Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

દિવ્યાંગોને ઘરે વેક્સિન આપવા સંદર્ભે કેન્દ્રને નોટિસ

માત્ર કેરળમાં દિવ્યાંગોની ઘરે જઈને વેક્સિન અપાય છે : એક સંસ્થા તરફથી દાખલ અરજીમાં દિવ્યાંગોને કોરોના રસીકરણમાં પ્રાથમિકતા આપવાની માગ કરવામાં આવી

નવી દિલ્હી, તા.૨૦ : દિવ્યાંગ લોકોને ઘરે કોરોના રસીકરણની સુવિધા આપવાની માગ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી છે. કોર્ટે મામલાની આગામી સુનાવણી અઠવાડિયા બાદ રાખી છે. બે જજની બેન્ચે સોલિસીટર જનરલ તુષાર મહેતાને મુદ્દે પોતાની સહાયતા માટે કહ્યુ છે. એવારા ફાઉન્ડેશન નામની સંસ્થા તરફથી દાખલ અરજીમાં દિવ્યાંગોને કોરોના રસીકરણમાં પ્રાથમિકતા આપવાની માગ કરવામાં આવી છે. અરજીમાં પણ કહેવામાં આવ્યુ છે કે દિવ્યાંગજનો માટે કોવિન એપની જગ્યાએ બીજો સુવિધાજનક વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવે.

અરજીકર્તા તરફથી વકીલે જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડ અને બી વી નાગરત્નાની બેન્ચમાં પક્ષ રાખ્યો. તેમણે જણાવ્યુ કે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન શારીરિક રીતે અસમર્થ લોકોને કોરોના રસીકરણમાં પ્રાથમિકતા આપવાને અગત્યનુ ગણાવી ચૂક્યા છે. કેરળ અને ઝારખંડ સરકારે દિવ્યાંગોને ઘરે કોવિડ વેક્સિન આપવાની નીતિ બનાવી છે પરંતુ બાકી દેશમાં આવુ કરવામાં આવ્યુ નથી.

અરજીકર્તાના વકીલે પણ કહ્યુ કે કોઈ પણ જિલ્લાના વહીવટીતંત્ર પાસે પોતાના ત્યાંના દિવ્યાંગ લોકોનો પૂરો રેકોર્ડ હોય છે. એવામાં કોર્ટે તમામ રાજ્યોને નોટિસ જારી કરીને જવાબ માગવો જોઈએ. જજોએ હાલ માત્ર કેન્દ્રને નોટિસ જારી કરતા કહ્યુ કે રસીકરણ નીતિને લઈને કેન્દ્ર નિર્ણય લઈ રહ્યુ છે. જો તમામ રાજ્યો પાસે જવાબ માગવામાં આવે તો જવાબ આવતા અઠવાડિયાને બદલે મહિના થઈ જાય. અરજીકર્તાએ આની પર સંમતિ દર્શાવી.

(7:43 pm IST)