Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

૩૭૦ની કલમ નાબૂદ કરો : જલદી બનશે રામમંદિર : RSS પ્રમુખ

ગાય જ નહી કોઇપણ મુદ્દે કાયદો હાથમાં લેવો અથવા તોડફોડ કરવી એ અપરાધ છે : ગૌરક્ષા હોવી જોઇએ પરંતુ ગૌરક્ષકો અને ઉપદ્રવીઓની સરખામણીમાં નહિ : ‘સંઘના પ્રસ્‍તાવ છે કે જનસંખ્‍યાનો વિચાર એક બોજરૂપ છે : ડેમોગ્રાફિક બેલેન્‍સની વાત સમજવી જોઈએ. તેને ધ્‍યાનમાં રાખીને નીતિ બનવી જોઈએ : આવતા પચાસ વર્ષને લઈને નીતિ બનવી જોઈએ : નીતિને દરેક પર સમાન અસરથી લાગુ કરવી જોઈએ : સંતાન કેટલા હોવા જોઈએ તે દેશનો નહિ પરિવારનો પણ વિષય છે'

નવી દિલ્‍હી તા. ૨૦ : રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘના ત્રણ દિવસના ભાષણ શૃંખલા કાર્યક્રમ ‘ભારતનું ભવિષ્‍ય'ના છેલ્લા દિવસે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કાર્યક્રમમાં આવેલા સવાલોના જવાબ આપ્‍યાં હતાં. ભાગવતે કહ્યું કે રામમંદિરનું નિર્માણ ટૂંક સમયમાં જ થવું જોઈએ. તેમણે કહ્યું કે, ‘કાશ્‍મીરમાં ૩૭૦ પર અમારૂ વલણ દરેક જાણે છે. અમે તેને દૂર કરવાના પક્ષમાં છે.' મોહન ભાગવતે આ દરમિયાન જાતિ વ્‍યવસ્‍થા, આરક્ષણ, અલ્‍પસંખ્‍યક, સમલૈંગિકતા, જમ્‍મુ-કશ્‍મીર અને શિક્ષા નીતિ જેવા અનેક મુદ્દાઓ પર આવેલા સવાલના જવાબ આપ્‍યાં હતાં. આ દરમિયાન જણાવાયું કે લોકો તરફથી ૨૧૫ સવાલ પૂછાયાં હતાં.

જાતિ વ્‍યવસ્‍થા વિશે એક સવાલનો જવાબ આપતા મોહન ભાગવતે કહ્યું કે એક સમયે આ જાતિ વ્‍યવસ્‍થા હશે પરંતુ હવે આ જાતિ અવ્‍યવસ્‍થા છે. સામાજિક વિષમતા વધારતી દરેક વાતો બહાર હોવી જોઈએ. આ યાત્રા લાંબી છે પરંતુ કરવી પડશે. સંઘમાં કોઈને પણ જાતિ પૂછવામાં નથી આવતી. સંઘમાં કોટા સિસ્‍ટમ નથી. તેણે કહ્યું કે, ‘આપણે દરેકને પકડવા જોઈશે. સંપૂર્ણ સમાજનુ સંગઠન છે. આ યાત્રા લાંબી છે. અમે તે પર આગળ વધી રહ્યાં છીએ.'

ગૌરક્ષા અને મોબ લિંચિગ અંગે પૂછવામાં આવેલા સવાલ વિશે જવાબ આપતાં તેણે કહ્યું કે, ‘ગાય જ નહી, કોઈપણ મુદ્દે કાયદો હાથમાં લેવો અથવા તોડફોડ કરવી એ અપરાધ છે. ગૌરક્ષા હોવી જોઈએ. પરંતુ ગૌરક્ષકો અને ઉપદ્રવીઓની સરખામણીમાં નહિ. ગાયની રક્ષામાં ગૌસંવર્ધનનો ખ્‍યાલ રાખવો જોઈએ.' તેમણે એ પણ ઉમેર્યું કે ઉપદ્રવી તત્‍વ અને ગૌરક્ષાનો કોઈ જ સંબંધ નથી. એ વાત પણ રિસર્ચમાં સામે આવી કે ગાયની સેવા કરનારમાં અપરાધિક ભાવ પૂરો થઈ જાય છે. અનેક જેલમાં આ પ્રયોગ થઈ ચૂક્‍યો છે.

મોહન ભાગવતે કહ્યું કે, ‘સમાજનો પ્રત્‍યેક વ્‍યક્‍તિ સમાજનું જ એક અંગ છે. તેમની વ્‍યવસ્‍થા કરવાનું કામ સમાજે કરવું પડશે. સમય ખૂબ બદલી ચૂક્‍યો છે. સમયની સાથે સમાજ પણ બદલે છે. સ્‍વયંમાં કંઈક અલગ પ્રકારનો અનુભવ કરનાર લોકો સમાજમાંથી અલગ ન પડી જાય તે ચિંતા સમાજને કરવી જોઈશે.'

આરક્ષણના સવાલ પર જવાબ આપતા મોહન ભાગવતે કહ્યું કે, ‘સામાજિક વિષમતાથી દૂર સમાજમાં બધાને તક મળવી જોઈએ. સંવિધાન સાથે સહમત આરક્ષણને સંઘનું સમર્થન છે. આરક્ષણ ક્‍યાં સુધી ચાલશે તેનો નિર્ણય સંવિધાન કરશે. આરક્ષણ મુશ્‍કેલી નથી. આરક્ષણની રાજનીતિ સમસ્‍યા છે. સમાજના દરેક અંગને સાથે લાવવાનું કામ કરવું પડશે. જે ઉપર છે તેમને નમવું પડશે અને જે નીચે છે તેને એડી ઉપર કરી આગળ વધવું પડશે. ૧૦૦-૧૫૦ વર્ષ સુધી જો સમજૂતી કરીને સમાજના દરેક અંગોને સાથે લાવવામાં આવે તો આ મોંઘો સોદો નથી.'

રામમંદિરના નિર્માણ પર મોહન ભાગવતે કહ્યું કે, ‘સંઘના સરસંઘચાલક હોવાને લીધે મારો મત છે કે રામમંદિર જન્‍મભૂમિ પર ભવ્‍ય રામમંદિર બનવું જ જોઇએ. રામ માત્ર આસ્‍થાનો વિષય નથી તે એક મર્યાદાનો વિષય છે. કરોડો લોકોની આસ્‍થાનો વિષય છે. દેશહિત વિચાર હોત તો મંદિર બની ચૂક્‍યું હોત.'

શિક્ષા નીતિના સવાલ પર જવાબ આપતા તેમણે કહ્યું કે, ‘ધર્મની શિક્ષા ભલે ન આપો પરંતુ દેશની શિક્ષા અનિવાર્ય છે. શિક્ષાનું સ્‍તર નથી ઘટતું. શિક્ષા આપનાર અને શિક્ષા લેનારનું સ્‍તર ઘટે છે. બધા જ ડોક્‍ટર અથવા એન્‍જિનિયર ન બની શકે. જે પણ કરવું હશે તે સૌથી ઉત્તમ રીતે કરવું પડશે. વધારે કમાવવાનો મંત્ર હશે તો મુશ્‍કેલી થશે. શિક્ષકોને એ પણ ખ્‍યાલ રાખવો જોઈએ કે તેઓ દેશનું ભવિષ્‍ય ઘડી રહ્યાં છે. ડિગ્રી તો મળી રહી છે પરંતુ રિસર્ચનું કામ ઓછું થઈ રહ્યું છે. શિક્ષા નીતિમાં આમૂલ પરિવર્તન થવું જોઈએ. સંઘ લાંબા સમયથી આ જ માંગ કરી રહ્યો છે.'

ભાષાના મુદ્દે મોહન ભાગવતે કહ્યું કે, ‘સંઘનો પ્રભુત્‍વની વાત આપણાં મનમાં છે. આપણે આપણી માતૃભાષાને સન્‍માન આપવાનું શરૂ કરવું જોઈશે. કોઈ ભાષાથી શત્રુતાની જરૂર નથી. અંગ્રેજી હટાઓ નહી, અંગ્રેજીનું વાતાવરણ હટાવો. જેટલા સ્‍વભાષામાં કામ કરશું એટલી જ વાત બનશે. દેશની ઉન્નતી માટે આપણી ભાષામાં શિક્ષા હોવી જરૂરી છે. કોઈ એક ભારતીય ભાષા શીખો તે જરૂરી છે.' તેણે કહ્યું કે, ‘હિન્‍દી પ્રાંતના લોકોએ પણ બીજા વિસ્‍તારની ભાષા શીખવી જોઈએ. સંસ્‍કૃતના વિદ્યાલય ઘટી રહ્યાં છે કારણકે મહત્‍વ ઘટી રહ્યું છે. ભારતની દરેક ભાષા મારી છે તેવો ભાવ હોવો જોઈએ.'

જનસંખ્‍યાના મામલે સંઘ પ્રમુખે કહ્યું કે, ‘સંઘના પ્રસ્‍તાવ છે કે જનસંખ્‍યાનો વિચાર એક બોજરૂપ છે. ડેમોગ્રાફિક બેલેન્‍સની વાત સમજવી જોઈએ. તેને ધ્‍યાનમાં રાખીને નીતિ બનવી જોઈએ. આવતા પચાસ વર્ષને લઈને નીતિ બનવી જોઈએ. નીતિને દરેક પર સમાન અસરથી લાગુ કરવી જોઈએ. સંતાન કેટલા હોવા જોઈએ તે દેશનો નહિ પરિવારનો પણ વિષય છે.'

મોહન ભાગવતે કહ્યું કે, ‘કલમ ૩૭૦ અને ૩૫એ વિશે અમારા વિચાર દરેક જાણે છે. અમારૂ માનવું છે કે આ ન હોવા જોઈએ. ભટકતા યુવાનો માટે દેશ સંઘના સ્‍વયંસેવક કામ કરી રહ્યાં છે. ત્‍યાંના લોકોનો સાથ મળી રહ્યો છે. હું વિજયાદશમીના ભાષણમાં બોલ્‍યો હતો કે કાશ્‍મીરના લોકો સાથે મેળાપ વધવો જોઈએ. એક દેશના લોકો એક કાયદા હેઠળ રહે. સમાન નાગરિક સંહિતાનો મતલબ માત્ર હિંદુ અને મુસલમાન નથી. દરેકના વિચારોને ધ્‍યાનમાં રાખીને કોઈ એક વિચાર પર મન બનવું જોઈએ.'

 

(10:46 am IST)