Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

અટલના અટલ નિર્ણયથી પરમાણુ પરીક્ષણ કરી ભારતે તાકાત દર્શાવી

વાજપેયીની પ્રાર્થનાસભામાં મોદીએ વાજપેયીની સિદ્ધિઓ રજૂ કરી : કાશ્મીર સુધીની તેમની નીતિના લીધે જ ભારતની દુનિયામાં મજબૂત ઓળખ બની : શૂન્યમાંથી સૃષ્ટિનું નિર્માણ કઇરીતે થઇ શકે છે તે વાજપેયીએ બતાવ્યું

નવીદિલ્હી, તા. ૨૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રાર્થનાસભામાં વાજપેયીને શ્રદ્ધાંજલિ આપીને તેમને યાદ કર્યા હતા. દેશવાસીઓના હિતમાં કામ કરનાર એક શક્તિશાળી નેતા તરીકે વાજપેયીને ગણાવ્યા હતા. પરમાણુ પરીક્ષણથી લઇને કાશ્મીર સુધી ભારતને મજબૂત કરવામાં વાજપેયીએ ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. વાજપેયીના યોગદાનને યાદ કરતા મોદીએ કહ્યું હતું કે, વાજપેયીએ પોતાના કામથી દેશને દરેક ક્ષેત્રમાં આગળ વધારવામાં ભૂમિકા અદા કરી હતી. વિદેશ નીતિથી લઇને દેશને મજબૂત બનાવવા માટે વાજપેયીએ જે કંઇપણ શક્ય હતું તે તમામ કામ કર્યું હતું. પરમાણુ પરીક્ષણથી લઇને કાશ્મીર સુધી વાજપેયીએ એવી નીતિ બનાવી હતી જ્યાંથી ભારતની દુનિયામાં મજબૂત ઓળખ ઉભી થઇ હતી. પૂર્વ વડાપ્રધાન વાજપેયીની યાદમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત પ્રાર્થના સભામાં કહ્યુ હતુ કે અટલ કિશોર અવસ્થાથી લઇને અંત સુધી જ્યાં સુધી શરીર સાથ આપી રહ્યો હતો ત્યાં સુધી દેશના લોકો માટે જ જીવ્યા હતા. સામાન્ય લોકો માટે કામ કર્યુ હતુ. મોદીએ કહ્યુ હતુ કે જ્યારે અટલ બિહારી વાજપેયીએ રાજનીતિની શરૂઆત કરી ત્યારે તે કાળમાં રાજનીતિની મુખ્ય ધારાની નજીક કોઇ વિચારધારા દુર દુર સુધી દેખાતી ન હતી. દેશમાં રાજનીતિ લાંબા સમય સુધી અસ્પૃશ્યતાની જાળમાં રહી હતી. વારંવાર અપમાનિત કરવામાં આવ્યા હોવા છતાં વાજપેયી સતત સક્રિય રહ્યા હતા. રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ હોવાના કારણે તેઓ સતત સક્રિય રહ્યા હતા. શુન્યમાં સૃષ્ટિનુ નિર્માણ કઇ રીતે થઇ શકે છે તે બાબત વાજપેયીએ તમામને દર્શાવી હતી.   મોદીએ કહ્યું હતું કે, અટલ માત્ર નામના જ અટલ ન હતા. વ્યવહારમાં પણ અટલ ભાવ તેમનામાં દેખાતા હતા. ૧૧મી મે ૧૯૯૮માં પોખરણ પરીક્ષણ કરીને ભારતે સમગ્ર દુનિયાને ચોંકાવી દીધા હતા. દેશમાં આ પરમાણુ પરીક્ષણની તૈયારી દશકોથી થઇ રહી હતી પરંતુ પરમાણુ પરીક્ષણ કરવામાં સફળતા મળી રહી ન હતી. અટલના અટલ નિર્ણયના લીધે જ આ બાબત શક્ય બની હતી. ૧૧મી મેને અમારા દેશમાં વૈજ્ઞાનિકોએ અભૂતપૂર્વ સિદ્ધિ હાસલ કરી હતી. અટલે પણ આ સિદ્ધિ વૈજ્ઞાનિકોને સમર્પિત કરી હતી. સમગ્ર વિશ્વએ ભારત ઉપર પ્રતિબંધ મુકી દીધા હતા. દુનિયાના મોટાભાગના દેશ અમારી સામે આવી ગયા હતા. તે વખતે પણ અમારુ વલણ ખુબ મજબૂત રહ્યું હતું પરંતુ અટલ બિહારી વાજપેયીએ ૧૩મી મેના દિવસે બીજી વખત પરમાણુ પરીક્ષણ કરીને વિશ્વને પડકાર ફેંકી દીધા હતા અને દર્શાવી દીધું હતું કે ભારત અટલ છે. તે ઝુંકનાર નથી. ભારતે પોતાની તાકાત દર્શાવી દીધી હતી. ઉત્તરાખંડ, છત્તીસગઢ અને ઝારખંડનું વિભાજન કરીને અટલ બિહારી વાજપેયીએ સાબિતી આપી હતી કે, કઇરીતે કોઇને પણ દુશ્મન બનાવ્યા વગર અને વ્યવસ્થામાં અફડાતફડી વગર તમામને સાથે લઇને ચાલી શકાય છે. નિર્ણય કઈ રીતે કરવામાં આવી શકે છે. મોદીએ કહ્યું હતું કે, આજે દેશ પરિણામ નિહાળે છે. ત્રણેય રાજ્ય આજે પોતપોતાના આધાર પર અભૂતપૂર્વ વિકાસની દિશામાં છે. અટલની દૂરદર્શીતાના પરિણામે આજે ત્રણેય રાજ્યો વિકાસની નવી સિદ્ધિઓ હાસલ કરી રહ્યા છે.

(7:37 pm IST)