Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ભાજપ સંસદસભ્ય મનોજ તિવારી સામે નોટિસ જારી

તિરસ્કારની નોટિસ જારી કરવામાં આવી

નવી દિલ્હી, તા. ૧૯ : ભાજપના સાંસદ મનોજ તિવારી શિલિંગ તોડવાના મામલામાં ખુબ જ મુશ્કેલમાં ફસાઈ ગયા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા મોનિટરિંગ કમિટિના અહેવાલના આધાર પર મનોજ તિવારી સામે તિરસ્કારની નોટિસ જારી કરી દીધી છે. મનોજ તિવારીને હવે ૨૫મી સપ્ટેમ્બર સુધી કોર્ટમાં ઉપસ્થિત થવા માટે આદેશ કરવામાં આવ્યો છે. મનોજ તિવારી કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ પહેલા કોર્ટે આ ઘટનાના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી સમિતિને રિપોર્ટ આપ્યા બાદ તેમાં ધ્યાન આપ્યું હતું. જસ્ટિસ મદન બી લાકુર, ન્યાયમૂર્તિ અબ્દુલ નઝીર અને ન્યાયમૂર્તિ દિપક ગુપ્તાની બેંચે ભાજપ સાંસદ મનોજ  તિવારીને ૨૫મી સપ્ટેમ્બરના દિવસે ઉપસ્થિત થવા માટેનો આદેશ કર્યો હતો અને કહ્યું હતું કે, આ ખુબ જ કમનસીબ બાબત છે. શિલિંગ તોડવાના મામલામાં મનોજ તિવારી ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ થઇ રહ્યા છે. ગોકુલપુરી વિસ્તારમાં સીલ કરવામાં આવેલા એક સંકુલમાં તાળાને તોડી કાઢવાના મામલામાં મનોજ તિવારીની સામે મંગળવારના દિવસે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઉત્તર પૂર્વીય દિલ્હીમાં સ્થિત આ સંપત્તિ સીલ કરવામાં આવી હતી. મનોજ તિવારીની મુશ્કેલી વધવા માટેના અન્ય કારણો પણ રહેલા છે. મનોજ તિવારી સામે કેસ દાખલ કરવામાં આવ્યા બાદ અન્ય રાજકીય પક્ષો પણ મનોજ તિવારી સામે આકરા પ્રહારો કરવામાં લાગી ગયા છે. જો કે, મનોજ તિવારીએ હજુ સુધી પોતાનો બચાવ કર્યો છે.

(12:00 am IST)