એ 'સ્પષ્ટ રીતે અતિક્રમણનો મુદ્દો' છે અને આ કાર્યક્રમને પણ રેલવે દ્વારા કોઈ જ મંજૂરી નહોતી આપવામાં આવી. અમૃતસર પ્રસાશન પર આ દુર્ઘટનાની જવાબદારી નાંખતા સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે સ્થાનિક અધિકારીઓને દશેરા કાર્યક્રમની જાણકારી હતી અને આ કાર્યક્રમમાં નવજોત સિંહ સિદ્ઘુના પત્નીએ પણ ભાગ લીધો હતો.

રેવલે બોર્ડના ચેરમેન અશ્વની લોહાનીએ જણાવ્યું કે આખરે પુરા પ્રયાસ બાદ પણ કેમ આ દુર્ઘટના ટાળી ના શકાઈ. લોહાનીએ જણાવ્યું કે, ટ્રેક પર લોકો નજરે પડતા ડ્રાઈવરે દુર્ઘટના ટાળવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રાઈવરે ટ્રેનની સ્પીડ ૯૦ કિમી/પ્રતિ કલાકની ઝડપથી ઘટાડીને ૬૫ કરી દીધી હતી. પરંતુ આટલી ઝડપે આવી રહેલી ટ્રેનને ઉભી રાખવા માટે લગભગ ૬૨૫ મીટરનું અંતર હોવું જરૂરી હોય છે. એટલે ટ્રેન ઉભી ના રહી શકી અને ૬૦થી વધારે લોકોના મોત થયા. આશંકા જણાવાઇ રહી છે કે ટ્રેનની જો ઇમરજન્સી બ્રેક લગાવવામાં આવતી તો આખી ટ્રેન જ પલટી શકતી હતી. જો આમ થયું હોત દુર્ઘટનામાં મૃત્યુઆંક પણ વધુ હોત.

લોહાનીએ જણાવ્યું કે ડ્રાઈવરે હોર્ન માર્યો હતો. પરંતુ આતશબાજીના અવાજમાં અવાજ સાંભળી નહોતો શકાયો. તેમણે એમ પણ જણાવ્યું કે, લેવલ ક્રોસિંગ ઘટનાસ્થળેથી દુર હતું. તેવામાં ત્યાં બેઠલા અધિકારી ઇચ્છે તો પણ કંઈ જ કરી શકે તેમ નહોતા.

જોકે કોંગ્રેસના નેતા નવજોતિ સિંહ સિદ્ઘુએ દાવો કર્યો છે કે, ટ્રેનના ડ્રાઈવરે હોર્ન નહોતો વગાડ્યો. તેને લઇને ઉત્ત્।ર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, રાવણનું પુતળું ઘટનાસ્થળથી ૭૦-૮૦ મીટર દુર સળગાવવામાં આવ્યું હતું. અને પુતળુ સળગીને પડ્યું તો લોકો રેલવે ટ્રેક તરફ દોડ્યા હતા.(૨૧.૨૧)

(3:48 pm IST)