Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

જેડીયુએ રામ મંદિર મુદ્દે ભાજપને ચેતવણી આપી

ઉપેન્દ્ર કુશવાહે પણ સીટોને લઇને ચેતવણી આપી : લોકસભા ચૂંટણી પહેલા જ એનડીએમાં ફરીવાર રાજકીય ઘમસાણની સ્થિતિ : બેઠકોને લઇને વાતચીતના દોર જારી

નવી દિલ્હી, તા. ૧૯ : બિહારમાં થોડાક દિવસની શાંતિ બાદ ફરી એકવાર રાજકીય ઘમસાણમાં તેજી આવી ગઈ છે. જુદા જુદા મુદ્દાઓ ઉપર ભાજપને તેમના સાથીઓએ ચેતવણી આપી છે કે, તેઓ પોતાની શરતોની સાથે જ પાર્ટીમાં રહેશે. બિહારની ૪૦ લોકસભા સીટોની વહેંચણીના મુદ્દા ઉપર છેલ્લા કેટલાક દિવસથી એનડીએના ઘટક પક્ષોમાં ખેંચતાણ ચાલી રહી છે. જો કે, ભાજપ અને જેડીયુએ કહ્યું છે કે, તમામ બાબતો સન્માનજનકરીતે ઉકેલી લેવામાં આવી છે. સંઘના વડા મોહન ભાગવતે વહેલીતકે મંદિર નિર્માણ માટે કાનૂન બનાવવાના નિવેદન અંગે જેડીયુએ કહ્યું છે કે, તે આની વિરુદ્ધમાં છે. ભાગવતના નિવેદન બાદ આરજેડી અને કોેંગ્રેસના નિવેદન આવે તે પહેલા જ જેડીયુએ આ મામલામાં કઠોર વલણ અપનાવીને કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાથી બહાર રામ મંદિર કાનૂન બનાવવાની કોઇપણ પહેલને જેડીયુ ટેકો આપશે નહીં. પાર્ટીના નેતા કેસી ત્યાગીએ કહ્યું છે કે, જ્યારે જેડીયુ એનડીએનો હિસ્સો બની હતી ત્યારે જ આ બાબત નક્કી કરવામાં આવી હતી કે, સરકારની અંદર આ એજન્ડા ઉપર ચાલવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં રામ મંદિર પર ચુકાદો સુપ્રીમ કોર્ટ ઉપર જ છોડી દેવો જોઇએ. રામ મંદિર સાથે જોડાયેલા કાયદા જો સરકાર લાવે છે તો જેડીયુ એનડીએનો હિસ્સો રહેશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ત્યાગીએ કહ્યું હતું કે, હાલમાં આવી કોઇ સ્થિતિ નથી પરંતુ જેડીયુ આ પ્રકારની પહેલનો વિરોધ કરશે. રામ મંદિરના મુદ્દા પર જેડીયુ દ્વારા આવું વલણ એ વખતે અપનાવવામાં આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે પણ પરોક્ષરીતે કહ્યું છે કે, ગઠબંધનની મજબુરીમાં આ પ્રકારની ચીજોને કોઇરીતે સ્વીકારવામાં આવશે નહીં. એનડીએના સાથી પક્ષ રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીએ કહ્યું છે કે, ૨૦૧૪ની સરખામણીમાં તે એક સીટ પણ ઓછી લેશે નહીં. પાર્ટીના વડા અને કેન્દ્રીયમંત્રી ઉપેન્દ્ર કુશવાહે કહ્યું છે કે, બિહારમાં ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ સાથે મિટિંગ થઇ ચુકી છે જેમાં સીટોની વહેંચણીને લઇને ચર્ચા થઇ હતી. ઉપેન્દ્ર કુશવાહે કહ્યું છે કે, ત્રણથી ઓછી સીટોને ચલાવી લેવામાં આવશે નહીં. વર્ષ ૨૦૧૪માં પાર્ટી ત્રણ સીટો ઉપર ચૂંટણી મેદાનમાં ઉતરી હતી અને ત્રણેય પર જીતી ગઈ હતી. જ્યારે ભાજપના સુત્રોના કહેવા મુજબ તે સાથી પક્ષોના દબાણ હેઠળ હાલમાં કોઇ પ્રતિક્રિયા આપશે નહીં. પાર્ટીને લાગે છે કે, સીટોમાં વધારે હિસ્સેદારી માટે જુદી જુદી રીતે દબાણ લાવવામાં આવી રહ્યું છે જે યોગ્ય તરીકો નથી.

(12:00 am IST)