Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

અમૃતસર ટ્રેન દુર્ઘટના : ટ્રેકની ચોતરફ મૃતદેહો, લોકો પોતાના સ્વજનોના અંગો શોધતા હતા

રેલવે ટ્રેકની ચારે તરફ કપાયેલા અંગો પડયા હતાઃ ટ્રેન પસાર થઇ અને મોતનું માતમ છોડી ગઇ : પરિવારોએ કહ્યું ટ્રેનને લાલ ઝંડી આપવી જોઇતી હતી

ચંડીગઢઃ અમૃતસર રેલવે દુર્ઘટના બાદના દ્રશ્યો ખૂબ જ કરૂણા અને ભય ઉપજાવનારા હતા. આ કરૂણાંતિક બાદ રેલવે ટ્રેકની ચારે તરફ ફકત લોકોના કપાયેલા મૃતદેહો જ પડ્યા હતા. ઘટના બાદ જયાં થોડા સમય પહેલા હર્ષોલ્લાસનું વાતાવરણ હતું, ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા અને મીઠાઈઓનું વિતરણ શરૂ હતું ત્યાં દુખ અને આક્રંદનું વાતાવરણ છવાઈ ગયું. રાવણ દહનનો ઉત્સવ મનાવતા લોકો પર કાળનું ચક્ર બનીને ટ્રેન પસાર થઈ અને એક સાથે સેંકડો લોકોને મોતને ઘાટ ઉતારતી ગઈ હતી.

અમૃતસર ટ્રેજેડી દરમિયાન એક તરફ રાવણ દહન થઈ રહ્યું હતું અને બીજી તરફ જોતજોતામાં ૫૦થી પણ વધુ લોકો પર ટ્રેન ફરી વળી હતી. ચૌડા ફાટક પર રેલવે દુર્ઘટના બાદ હાહાકાર મચી ગયો હતો. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ 'રાવણ દહન થઈ રહ્યું હતું અને તમામ લોકો એટલા મશગૂલ હતા કે ટ્રેનનો અવાજ કે હોર્ન પણ સાંભળી શકયા નહોતા. ન તંત્રને આ બાબતે પરવાહ હતી અને દશેરા કમિટીને રેલવે ટ્રેક અંગેની કોઈ ચિંતા. તેમની નાનકડી ભૂલથી અનેક પરિવારનો ઉજડી ગયા. જો રેવે ટ્રેકની પાસે જ રાવણ દહન કરવું હતું તો ટ્રેન ધીમી કરવાનો અથવા ટ્રેનને અટકાવી દેવાની વ્યવસ્થા કરવી જોઈતી હતી. અત્યારે તો સ્થિતિ એ છે કે પાટાની ચારે તરફ કચડાયેલા અને છિન્નભિન્ન થયેલા મૃતદેહો પડ્યા છે અને લોકો પોતાના પરિવારજનોને શોધી રહ્યા છે.'

આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક તરફ રાવણ બળતા તેમાં રાખેલા ફટાકડાથી અને આભને અડતી તેની જવાળાથી બચવા લોકો પાછળ પાછળ હટી રહ્યા છે તેવામાં ટ્રેક પરથી પસાર થતી સુપરફાસ્ટ ટ્રેનની ઝપટમાં સેકન્ડ્સની ગણતરીમાં લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા.

ઘટના બાદ પોતાના પરિવારજનને ગુમાવી દેનાર એક વ્યકિતએ કહ્યું કે, 'દશેરાનો કાર્યક્રમ થતો હતો અને આટલી મોટી ભૂલ થઈ ગઈ તંત્રને કે કાર્યક્રમ કરનાર કમિટીએ ટ્રેન પાટા પર લાલ ઝંડી રાખવાની જરુર હતી.'

ઘટના અંગે ઉત્તર રેલવેના સીપીઆરઓનું કહેવું છે કે 'ટ્રેકની બાજુમાં રાવણનું ૭૦-૮૦ ફૂટનું પૂતળું બનાવાયું હતું. જેનું દહન કરવામાં આવતા સળગતું પૂતળું પડવા લાગ્યું જેનાથી બચવા લોકો ટ્રેક પર આવી ગયા અને તે જ સમય પસાર થતી ફાસ્ટ ટ્રેનની ઝપટમાં આવવાથી આ દુર્ઘટના ઘટી છે.' રેલવેએ આ સાથે હેલ્પ લાઇન નંબર પણ જાહેર કર્યા છે. તો રાજય સરકારે મૃતકો માટે ૫-૫ લાખ રુપિયાનું વળતર જાહેર કર્યું છે.(૨૧.૫)

(10:05 am IST)