Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

શાંતિ મંત્રણા ફરી શરૂ કરો : ઇમરાનનો મોદીને પત્ર

પાકિસ્‍તાનના વડાપ્રધાન ઇચ્‍છે છે કે ન્‍યૂયોર્કમાં બંને દેશોના વિદેશમંત્રીઓ વચ્‍ચે મીટીંગ યોજાય : બંને દેશોના વિદેશ પ્રધાનો વચ્‍ચે છેલ્લે ડિસેમ્‍બર-૨૦૧૫માં મંત્રણા થઇ હતી : પાક.ની નવી સરકાર સારા સંબંધો ઇચ્‍છે છે

નવી દિલ્‍હી તા. ૨૦ : પાકિસ્‍તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીને પત્ર લખીને ફરીથી બે દેશો વચ્‍ચે શાંતિ વાર્તા શરૂ કરવાની વાત કરી છે. ખાસ વાત એ છે કે તેમણે યૂનાઈટેડ નેશન્‍સ જનરલ અસેમ્‍બલીની મીટિંગ સિવાય ભારતના વિદેશ મંત્રી સુષ્‍મા સ્‍વરાજ અને પાકિસ્‍તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી વચ્‍ચે મીટિંગ થાય તેવો આગ્રહ કર્યો છે. આગામી મહિનામાં ન્‍યૂયોર્કમાં યૂનાઈટેડ નેશન્‍સ જનરલ અસેમ્‍બલીની મીટિંગ થવાની છે.

ઈમરાન ખાનનો આ પત્ર વડાપ્રધાન મોદીના તે મેસેજનો જવાબ છે જેમાં તેમણે બન્ને દેશો વચ્‍ચે રચનાત્‍મક સંબંધોના સંકેત આપ્‍યા હતા. ઈમરાન ખાને પણ પાકિસ્‍તાન ઈલેક્‍શનમાં પોતાની જીત પછી કહ્યુ હતું કે જો સંબંધોના સુધારાની દિશામાં ભારત એક પગલું આગળ વધારશે તો અમે બે પગલા આગળ વધારીશુ. ઉલ્લેખનીય છે કે પાછલા થોડાક સમયમાં એવી અટકળો ચાલી રહી હતી કે યૂએન જનર એસેમ્‍બલીમાં સ્‍વરાજ અને કુરેશી વચ્‍ચે મીટિંગ થશે કે નહીં. ઈમરાન ખાનનો લેટર ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેના સંબધોની નવી શરૂઆત કરવાનો પહેલો સત્તાવાર પ્રસ્‍તાવ પણ છે.

રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળ્‍યું છે કે તેમણે પોતાના લેટરમાં તે દ્વિપક્ષીય વાર્તા પ્રક્રિયાફરીથી શરૂ કરવાનો આગ્રહ કર્યો છે જે ડિસેમ્‍બર ૨૦૧૫માં શરૂ કરવામાં આવી હતી. પઠાણકોટ એરબેસ પર આતંકી હુમલા પછી વાતચીતની આ પ્રક્રિયા સ્‍થગિત કરવામાં આવી હતી. ઈમરાન ખાને પોતાના લેટરમાં લખ્‍યું છે કે ભારત અને પાકિસ્‍તાને આતંકવાદ અને કાશ્‍મીર સંબંધિત દરેક મોટા મુદ્દાને વાતચીત કરીને સમાધાન કરવાનો પ્રયત્‍ન કરવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે મોદી સરકારે ઈસ્‍લામાબાદને સંકેત આપ્‍યો હતો કે પાકિસ્‍તાનની ધરતી પરથી સંચાલિત થનારા અને ભારતને નુકસાન પહોંચાડનારા આતંકી સંગઠનો પર ઠોસ કાર્યવાહી કરીને વાતચીત માટે પાકિસ્‍તાન અનુકૂળ વાતાવરણ ઉભું કે. ઈમરાન ખાનને લખવામાં આવેલા લેટરમાં વડાપ્રધાન મોદીએ તેમને આ પહેલા ફોન પર થયેલી વાતચીતનો ઉલ્લેખ પણ કર્યો હતો.

 

(10:37 am IST)