Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

રસી નહીં મૂકાવું, ઈતિહાસનું સોથી મોટું કૌભાંડ : બિજય આનંદ

શેરશાહના અભિનેતાની ચોંકાવનારી કોમેન્ટ : મારું શરીર એક મંદિર છે અને તેમાં હું કોઈ કેમિકલ નાખવા નહીં દઉં એમ કહી અભિનેતાએ પ્રોજેક્ટ જતા કર્યા

મુંબઈ, તા.૨૦ : કોરોનાથી બચવા માટે રસીને એક મોટું હથિયાર માનવામાં આવે છે. મહત્તમ સંખ્યામાં લોકોને રસી મળે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. પ્રખ્યાત હસ્તીઓ પણ લોકોને કોરોનાથી બચવા માટે રસી લેવાની અપીલ કરી રહ્યા છે. સ્ટાર્સ પોતે રસી લીધા પછી તસવીરો શેર કરે છે અને પોતાના ફેન્સને પણ રસી લેવા માટે પ્રોત્સાહિત કરે છે. પરંતુ એક્ટર બિજય આનંદ એવા વ્યક્તિ છે જેમણે રસી લેવાની ના પાડી દીધી છે. બિજય આનંદે નક્કી કરી લીધું છે કે તે કોઈ પણ ભોગે રસી નહીં મુકાવે. બિજય કહે છે કે માનવજાતિના ઈતિહાસમાં સૌથી મોટા કૌભાંડોમાંથી એક છે. ભલે હાથમાંથી પ્રોજેક્ટ્સ નીકળી જાય, પરંતુ પોતાના શરીરમાં કેમિકલ નહીં નાખે.

ફિલ્મ 'પ્યાર તો હોના હી થાલ્લમાં કાજોલના કો-સ્ટાર રહી ચુકેલા બિજય આનંદ તાજેતરમાં ફિલ્મ શેરશાહમાં જોવા મળ્યા હતા. તેમણે એક વાતચીતમાં કોરોના વેક્સિન બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. બિજય આનંદે કહ્યું કે, મારા હાથમાંથી બે ફિલ્મો નીકળી ગઈ, જેના માટે લંડનમાં શૂટ કરવાનુ હતું. એક મોટી વેબ સીરિઝ પણ હાથમાંથી જતી રહી, તેના માટે સર્બિયા જવાનુ હતુ. દુબઈમાં મને એક અવોર્ડથી સન્માનતિ કરવાનો હતો, પરંતુ હું ત્યાં પણ નથી જઈ શક્યો. ભલે મારા હાથમાં આટલુ બધું કામ નીકળી રહ્યું છે, પરંતુ હું રસી નહીં લઉં.

જ્યારે બિજય આનંદને હઠ પાછળનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે- મારા માટે મારું શરીર એક મંદિર છે અને તેમાં હું કોઈ કેમિકલ નાખવા નહીં દઉ. મને એક્ટિંગ નથી જોઈતી, નોકરી પણ નહીં. મેં તમામ ઓફર ફગાવી દીધી છે. મને ખબર છે કે રસી ના લેવાને કારણે હું શું મિસ કરી રહ્યો છું, પરંતુ તેમ છતા હું રસી નહીં લઉ. બિજય જણાવે છે કે, મારી ૧૪ વર્ષની દીકરીને એક ફિલ્મમાં પ્રથમ રોલ મળ્યો છે. તે લંડન જઈ રહી છે. મેં અને મારી પત્ની બન્ને રસી નથી લીધી માટે તે એકલી લંડન જઈ રહી છે. જો કે ત્યાં હું આખા યૂનિટને ઓળખુ છું. લંડન મારું બીજું ઘર છે, જો જઈ શકતા તો સારુ હતું.

બિજય આનંદ જણાવે છે કે, મારી દીકરી પણ વાતથી નારાજ છે કે અમે તેની સાથે લંડન નથી જઈ રહ્યા, પરંતુ મેં અને મારી પત્નીએ પોતાનો પક્ષ મૂક્યો છે અને અડગ રહ્યા છીએ. મને લાગે છે કે બધું પોલિટિકલ છે અને કદાચ માનવજાતિના ઈતિહાસમાં સૌથી મોટા કૌભાંડોમાંથી એક છે.

બિજય આનંદ માત્ર એક્ટર નથી, એક કુંડિલિની યોગ ટીચર પણ છે. તેમના વિદ્યાર્થીઓની પણ ફરિયાદ છે કે બિજય ટ્રાવેલ નથી કરી રહ્યા.

તેમના વિદ્યાર્થીઓ અપીલ કરી રહ્યા છે કે માન્ચેસ્ટર ફેસ્ટિવલમાં થનારા હોલિસ્ટિક ઈન્ટરનેશનલ ફેસ્ટિવલ ઓફ યોગામાં ભાગ લે. ઉલ્લેખનીય છે કે બિજય અત્યારે આલિયા ભટ્ટ સાથેની એક કપડાની બ્રાન્ડની જાહેરખબર માટે ચર્ચામાં છે. જાહેરખબરમાં કન્યાદાન પર પ્રશ્ન કરવામાં આવ્યો છે. જેના કારણે લોકો રોષે ભરાયા છે.

(7:37 pm IST)