Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

હું ગાયને સંસ્કૃત-તમિલમાં બોલતા શીખવી શકુ છું: સ્વામી નિત્યાનંદ

એક સોફ્ટવેર તૈયાર કર્યું છે જેના દ્વારા તે શકય છે

ચેન્નાઇ, તા.૨૦: દક્ષિણ ભારતના લંપટ બાબા સ્વામી નિત્યાનંદે દાવો કર્યો છે કે તે ગાયને તમિલ અને સંસ્કૃત બોલવાનું શીખવી શકે છે. નિત્યાનંદે આ વાતો આત્મવિશ્વાસ સાથે જણાવી છે. તેમણે પ્રવચન દરમિયાન આ દાવો કર્યો છે. તેમના ભાષણનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિઓમાં જોવા મળી રહ્યું છે કે નિત્યાનંદ દાવો કરી રહ્યા છે કે તેઓ ગાય અને વાંદરાઓને આધ્યાત્મિકતા દ્વારા સંસ્કૃત અને તમિલ બોલવાનું શીખવી શકે છે. તેઓ જણાવે છે કે તેમણે એક સોફ્ટવેર તૈયાર કર્યું છે જેના દ્વારા તે શકય છે. અને આ સોફ્ટવેરનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે.

 નિત્યાનંદે જણાવ્યું કે, વાંદરા અને ગાય જેવા પ્રાણીઓનાં શરીરમાં મનુષ્યની જેમ અંગો નથી હોતા. હું આધ્યાત્મ દ્વારા પ્રાણીઓના શરીરમાં આ અંગો ઉત્પન કરાવવા સક્ષમ છું. હું આ બાબતને વૈજ્ઞાનિક રીતે પણ સાબિત કરી શકું છું. તેમણે જણાવ્યું કે આ પ્રયોગ સંબંધિત સોફ્ટવેરના ટેસ્ટિંગ બાદ જ હું આ વાત જણાવી રહ્યો છું. મારી આ વાતને તમે રેકોર્ડ કરી શકો છો. હું એક વર્ષની અંદર આ વાતને સાબિત કરીને બતાવીશ. હું વાંદરા, સિંહ અને વાદ્ય માટે બોલવાની નળી (વોકલ કોર્ડ) તૈયાર કરી બતાવીશ.લૃ તેમણે વધુમાં જણાવ્યું કે ટૂંક સમયમાં તેઓ તેવી ગાય સામે લાવશે, જે તમિલ અને સંસ્કૃત ભાષામાં વાત કરશે. આ અગાઉ નિત્યાનંદ દાવો કરી ચૂકયા છે કે તેઓ માત્ર ધ્યાન કરી મોટા મોટા રોગની સારવાર કરી શકે છે.

 સેકસ સીડી કાંડથી  ચર્ચામાં આવ્યા હતા નિત્યાનંદ

સ્વામી નિત્યાનંદ વર્ષ ૨૦૧૦માં સેકસ સીડી કાંડના કારણે ચર્ચામાં આવ્યા હતા. સાધનાની આડમાં સેકસ રેકેટ ચલાવવાના આરોપમાં કર્ણાટક હાઇકોર્ટે નિત્યાનંદની તે દલીલ ફગાવી દીધી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમની અને અભિનેત્રી વચ્ચેનો શારીરિક સંબંધ સંમતિથી બંધાયો હતો. કોર્ટે નિત્યાનંદ અને અન્ય વિરુદ્ઘ આરોપો નક્કી કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ સ્વામીના સહયોગિયોએ અરજી કરી કોર્ટના ચૂકાદાને પડકાર્યો હતો. સ્વામી નિત્યાનંદનો જન્મ ૧ જાન્યુઆરી, ૧૯૭૮ના રોજ તમિલનાડુના થિરુનામલાઈમાં થયો છે. નિત્યાનંદ નાની ઉંમરમાં જ સંન્યાસી થઈ ગયા હતા, ત્યારબાદ તેમણે તેમની એક સંસ્થા બનાવી જેનું નામ ધ્યાનપીતમ છે.

(3:52 pm IST)