Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

૨૫ દેશોને પછાડી સિક્કીમ બન્યું દુનિયાનું પ્રથમ ૧૦૦ ટકા ઓર્ગેનિક સ્ટેટ

જ્યાં સંપૂર્ણપણે એટલે કે ૧૦૦ ટકા જૈવિક ખેતિ કરવામાં આવે છે

નવી દિલ્હી/ન્યુયોર્ક તા. ૨૦ : ઉત્તરપૂર્વના નાનકડા રાજય સિક્કિમે દુનિયામાં ભારતનું નામ ઊંચું કરી દીધું છે. આજે જયારે આખી દુનિયા ખાદ્ય પદાર્થોમાં કેમિકલના વધતા જતા ઉપયોગથી ચિંતિત છે, ત્યારે માત્ર ૬ લાખ ૧૦ હજારની વસતી ધરાવતું આ નાનકડું રાજય દુનિયાનું પ્રથમ ૧૦૦ ટકા ઓર્ગેનિક રાજય બની ગયું છે.

સિક્કિમ ૧૬ મે, ૧૯૭૫ના રોજ ભારતીય ગણરાજયમાં જોડાયું હતું. અહીં, છેલ્લા ૨૫ વર્ષથી પવન ચામલિંગના સિક્કિમ ડેમોક્રેકિટ ફ્રન્ટનું શાસન છે, ૨૦૧૬માં પીએમ મોદીએ સિક્કિમને દેશનું પ્રથમ ઓર્ગેનિક રાજય જાહેર કર્યું હતું.

ગુરૂવારે સંયુકત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (UNFAO)એ કૃષિ તંત્ર અને સતત ખાદ્ય પ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે  સિક્કિમને 'સર્વશ્રેષ્ઠઙ્ગ નીતિઓનો ઓસ્કર' પુરસ્કાર આપ્યો છે. સિક્કિમ ભારતનું પ્રથમ એવું રાજય છે જયાં સંપૂર્ણપણે એટલે કે ૧૦૦ ટકા જૈવિક ખેતિ કરવામાં આવે છે.

એક નિવેદન અનુસાર પૂર્વત્ત્।રના આ રાજયએ ૨૫ દેશની ૫૧ નામાંકિત નીતિઓને પાછળ રાખીને આ પુરસ્કાર જીત્યો છે. બ્રાઝીલ, ડેનમાર્ક અને કિવટો (ઈકવાડોર)ને સિલ્વર મેડલ મળ્યો છે.

સંયુકત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (એફએઓ), વર્લ્ડ ફયુચર કાઉન્સિલ (WFC) અને બિનલાભકારી સંગઠન IFASM- ઓર્ગેનિક ઈન્ટરનેશનલ ભેગા મળીને આ પુરસ્કાર આપે છે. સિક્કિમ લાંબા સમય સુધી માટીની ફળદ્રુપતા, પર્યાવરણ અને પરિસ્થિતીકિય તંત્રના સંરક્ષણ, સ્વસ્થ જીવન અને હૃદય સંબંધિત બિમારીઓના વધતા જોખમને ઘટાડવાના હેતુ સાથે ૨૦૦૩માં જૈવિક ખેતિ અપનાવવાની કાયદેસરની જાહેરાત કરનારો દેશનું પ્રથમ રાજય બન્યું હતું.

સિક્કિમના મુખ્યમંત્રી પવન ચામલિંગે સોમવારે જૈવિક ખેતીને વધુને વધુ લોકપ્રિય કરવાની અપીલ કરી છે. આ માટે તેમણે પોતાના રાજયનું ઉદાહરણ આપ્યું હતું. ચામલિંગે ઈટાલિયન સંસદના એક રૂમમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, સિક્કિમને રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરીને સંપૂર્ણપણે જૈવિક ખેતી અપનાવવામાં એક દાયકા કરતાં વધુ સમય લાગ્યો હતો.

તેમણે જણાવ્યું કે, 'અહીં મને આમંત્રણ આપવા માટે હું સૌનો આભારી છું. હું કોઈ વૈજ્ઞાનિક કે સંશોધનકર્તા નથી. માત્ર એક નેતા છું, જેણે રાસાયણિક ખાતનો ઉપયોગ કરતા રાજયને સંપૂર્ણપણે જૈવિક ખેતી અપનાવનારા રાજયમાં તબદિલ કરવાના અભિયાનનું નેતૃત્વ કર્યું છે.'

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 'મારા જૂના અનુભવ અને જૈવિક ખેતી સંબંધિત પહેલ સાથે મારા જોડાણના આધારે હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું કે, સમગ્ર દુનિયામાં સંપૂર્ણપણે જૈવિક ખેતી શકય છે. જો અમે સિક્કિમ જેવા રાજયમાં આમ કરી શકીએ છીએ તો એવું કોઈ કારણ નથી કે દુનિયાના અન્ય સ્થળોએ પણ નીતિ નિર્માતાઓ, ખેડૂતો અને સમાજના નેતાઓ આમ ન કરી શકે.'(૨૧.૨)

(10:03 am IST)