Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ભાજપ-જેડીયુ ગઠબંધનમાં કોઈ મતભેદ નથી : નીતિશકુમાર

વિપક્ષી પાર્ટીઓ પર નીતિશકુમારના આકરા પ્રહારો : આગામી વર્ષ ૨૦૨૦માં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં ૨૦૦ બેઠકો જીતવાનો મુખ્યમંત્રી નીતિશકુમારનો દાવો

પટણા,તા.૨૦ : બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે આગામી વર્ષે રાજ્યમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની મોટી જીતનો દાવો કરતા શુક્રવારે કહ્યું હતું કે, જે લોકો જેડીયુ અને તેમની ગઠબંધન સહયોગી પાર્ટી ભાજપ વચ્ચે મતભેદ ઉભા કરવાના પ્રયત્નો કરી રહ્યા છે તેમની હાલત કફોડી બનનાર છે. નીતિશકુમારે કહ્યું હતું કે, ભાજપ અને જેડીયુ ગઠબંધન વચ્ચે કોઇ મતભેદ નથી. બિહારના મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને ૨૦૦થી વધુ બેઠકો મળશે. નીતિશકુમારે ગઠબંધન પર ઉઠી રહેલા પ્રશ્નોને લઇ કહ્યું હતું કે, જેડીયુ અને ભાજપ વચ્ચે કોઇ મતભેદ નથી. તેમણે કહ્યું હતું કે, એવા કેટલાક લોકો છે જે વિચારે છે કે, અમારા ગઠબંધનમાં કોઇ મતભેદ છે.

                      આવું કંઇ જ નથી અને જે મતભેદ ઉભા કરવાના પ્રયત્નો કરી રહ્યા છે તેમની હાલત કફોડી બનનાર છે. જેડીયુની એક બેઠકને સંબોધિત કરતા નીતિશકુમારે વિપક્ષો પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, જે લોકોમાં  રાજનીતિક સમજણની કમી છે તેઓ તેમના પર હુમલા કરીને પ્રચાર મેળવવાના પ્રયત્નો કરે છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કેટલાક લોકોએ તો સ્વીકાર કર્યું છે કે, તેમણે આવું એટલા માટે કર્યું છે કેમ કે તે તેમની ખાસિયત છે. કુમારે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરતા કહ્યું હતું કે, તેઓ તેમની વિરુદ્ધ થનાર નિંદાત્મક ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપવાથી બચવું જોઇએ. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે,૨૦૧૦ની વિધાનસભા ચૂંટણીને યાદ કરવાના પ્રયાસ કરે. મુખ્યમંત્રીએ શંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે, અમને બહુમતિ નહીં મળે પરંતુ ૨૪૩ પૈકી ૨૦૬ બેઠકો પર જીતી ગયા હતા.  મુખ્યમંત્રી નીતિશકુમારે આગામી વર્ષે પણ ૨૦૦ બેઠકોથી વધુ બેઠકો જીતવાની આશા વ્યક્ત કરી હતી.

(8:01 pm IST)